ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / રિક્ષા-ટેક્સીની હડતાળથી AMTSની ચાંદી જ ચાંદી, દૈનિક આવકમાં 33 ટકાનો ઉછાળો
Last Updated: 04:52 PM, 8 September 2026
ADVERTISEMENT
રિક્ષા અને ટેક્સીચાલકોની અનિશ્ચિત મુદતની હડતાળની સીધી અસર શહેરની જાહેર પરિવહન વ્યવસ્થા પર જોવા મળી રહી છે. રિક્ષા-ટેક્સી સેવા બંધ રહેતા મુસાફરોનો મોટો વર્ગ હવે એએમટીએસ તરફ વળ્યો છે. પરિણામે એએમટીએસની દૈનિક આવક તેમજ મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
ADVERTISEMENT
૩૧ ઓગસ્ટે એએમટીએસની દૈનિક કુલ આવક રૂ. ૩૪,૩૭,૩૦૦ હતી. હડતાળના એક સપ્તાહ બાદ ૮ સપ્ટેમ્બરે આ આવક વધીને રૂ. ૪૭,૭૭,૧૩૩ થઈ હતી. એટલે કે દૈનિક આવકમાં રૂ. ૧૦,૧૩,૬૮૩નો વધારો નોંધાયો છે. ટકાવારીની દૃષ્ટિએ આ વધારો આશરે ૩૩ ટકા છે. આ દરમિયાન કંડક્ટર આવક પણ રૂ. ૩૦,૬૧,૧૫૦થી વધીને રૂ. ૪૦,૭૪,૮૩૩ થઈ છે.
આવક સાથે બસોમાં મુસાફરોનો ધસારો પણ વધ્યો છે. ૩૧ ઓગસ્ટે એએમટીએસમાં ૬,૦૦,૦૭૫ મુસાફરોએ મુસાફરી કરી હતી. ૮ સપ્ટેમ્બરે આ સંખ્યા વધીને ૭,૧૦,૦૦૦ થઈ હતી. આમ, દૈનિક મુસાફરોની સંખ્યામાં આશરે ૨૦ ટકાનો વધારો થયો છે.
ADVERTISEMENT
રેલવે સ્ટેશન, એસટી સ્ટેન્ડ અને મુખ્ય માર્ગોના બસ સ્ટોપ પર મુસાફરોની લાંબી કતારો જોવા મળી રહી છે. વધેલા ધસારાને પહોંચી વળવા એએમટીએસ દ્વારા જરૂરિયાત મુજબના રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.
કાલુપુર અને સાબરમતી સ્ટેશને રાતે ૧૦ વધારાની બસો દોડાવાઈઃ સ્થળ પર વિજિલન્સ ટીમ તહેનાત રિક્ષા-ટેક્સી હડતાળના પગલે મોડી રાતે કે વહેલી સવારે રેલવે સ્ટેશને ઊતરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સ્થિતિને પહોંચી વળવા એએમટીએસ તંત્ર દ્વારા કાલુપુર, સાબરમતી સહિતના મુખ્ય રેલવે સ્ટેશનો પર રાત્રિ દરમિયાન ૧૦ વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવાયો છે. મુસાફરોની અવરજવર સુચારુ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ અને એએમટીએસ સ્ટાફ સતત સ્થિતિ પર નજર રાખી રહ્યા છે, જેમાં કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન ખાતે રાત્રે ૧૦ વિશેષ બસ કાર્યરત કરવામાં આવી છે, તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે એએમટીએસની વિજિલન્સ ટીમ અને ગ્રાઉન્ડ સ્ટાફ સ્થળ પર તહેનાત કરાઈ છે. આ સાથે જ વધુ અવરજવર ધરાવતા વિસ્તારો અને ‘ટાઈડલ ટ્રાફિક’ પોઈન્ટ્સ પર વિજિલન્સ ટીમ દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
ગીતામંદિરથી લઈ કાલુપુર જેવા મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર વધારાની બસો તહેનાત ઓટો રિક્ષાચાલકોની હડતાળના પગલે મુસાફરોને હાલાકી ન પડે તે માટે એએમટીએસ દ્વારા શહેરના મુખ્ય ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. રાણીપ જીએસઆરટીસી બસ સ્ટેશન ખાતે બે કંટ્રોલર સાથે બે વધારાની બસો મુકાઈ છે, જ્યારે અહીંથી પસાર થતા રૂટની આશરે ૯૦ બસ કાલુપુર, મણિનગર, લાલ દરવાજા, વાસણા અને પાલડી તરફ દોડશે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં દવા પણ નકલી મળે છે, બીપીની દવાના નામે દર્દીઓને ચૂનો ખવડાવ્યો, ઉત્તરાખંડ સુધી પહોંચ્યા તાર
ADVERTISEMENT
સાબરમતી ધર્મનગર રે-સ્ટે ખાતે બે વધારાની બસો તથા ફ્લાઈંગ ટીમ તૈનાત કરાઈ છે. અહીંથી પસાર થતા ૨૮ રૂટ પણ મુસાફરોને સેવા આપશે. વટવા રે-સ્ટે ખાતે બે વધારાની બસો અને કન્ટ્રોલરની વ્યવસ્થા કરાઈ છે. ગીતામંદિર ખાતે ફ્લાઈંગ ટીમ તૈનાત રહેશે અને બસો ૧૫થી ૨૦ મિનિટના અંતરે દોડશે. કાલુપુર રે-સ્ટે ખાતે બે ફ્લાઈંગ ટીમ સાથે ચાર વધારાની બસો મુકાઈ છે. હડતાળ દરમિયાન જાહેર પરિવહન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્રએ આગોતરું આયોજન કર્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.