ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ‘રોજ લાવવું અને રોજ ખાવું પડે છે, મજબૂરી છે’, હડતાળ વચ્ચે રિક્ષાચાલકોએ ફરી શરૂ કર્યો ધંધો
Last Updated: 10:54 AM, 8 September 2026
ADVERTISEMENT
‘રોજ લાવવું અને રોજ ખાવું પડે છે, મજબૂરી છે...’ અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ વચ્ચે કેટલાક રિક્ષાચાલકોની આવી વાત સામે આવી છે. એક તરફ રિક્ષાચાલકો યુનિયનની સાથે રહીને હડતાળને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ રોજની કમાણી પર ઘર ચલાવતા રિક્ષાચાલકો માટે ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવી મુશ્કેલ બની રહી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમદાવાદમાં રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈ છે અને 10 સપ્ટેમ્બર સુધી ચાલવાની છે. હડતાળ પાછળ ઓનલાઈન રિક્ષા અને ટેક્સીના ઓછા ભાડા, CNGના વધતા ખર્ચ અને રેપિડો જેવી સેવાઓ સામે રિક્ષાચાલકોના પ્રશ્નો છે. પરંતુ હડતાળના બીજા દિવસે જ ગીતા મંદિર પાસે કેટલાક રિક્ષાચાલકોએ ફરી પોતાની રિક્ષા રસ્તા પર ઉતારી દીધી છે. રિક્ષાચાલકોનું કહેવું છે કે તેઓ યુનિયનની સામે નથી અને યુનિયન જે લડાઈ લડી રહ્યું છે તેને તેમનું પણ સમર્થન છે. પરંતુ ઘરનું ગુજરાન ચલાવવાની જવાબદારી પણ તેમની છે.

ADVERTISEMENT
રિક્ષાચાલકોએ કહ્યું કે ‘રોજ લાઇને રોજ ખાવું પડે છે.’ એટલે કે રોજ રિક્ષા ચલાવીએ અને તેમાંથી જે કમાણી થાય તેનાથી જ ઘરના ખર્ચા ચાલે છે. આવી સ્થિતિમાં સતત ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવાથી ઘરનો ખર્ચ કાઢવો મુશ્કેલ બની શકે છે.
ADVERTISEMENT

રિક્ષાચાલકોનું કહેવું છે કે રોજની કમાણી બંધ થઈ જાય તો રાશન, બાળકોનો ખર્ચ અને ઘરના બીજા જરૂરી ખર્ચા કેવી રીતે ચાલશે તેની ચિંતા રહે છે. આ જ મજબૂરીના કારણે કેટલાક રિક્ષાચાલકોને હડતાળના બીજા દિવસે જ ફરી ધંધો શરૂ કરવો પડ્યો છે.
ADVERTISEMENT
અમદાવાદમાં હડતાળના બીજા દિવસે જ રિક્ષાચાલકો રસ્તા પર, ‘4 દિવસની હડતાળ પોસાય નહીં’; ગીતા મંદિર પાસે ફરી શરૂ કર્યો ધંધો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 8, 2026
અમદાવાદમાં રિક્ષા-ટેક્સી હડતાળના બીજા દિવસે જ કેટલાક રિક્ષાચાલકોએ ધંધો ફરી શરૂ કર્યો છે. ગીતા મંદિર પાસે રિક્ષા ચલાવતા ચાલકોએ કહ્યું કે તેઓ યુનિયન સાથે છે, પરંતુ… pic.twitter.com/WhTw0F80SO
ADVERTISEMENT
ગીતા મંદિર પાસે રિક્ષા ચલાવતા ચાલકોએ સ્પષ્ટ કહ્યું કે ‘યુનિયનની સાથે છીએ, પણ ઘરનું ગુજરાન પણ ચલાવવું જરૂરી છે.’ તેમના માટે આ હડતાળનો વિરોધ કરવાનો મુદ્દો નથી, પરંતુ પરિવાર ચલાવવાની મજબૂરી છે. ચાર દિવસ સુધી રિક્ષા બંધ રાખવી તેમના માટે પોસાય તેમ નથી.

રિક્ષાચાલકોએ વધુમાં કહ્યું કે જો તેમને રસ્તા પર રિક્ષા ચલાવતા રોકવામાં આવશે તો તેઓ મુસાફરોને ઉતારી દેશે. તેમનું કહેવું છે કે તેઓ કોઈની સાથે વિવાદ કરવા માંગતા નથી, પરંતુ પોતાની રોજગારી માટે રિક્ષા ચલાવવી જરૂરી બની છે.
આમ, અમદાવાદમાં એક તરફ રિક્ષા અને ટેક્સી યુનિયનો પોતાની માંગણીઓને લઈને હડતાળ પર છે, તો બીજી તરફ રોજની કમાણી પર નિર્ભર કેટલાક રિક્ષાચાલકો માટે રોજગારીનો પ્રશ્ન મોટો બની ગયો છે. યુનિયનની માંગણીઓનું સમર્થન હોવા છતાં પરિવારના ખર્ચા માટે તેમને ફરી રિક્ષા રસ્તા પર ઉતારવી પડી છે. હાલમાં રિક્ષા-ટેક્સી યુનિયનોની હડતાળ 10 સપ્ટેમ્બર સુધી જાહેર કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વધુ રિક્ષાચાલકો હડતાળમાં રહે છે કે પછી રોજગારીની મજબૂરીના કારણે તેઓ પણ ફરી રિક્ષા ચલાવવાનું શરૂ કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ