બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:04 AM, 24 August 2026
દેશમાં ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ તહેવારોની મોસમ શરૂ થઈ ગઈ છે અને હવે વિવિધ દેશી તેમજ આયાતી ખાદ્યતેલોના બજારના ખેલાડીઓની નજર આગામી તહેવારો પર છે. બજારના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તહેવારો દરમિયાન વિવિધ ખાદ્યતેલોની મોસમી માગમાં વધારો થતો હોય છે. ભારતમાં ઘરઆંગણે વિવિધ ખાદ્યતેલોનું ઉત્પાદન થાય છે, પરંતુ તેની સરખામણીમાં દેશની માગ વધારે હોવાથી દરિયાપારથી વિવિધ ખાદ્યતેલોની આયાત કરવી પડે છે. ખાસ કરીને દેશમાં પામતેલ, સોયાતેલ અને સનફલાવર તેલની મોટા પ્રમાણમાં આયાત કરવામાં આવે છે. તેના કારણે વિશ્વબજારમાં ભાવમાં થતી વધઘટ તેમજ ઘરઆંગણે ડોલર અને રૂપિયાના ભાવમાં થતા ફેરફારની સીધી અસર દેશના ખાદ્યતેલોના ભાવ પર જોવા મળે છે.
ADVERTISEMENT

તહેવારોની મોસમ શરૂ થાય તે પહેલાં દરિયાપારથી ખાદ્યતેલોની આયાતમાં વધારો થયો હોવાના અહેવાલો મળ્યા છે. આયાતકારોના જણાવ્યા પ્રમાણે જુલાઈ મહિનામાં પામતેલની આયાત જૂનની સરખામણીએ આશરે 50 ટકા વધી હતી. જુલાઈમાં પામતેલની આયાત વધીને આશરે 7 લાખ 31 હજાર ટન થઈ હોવાનું જાણવા મળ્યું છે. તહેવારો પૂર્વે પામતેલ ઉપરાંત સોયાતેલ અને સનફલાવર તેલની આયાતમાં પણ વધારો નોંધાયો છે. જુલાઈમાં સોયાતેલની આયાત આશરે 31 ટકા વધીને 4 લાખ 99 હજાર ટન આસપાસ પહોંચી હતી. જ્યારે સનફલાવર તેલની આયાતમાં આશરે 4 ટકાનો વધારો થયો હતો અને તે 2 લાખ 52 હજાર ટન આસપાસ નોંધાઈ હતી.
ADVERTISEMENT
વિશ્વબજારમાં રશિયા અને યુક્રેન વચ્ચે ફરીથી ઘર્ષણ વધવાના કારણે સનફલાવર તેલની સપ્લાય પર અસર પડી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા છે. બીજી તરફ દેશમાં તહેવારો પહેલાં જુલાઈ મહિનામાં વિવિધ ખાદ્યતેલોની કુલ આયાતમાં આશરે 32થી 33 ટકાની વૃદ્ધિ થઈ હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા છે. આમ, તહેવારોની મોસમી માગને ધ્યાનમાં રાખીને આયાતકારો દ્વારા અગાઉથી જ ખાદ્યતેલનો જથ્થો વધારવામાં આવ્યો હોવાનું બજારના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ADVERTISEMENT
આ દરમિયાન ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરમાં ઘર્ષણ ફરી વધતાં વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. તેની અસર વચ્ચે આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્યતેલોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં પામતેલના ભાવ વધીને ચાર મહિનાની ટોચે પહોંચ્યા હોવાના અહેવાલો મળ્યા છે. અમેરિકાના કૃષિ બજારોમાં પણ સોયાબીન અને સોયાતેલના ભાવમાં તેજી જોવા મળી છે. અમેરિકામાં સોયાતેલના સ્ટોકમાં ઘટાડો નોંધાયો છે, જ્યારે ત્યાંના બજારમાં સોયાબીનની ચીન તરફથી માગમાં પણ વધારો થયો હોવાનું વિશ્વબજારના જાણકારો જણાવી રહ્યા છે.
ADVERTISEMENT
બીજી તરફ ભારતમાં આયાત થતા વિવિધ ખાદ્યતેલોની ઇમ્પોર્ટ ડ્યુટી ગણવા માટે બેન્ચમાર્ક તરીકે ઉપયોગમાં લેવાતી ટેરિફ વેલ્યુમાં સરકારે વધારો કર્યો હોવાના અહેવાલો પણ મળ્યા છે. તેના કારણે આયાતી ખાદ્યતેલોની અસરકારક ઇમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થયો હોવાનું આયાતકારો જણાવી રહ્યા છે. તેની અસર દેશના બજારોમાં ખાદ્યતેલોના ભાવ પર પણ જોવા મળી રહી છે. આમ, એક તરફ તહેવારો પૂર્વે ખાદ્યતેલોની આયાતમાં વધારો થયો છે, તો બીજી તરફ વૈશ્વિક બજારમાં ભાવ, ક્રૂડતેલની તેજી અને ઇમ્પોર્ટ ડ્યુટીમાં થયેલા ફેરફારને કારણે સ્થાનિક બજાર પર પણ અસર પડી રહી છે.
ADVERTISEMENT
દરમિયાન, દેશમાં ચાલુ વર્ષે ખરીફ મોસમ દરમિયાન અત્યાર સુધીમાં વિવિધ તેલીબિયાંના વાવેતર હેઠળનો વિસ્તાર આશરે 185 લાખ હેક્ટર જેટલો નોંધાયો છે. તહેવારો દરમિયાન ખાદ્યતેલોની માગ વધવાની સંભાવના વચ્ચે આયાતમાં થયેલો આ વધારો બજાર માટે મહત્વનો માનવામાં આવી રહ્યો છે. પામતેલ, સોયાતેલ અને સનફલાવર તેલની આયાતના આંકડા જોતા આગામી સમયમાં ઘરઆંગણે ખાદ્યતેલોના ભાવ અને બજારની ચાલ પર વેપારીઓ તેમજ ગ્રાહકોની નજર રહેશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.