ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / ગાંધીનગરના સમાચાર / કોંગ્રેસ-ભાજપ બંનેના કાર્યકર્તાઓ કહે છે,"કંઈક તો બદલાવાનું છે!" ગુજરાતના રાજકારણની ન જાણેલી વાતો!
Last Updated: 02:37 PM, 24 August 2026
ગુજરાતના રાજકારણમાં ફેરફારના એંધાણ!
ફરી એકવાર ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતાઓ છે. જો કે આ વખતે ફેરફાર સરકારમાં નહીં, પરંતુ સંગઠનમાં થઈ શકે છે. કેન્દ્રમાં પક્ષ પ્રમુખ નીતિન નવીને પોતાની નવી ટીમ બનાવી જેમાં ગુજરાતના યુવા મોરચાના અધ્યક્ષ અને વડોદરાના સાંસદ હેમાંગ જોશીને હવે રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા છે, એટલે હવે ગુજરાત યુવા મોરચાના અધ્યક્ષ તરીકે નવા નેતા કોણ એ સૌથી મોટો સવાલ છે. બીજી તરફ વર્ષાબેન દોશી પણ પાર્લામેન્ટ્રી બોર્ડના સભ્ય છે, સાથે જે તેમની પાસે કેટલાક જિલ્લાના પ્રભારી તરીકેની પણ જવાબદારી છે, એટલે આ જિલ્લાઓના પ્રભારી પણ બદલાય તેવી શક્યતા છે. ખાસ વાત એ છે કે હવે ચૂંટણીને આડે એકાદ વર્ષ જેટલો જ સમય બાકી છે, ત્યારે રાજકીય, જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણ પ્રમાણે પક્ષ નવા નિર્ણય લેશે. પરિણામે, ભાજપ સંગઠનમાં નવા ફેરફાર થઈ રહ્યા છે.
તો કોંગ્રેસમાં પણ ફરી ઉલટફેર થશે!
ભાજપના સંગઠનમાં ફેરફારની વાતો વચ્ચે, કોંગ્રેસ પણ કેમ પાછળ રહી જાય? કોંગ્રેસના એક પૂર્વ પ્રમુખે તો છેક દિલ્હી જઈને પક્ષમાં ફેરફારની વાત કરી છે. કદાચ ચૂંટણી નજીક આવે છે એટલે જ તો! વાતો તો એવી પણ છે કે સંગઠનની સાથે જિલ્લા કોંગ્રેસમાં પણ ધરમૂળથી પરિવર્તન થશે. કદાચ ફરી રેસના ઘોડા કોંગ્રેસ આઈડેન્ટિફાય કરશે. કહેવાઈ રહ્યું છે કે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે પોતે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ધ્યાન આપવાના છે. સપ્ટેમ્બરમાં ખડગે ગુજરાત આવે તો પણ નવાઈ નહીં. તો કે. સી. વેણુગોપાલ પણ આ જ તબક્કામાં ગુજરાતની મુલાકાત લેવા જઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે ગુજરાતના નવા સંગઠન પર રાહુલ ગાંધીની કોર ટીમ નજર રાખી રહી છે. પણ કોંગ્રેસની હાલત દર વખતે કેવી થાય છે, આપણને ખબર જ છે. જોઈએ આ વખતે શું નવું કરે છે?
મંત્રીજીએ કહ્યું,"મારુંય કામ કરી આપો"
ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલમાં સોમવાર અને મંગળવારે જુદા જુદા વિસ્તારમાંથી નાગરિકો પોતાના કામ માટે મંત્રીઓને મળવા આવે, સાથે એમના વિસ્તારના ધારાસભ્યો અને સાંસદો પણ આવે. આ સામાન્ય ઘટના છે. પણ ભઈ ગયા અઠવાડિયે એક મંત્રીજી પોતાની સાથે અરજદારો લઈને બીજા મંત્રીને મળવા પહોંચ્યા અને વિસ્તારના લોકોના કામ માટે રજૂઆત કરી. આમ તો એક મંત્રી બીજા મંત્રીને પોતાના લેટરપેડ પર પણ કામ માટે કહી શકે, ટેલિફોનિક વાત કરી શકે, ભેગા બેસીને ચા પીતા પીતા પણ કહી શકે, પણ વિસ્તારના લોકો સાથે રૂબરુ રજૂઆત કરવા આવવું પડ્યું. આ તો ઉલ્ટી ગંગા વહેવા જેવી વાત થઈ. જો મંત્રીઓએ પોતાના કામ માટે આવવું પડે, તો સામાન્ય નાગરિકોની રજૂઆતનું તો શું થતું હશે?
શિપ મારા જિલ્લામાં બનાવો!
ગુજરાત સરકારે તાજેતરમાં જ શિપ બિલ્ડિંગ પોલિસી જાહેર કરી. જે બાદ કેન્દ્ર સરકારે પોરબંદરના કુછડીમાં શિપ બિલ્ડિંગ પાર્ક જાહેર કર્યું, જે પછી કેબિનેટ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પીએમ મોદીનો આભાર પણ માન્યો. ગુજરાત માટે તો આ સારી વાત થઈ, પરંતુ બે જિલ્લાના નેતાઓના પેટમાં તેલ રેડાયું! પોરબંદરમાં શિપ બિલ્ડિંગ પાર્ક જાહેરાત થતા ભાવનગરના ભાજપના નેતાઓ નારાજ થયા છે. સાથે જ ગીરસોમનાથ જિલ્લાના નેતાઓમાં પણ નારાજગી દેખાઈ રહી છે. નેતાઓનું માનવું છે કે ભાવનગરમાં તો અલંગ જેવું શિપ બ્રેકિંગ યાર્ડ છે, ગીર સોમનાથમાં પણ છ સ્થળોએ શિપ બિલ્ડિંગ પાર્ક બની શક્તું હતું, તો પોરબંદરને જ કેમ લાડવો મળ્યો? એટલે સુધી કે ગીર સોમનાથના ભાજપના એક મોટા નેતાએ કેન્દ્રીય મોવડી મંડળને ફરિયાદ કરી દીધી. પણ આ તો ભાજપ છે, અહીંયા લીધેલા નિર્ણય બદલાતા નથી. સિવાય કે જેન ઝી કંઈક કરે!
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ગુજરાતના રાજકારણમાં મોટી હલચલના એંધાણ? સરકારી અધિકારીઓમાં ચિંતાનો માહોલ
પહેલા શાબાશી પછી સસ્પેન્શન!
ભાવનગરનો લઠ્ઠાકાંડ છેક દિલ્હી સુધી ગાજ્યો છે, મૃત્યુઆંક વધી રહ્યો છે અને સરકારે જવાબદારી સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી છે. SMCએ ઢગલાબંધ લોકોની ધરપકડ પણ કરી છે, પણ આખી ઘટનામાં એક પીઆઈ ટોકિંગ પોઈન્ટ બન્યા છે. થયું એવું કે રાજ્ય સરકારની ગેરકાયદે દબાણો દૂર કરવાની ઝુંબેશમાં આ પીઆઈએ જબરજસ્ત કામ કર્યું. જંગલેશ્વરના દબાણ હટાઓ કાર્યક્રમમાં પણ તેમની ભૂમિકા અગત્યની રહી. એટલે સુધી કે સરકારે એમની કામગીરીને બિરદાવી શાબાશી આપી, પરંતુ ભાવનગરના લંઠ્ઠાકાંડમાં આ જ પીઆઈ ભરાયા છે. પોલીસ વિભાગે તેમને સસ્પેન્ડ કરી દીધા છે. એક જિલ્લામાં કામ બદલ સરકારે પીઠ થાબડી તો બીજા જિલ્લામાં સીધા જ સસ્પેન્ડ થઈ ગયા!
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.