ન્યૂઝ અપડેટ્સ
VTV / ભારત / નેપાળના વિનાશક પૂર-દુર્ઘટનામાં મૃત્યુઆંક 1,200ને પાર, મૃતકોની ઓળખ માટે NFSUની 10 નિષ્ણાતોની ટીમ
Last Updated: 01:11 PM, 9 September 2026
ADVERTISEMENT
ઓગસ્ટના અંતમાં નેપાળમાં આવેલા વિનાશક પૂર અને દુર્ઘટનામાં સત્તાવાર મૃત્યુઆંક ૧,૨૦૦ને પાર પહોંચ્યો છે. મૃતકોની ઓળખ માટે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)ના ૧૦ નિષ્ણાતોની ટીમ સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (CFSL)ના સભ્યો સાથે નેપાળમાં ર૪ કલાક કામગીરી કરી રહી છે. ટીમ સેંકડો મૃતદેહના ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરી રહી છે. આ કામગીરી નેપાળના સત્તાધીશોની દેખરેખ હેઠળ ચાલી રહી છે.
ADVERTISEMENT

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું છે કે ભારતની ફોરેન્સિક ટીમો કાઠમંડુની બે લેબોરેટરીમાં કામગીરી કરી રહી છે અને અત્યાર સુધીમાં ૧,૨૦૦ ડીએનએ સેમ્પલ પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે નેપાળની જરૂરિયાત મુજબ ભારત તરફથી સહયોગ ચાલુ રહેશે. બચાવ અને ફોરેન્સિક બંને ટીમો હાલમાં નેપાળમાં સ્થળ પર કામગીરી કરી રહી છે.
ADVERTISEMENT
અમદાવાદની ચકચારી AI-171 વિમાન દુર્ઘટનામાં ફોરેન્સિક નિષ્ણાતોને મળેલો વ્યાપક અનુભવ નેપાળમાં ચાલી રહેલી કામગીરીમાં ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. અત્યંત મુશ્કેલ સેમ્પલમાંથી ડીએનએ મેળવવા અને તેની શોધી શકાય તેવી પ્રોફાઇલ તૈયાર કરવામાં ટીમને અગાઉનો અનુભવ છે. નેપાળના સત્તાધીશો દ્વારા સંચાલિત ડીએનએ ડેટાબેઝનો ઉપયોગ મૃતકોના ડીએનએની તેમનાં સેંકડો-હજારો સ્વજનોના ડીએનએ પ્રોફાઇલ સાથે મેચિંગ માટે કરવામાં આવશે. NFSUના વાઇસ ચાન્સેલર ડો. જે.એમ. વ્યાસે જણાવ્યું છે કે આ કામગીરી વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ નેપાળને ભારતના સહયોગરૂપે હાથ ધરાઈ રહી છે. તેમણે કહ્યું કે અમદાવાદની વિમાન દુર્ઘટના તાજેતરના સમયમાં ડીએનએ વિજ્ઞાન અને ફોરેન્સિકના વ્યાપક ઉપયોગનું મહત્ત્વપૂર્ણ ઉદાહરણ હતી અને તેનો અનુભવ નેપાળમાં માનવતાવાદી કામગીરીમાં ઉપયોગી બની રહ્યો છે.
ADVERTISEMENT
ભારતીય અને આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની ટીમો ડીએનએ ઇન્ડેક્સિંગ માટે અમેરિકામાં વિકસાવવામાં આવેલી કમ્બાઇન્ડ ડીએનએ ઇન્ડેક્સ સિસ્ટમ (CODIS)નો ઉપયોગ કરી રહી છે. મૃતદેહ મળ્યા બાદ નેપાળના સત્તાધીશો તેને તબીબી-કાનૂની પ્રક્રિયા માટે તૈયાર કરે છે. મૃતદેહની સ્થિતિ અને મૃત્યુ બાદ કેટલો સમય વીતી ગયો છે તેના આધારે ફોરેન્સિક નિષ્ણાતો નરમ પેશીઓ, હાડકાં, દાંત અથવા શરીરના પ્રવાહીમાંથી જૈવિક સેમ્પલ મેળવે છે.
ADVERTISEMENT
ભારતના ગૃહ મંત્રાલયે અગાઉ દેશની તમામ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીને નેપાળમાં મૃત્યુ પામેલા ભારતીયોનાં સ્વજનો પાસેથી લેવામાં આવતા ડીએનએ સેમ્પલના સંગ્રહ અને વિશ્લેષણ કેન્દ્ર તરીકે કામગીરી કરવાનો નિર્દેશ આપ્યો હતો. ગુજરાતમાં ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સીસ (DFS) અને NFSU હેઠળની તમામ FSL દ્વારા ડીએનએ પ્રોફાઇલિંગ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ફોરેન્સિક નિષ્ણાતોએ મેચિંગ માટે ૧૦થી વધુ સેમ્પલ એકત્ર કર્યાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો