ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં હત્યાની હારમાળા! અમદાવાદથી જામનગર અને હવે સુરતમાં રહસ્મય યુવતીની હત્યા!
Last Updated: 12:25 PM, 24 August 2026
ગુજરાતમાં જાણે ગુનાઓનો કિસ્સો અટકવાનું નામ નથી લઈ રહ્યો. એક શહેરમાં હત્યાની ઘટના બને અને લોકો તેના આઘાતમાંથી બહાર આવે તે પહેલાં જ બીજા શહેરમાંથી બીજી ઘટનાના સમાચાર સામે આવે છે. છેલ્લા કેટલાક દિવસોમાં અમદાવાદ, જામનગર અને હવે સુરતમાં સામે આવેલી ત્રણ હત્યાની ઘટનાઓએ ફરી સવાલો ઊભા કર્યા છે. ત્રણેય ઘટનાની રીત અલગ છે, પરંતુ એક વાત સરખી છે—એક પરિવારનો સભ્ય અચાનક દુનિયા છોડીને ગયો અને પાછળ રહી ગયા અનેક સવાલો.
ADVERTISEMENT

સૌથી પહેલા અત્યારે તાજેતરમાં બનેલી સુરત હત્યાની વાત કરીએ તો, માંડવીના ગોડાવાડી ગામમાં ટેકરી ફળિયામાં રહેતી 22 વર્ષીય યુવતી નિધિ પટેલની શંકાસ્પદ હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. નિધિનો મૃતદેહ તેના જ ઘરમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેના હાથ બાંધી ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ઘટના સમયે યુવતી ઘરે એકલી હતી. તેના માતા-પિતા બહારગામ ગયા હતા. જ્યારે પરિવાર પરત ફર્યો ત્યારે ઘરમાં સામાન વેરવિખેર હાલતમાં જોવા મળ્યો હતો. આ સ્થિતિને જોતા પોલીસ લૂંટ વીથ મર્ડરની આશંકાને પણ નકારી રહી નથી
ADVERTISEMENT

ADVERTISEMENT
હવે સૌથી મોટો સવાલ એ છે કે નિધિની હત્યા કોણે કરી? શું હત્યારાનું નિશાન માત્ર લૂંટ હતું કે પછી આ હત્યા પાછળ કોઈ અંગત કારણ છુપાયેલું છે? ઘરમાં સામાન વેરવિખેર કેમ હતો? યુવતીના હાથ કોણે બાંધ્યા અને હત્યા બાદ આરોપી કઈ રીતે ફરાર થયો? આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસ બાદ જ સામે આવશે. માંડવી પોલીસે સમગ્ર મામલે જીનવટ ભરી તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
હવે વાત કરીએ અમદાવાદની તો રાણીપમાં RTO ચાર રસ્તા નજીક પોલીસ ચોકીથી થોડે જ નજીક 37 વર્ષીય રણછોડ ઉર્ફે અજય સાલ્વી પર હથિયારધારી શખ્સોએ હુમલો કર્યો હતો. પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને આ હુમલા પાછળનું કારણ માનવામાં આવી રહ્યું છે. આશરે 8થી 10 શખ્સો હથિયારો સાથે આવ્યા હોવાની માહિતી સામે આવી હતી અને યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા અજયનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે રાણીપ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. પોલીસે CCTV સહિતના પુરાવાના આધારે તપાસ આગળ વધારી હતી અને આ કેસમાં આરોપીઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમદાવાદની આ ઘટનાનો પડઘો શાંત થાય તે પહેલાં જામનગરના શંકર ટેકરી વિસ્તારમાંથી હત્યાના સમાચાર સામે આવ્યા. માલુભાના ચોક વિસ્તારમાં ચંદ્રસિંહ ઉર્ફે ચંદો મુળુજી રાઠોડ પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. છાતીના ભાગે થયેલા જીવલેણ હુમલામાં ચંદ્રસિંહને ગંભીર ઈજા પહોંચી હતી અને તેમનું પોતાના ઘરમાં જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને હત્યા પાછળનું ચોક્કસ કારણ તથા હુમલાખોર કોણ હતો તે જાણવા તપાસ શરૂ કરી હતી.
આ પણ વાંચો : મંત્રીના સગા ભાઈની પાછળ પડી ગઈ સરકાર? ખેડૂતને સમર્થન આપી મુશ્કેલીમાં મુકાયા, 6 રેડ પડી
અમદાવાદની જાહેરમાં થયેલી ઘાતકી હત્યાથી લઈને જામનગરના ઘરમાં થયેલા જીવલેણ હુમલા અને હવે સુરતના બંધ ઘરમાંથી મળી આવેલા યુવતીના મૃતદેહ સુધી—ગુજરાતમાં સતત સામે આવી રહેલી આ ઘટનાઓ માત્ર ગુનાની નોંધ નથી, પરંતુ લોકોની સુરક્ષાને લઈને ચેતવણી પણ છે. ખાસ કરીને સુરતની ઘટનામાં યુવતી પોતાના ઘરમાં જ સુરક્ષિત ન રહી શકી હોવાના સંજોગો ચિંતાજનક છે. હવે પોલીસ તપાસ આગળ વધે તેમ ત્રણેય કેસમાં હત્યાના કારણો અને આરોપીઓ સુધી પહોંચવાના રસ્તા ખુલશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.