ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમદાવાદમાં રિક્ષા-ટેક્સીચાલકોની હડતાળનો બીજો દિવસ, RTO-ટ્રાફિક સાથેની બેઠક અનિર્ણિત, 10 સપ્ટેમ્બર સુધી હડતાળ યથાવત
Last Updated: 07:25 AM, 8 September 2026
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ઓલા, ઉબેર, રેપિડો સહિતની ઓનલાઈન એપ્લિકેશન સામે રિક્ષા અને ટેક્સીચાલકો દ્વારા શરૂ કરવામાં આવેલી હડતાળનો આજે બીજો દિવસ છે. ઓનલાઈન એપ સાથેના વિવિધ પ્રશ્નોને લઈને રિક્ષા અને ટેક્સીચાલકો દ્વારા ‘રોજગાર બચાવો’ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. સોમવારે RTO અને ટ્રાફિક વિભાગ સાથે યોજાયેલી બેઠક અનિર્ણિત રહેતા હડતાળ 10 સપ્ટેમ્બર સુધી યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

રિક્ષા અને ટેક્સીચાલકોની મુખ્ય માંગ છે કે ઓનલાઈન એપ પર ગેરકાયદેસર રીતે દોડતી ટુ-વ્હીલર ટેક્સી બંધ કરવામાં આવે અને સરકારના નિયમ મુજબ રિક્ષા-ટેક્સીનું ભાડું નક્કી કરવામાં આવે. આ બંને માંગણીઓને લઈને રિક્ષા અને ટેક્સીચાલકો લડી લેવાના મૂડમાં છે. બીજી તરફ હડતાળના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
ADVERTISEMENT
હડતાળના પ્રથમ દિવસે અમુક જ રિક્ષા અને ટેક્સીચાલકો હડતાળમાં જોડાયા હતા. જેના કારણે યુનિયનના લોકો લાકડીઓ લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને અન્ય રિક્ષા ચાલકોને પણ હડતાળમાં જોડાવા માટે સમર્થન માંગતા હતા. રાણીપ બસ સ્ટેશન પાસે એક રિક્ષાચાલક લાકડી સાથે આવ્યો હતો અને મુસાફરોને અધવચ્ચે ઉતારી હડતાળમાં જોડાવા દબાણ કરતા વિવાદ થયો હતો. ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસને પણ મેદાનમાં આવવું પડ્યું હતું.
ADVERTISEMENT
આ દરમિયાન પોલીસ કમિશનર દ્વારા પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મુસાફરોને હેરાન કરશે અથવા તેમના કામકાજમાં અડચણરૂપ બનશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. યુનિયન દ્વારા હડતાળમાં જોડાવવા માટે રિક્ષા રોકાવીને અધવચ્ચે મુસાફરોને ઉતારી દેવામાં આવશે અને તેમને હેરાન કરવામાં આવશે તો આવા લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે.
ADVERTISEMENT
હડતાળના પહેલા દિવસે અનેક મુસાફરોને રિક્ષા અને ટેક્સી ન મળતા મુશ્કેલી પડી હતી. ખાસ કરીને રેલવે સ્ટેશન, મેટ્રો સ્ટેશન સહિતના વિસ્તારોમાંથી અન્ય સ્થળે જવા માટે રિક્ષા કે ટેક્સી ન મળતા કેટલાક રિક્ષાચાલકોએ મુસાફરોની મજબૂરીનો ફાયદો ઉઠાવી મનફાવે તેમ ભાડું વસૂલ્યું હતું. કેટલાક કિસ્સામાં મુસાફરો પાસેથી વધારે પૈસા વસૂલી લૂંટ ચલાવવામાં આવી હોવાની ફરિયાદો સામે આવી હતી. અમદાવાદમાં તો સ્થિતિ એવી બની હતી કે કેટલાક મુસાફરો પાસેથી પ્લેનની ટિકિટ જેટલું રિક્ષા ભાડું વસૂલવામાં આવ્યું હોવાના આક્ષેપો પણ થયા હતા.
ADVERTISEMENT
રિક્ષા અને ટેક્સી યુનિયનના આગેવાનોએ ટ્રાફિક JCP અને RTO અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં યુનિયનના લોકોએ પોતાની માગણીઓ રજૂ કરી હતી. રિક્ષા અને ટેક્સીચાલકોને પડતી હાલાકી દૂર કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું. જોકે ગેરકાયદેસર રીતે ચાલતી ટુ-વ્હીલર ટેક્સી ક્યારે બંધ થશે અને ઓનલાઈન એપ્લિકેશનમાં સરકારના નિયમ મુજબ ભાડું ક્યારે નક્કી થશે તે અંગે કોઈ યોગ્ય જવાબ મળ્યો ન હતો. જેના કારણે બેઠક અનિર્ણિત રહી અને 10 સપ્ટેમ્બર સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હડતાળના કારણે આગામી 10 સપ્ટેમ્બર સુધી નોકરી અને વ્યવસાય માટે બહાર નીકળતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી શકે છે. બીજી તરફ કેટલાક વિસ્તારોમાં રિક્ષા અને ટેક્સી ચાલુ રહેતા હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવાનું પણ સામે આવ્યું છે.
ADVERTISEMENT
યુનિયન દ્વારા અમદાવાદના 3.70 લાખ રિક્ષા અને ટેક્સીચાલકોના ‘રોજગાર બચાવો’ આંદોલનને ઉગ્ર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે. સોમવારે મધરાતથી શરૂ થયેલી હડતાળમાં યુનિયને 3 લાખ રિક્ષા અને 70 હજાર ટેક્સીચાલકો જોડાશે તેવો દાવો કર્યો હતો. જોકે અનેક વિસ્તારોમાં રિક્ષા અને ટેક્સી ચાલુ રહેતા હડતાળને ફિક્કો પ્રતિસાદ મળ્યો છે.
અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ JCP અશ્વિન ચૌહાણે જણાવ્યું છે કે રિક્ષાચાલકોની હડતાળને પગલે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને બંદોબસ્ત માટે સૂચના આપવામાં આવી છે. રિક્ષાચાલકોના આગેવાનો સાથે પણ મિટિંગ કરવામાં આવી છે અને સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ વ્યક્તિ કે મુસાફરને હેરાન કરવામાં આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શહેરના રેલવે સ્ટેશન અને ST બસ સ્ટેન્ડની બહાર પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. હાલમાં રિક્ષા અને ટેક્સીચાલકોની હડતાળનો બીજો દિવસ ચાલી રહ્યો છે અને RTO-ટ્રાફિક સાથેની બેઠક અનિર્ણિત રહેતા હડતાળ 10 સપ્ટેમ્બર સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં સરકાર અને યુનિયન વચ્ચેની ચર્ચા બાદ આ મુદ્દે કોઈ ઉકેલ આવે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ