PM મોદીએ અમદાવાદના GMDC ગ્રાઉન્ડે પહોંચી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં હાજર આશરે દોઢ લાખ લોકોને સંબોધન કર્યું હતું
પ્રધાનમંત્રી મોદીની અપીલ પર શિક્ષણ વિભાગનો નિર્ણય
દરેક શાળાના જન્મદિવસની ઉજવણી શિક્ષણ વિભાગ કરશે: જીતુ વાઘાણી
ગામોમાં 75 વૃક્ષોની વાવણી પણ કરાવશે શિક્ષણ વિભાગ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. પ્રધાનમંત્રી નરેદ્ર મોદી મિશન ગુજરાત સાથે ગુજરાત આવ્યા છે. આથી પ્રધાનમંત્રી મોદીની ભાજપના સાંસદો અને ધારાસભ્યો સાથેની મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ તેઓ રાજભવને મહત્વની મુલાકાત કરી હતી. ત્યાંથી તેઓ GMDC ગ્રાઉન્ડે પહોંચી ગુજરાત પંચાયત મહાસંમેલનમાં અંતર્ગત સરપંચો સાથે સંવાદ કર્યો હતો.
દરેક શાળાના જન્મદિવસની ઉજવણી શિક્ષણ વિભાગ કરશે: જીતુ વાઘાણી
ગુજરાત પંચાયત મહાસંમેલનમાં PM મોદીએ સંબોધનમાં કહ્યું હતું કે શાળાઓ આપણાં ગામની શક્તિ છે, શાળાનો પણ જન્મદિવસ ઉજવો. જે બાદ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત પણ કરી દીધી છે કે હવે દરેક શાળા પોતાનો જન્મદિવસ ગામ લોકોની હાજરીમાં ઉજવશે.
આઝાદીના 75 વર્ષનો જ્યારે અમૃત મહોત્સવ દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે અલગ અલગ 5 જેટલા કામો ગામડાના લોકો કરે તેવુ આહ્વાન કર્યું હતું. જેમાં 75 વખત ગામજનો ભેગા મળી પ્રભાત ફેરી કાઢે, 75 નાના નાના કાર્યક્રમો ગામલોકો ભેગા મળી આયોજન કરે જેમાં ગામની બહાર રહેતા લોકોને પણ આમંત્રણ આપી બોલાવવામાં આવે અને ગામના વિકાસના આયોજન કરવામાં આવે. તે બાદ પીએમ મોદીએ એક ગામ 75 વૃક્ષ સળંગ એક સામટા વાવી પર્યાવરણ સાથે ગામના વડીલો માટે બેસવાની સારી વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવુ પણ સૂચન કર્યું છે. છેલ્લે દરેક ગામના 75 ખેડૂતો પોતાની જમીનમાં થોડું ઘણું અનાજ પ્રાકૃતિક ઉગાડી નેચરલ ખેતી તરફ પણ જોડાય તેવુ આહ્વાન કર્યું હતું.
ગામલોકોને શું આપ્યો ટાસ્ક?
PM મોદીની મહત્વની વાતો
ગામ આખુ ભેગુ થઈને શાળાના જન્મદિવસની ઉજવણી કરી શકે ?
આટલા સમય ગાળામાં ઓછામાં ઓછી 75 વખત પ્રભાતફેરી કરો
આપણે ઓછામાં ઓછા 75 કાર્યક્રમો કરી શકીએ
આઝાદીના 75 વર્ષની યાદમાં 75 વૃક્ષ વાવીએ
આપણા કાર્યકાળ દરમિયાન જે 5 વર્ષ મળ્યા એમાં યાદગાર કામ કરી શકીએ
ગામના 75 ખેડૂતો નક્કી કરે છે હવે આપણે પ્રાકૃતિક ખેતી કરીશુ
પ્રાકૃતિક ખેતી કેવી રીતે થઈ શકે એનાથી ગુજરાત અજાણ નથી
આપણાથી શક્ય હોય એટલી તલાવડી બનાવીને પાણીનો સંગ્રહ થઈ શકે
આપણા ગામમાં ઓછામાં ઓછી 75 ખેત તલાવડી બનાવી શકાય
પશુને બિમારીથી મુક્ત કરવાનું કામ આપણા ગામમાં કરી શકાય
આ એવા કામ છે જેના પૈસા સરકાર ખર્ચી રહી છે
LED લાઈટના ઉપયોગથી નાણાની બચત કરી શકાય
કોરોનાને ભારતના ગામડાઓમાં પહોચતા ફીણ આવી ગયું: PM મોદી
PM મોદીએ ગુજરાતીમાં કાર્યક્રમનું સંબોધન કર્યુ હતું અને કેમ છો કહી જનતાનું અભિવાદન પણ ઝીલ્યું હતું. PM મોદીએ સંબોધનમાં મહત્વની વાત કરતાં કહ્યું હતું કે ગ્રામ સ્વરાજને નિરંતર ગતિ આપવાનું કામ જનપ્રતિનિધીઓનું છે ગુજરાતના ગ્રામીણ જીવનનું કામ દેશ માટે પ્રેરક બનશે. આટલો મોટા કોરોનાને ભારતના ગામડાઓમાં પહોચતા ફીણ આવી ગયું. તેથી ગામડાના સૌ આગેવાનોને લાખ લાખ અભિનંદન
'ગામડાની મહિલા જો સરપંચ હોય તો ગામનો વહીવટ પતિ ન કરે. બહેનો સક્ષમ જ છે'
વધુમાં કહ્યું હતું કે આપણા નાના ખેડૂતોએ કોરોના કાળખંડમાં પણ પાછીપાની નથી રાખી, દેશના અન્ન ભંડાર ભરવામાં ખેડૂતોએ કોઈ કચાસ નથી રાખી. ગુજરાતનું સૌભાગ્ય છે કે પુરૂષોથી વધુ પંચાયતનું પ્રતિનિધીત્વ મહિલાઓ કરે છે. સમરસ ગ્રામપંચાયતોનો વિચાર આપણા ગામડાઓએ સ્વિકાર્યો છે. લોકસભા કે વિધાનસભામાં બે પક્ષો સામ સામે આવે તો વાંધો ન આવે ગામડાઓમાં એવી સ્થિતિ હતી કે બે પક્ષો સામે બોલે પણ નહી, વિનોબા જી કહેતા હતા કે ગામની સહમતીથી પ્રતિનિધીઓ નિમાય. આપણા સમરસના પ્રયોગને ગામડાઓએ સ્વિકાર્યો છે
અમારા ગામમાં કોઈ ગરીબ ન રહે તેવું મને ગામડાની બહેને કહ્યુ હતુ. હિંદુસ્તાનના એકે એક ગામના પ્રતિનિધીઓએ સંકલ્પ કરે તો ગરીબી ન રહે. ગામમાં જાન આવે એટલે સૌ એમ જ કહે કે મારા ત્યા જાન આવી છે. આખી જાનને ગામના લોકો સાંચવી લે એ ગામની તાકાત છે. 2023 ઓગસ્ટ સુધી અમૃત મહોત્સવ ગામડાઓમાં ઉજવાય અને ગામડાની મહિલા જો સરપંચ હોય તો ગામનો વહીવટ પતિ ન કરે. બહેનો સક્ષમ જ છે તેમણે પણ મોકો આપે તે વધારે સારી રીતે ગામનો વિકાસ કરી બતાવશે.
12 માર્ચે પ્રધાનમંત્રી મોદીના કાર્યક્રમ
ભાજપના ગુજરાત મિશન - 2022 અંતર્ગત પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આ પ્રમાણે પ્રધાનમંત્રી મોદીનો 12 માર્ચનો કાર્યક્રમ જોઇએ તો સવારે 10 વાગ્યે રક્ષાશક્તિ યુનિવર્સીટી જવા રવાના થશે. ગાંધીનગરથી દહેગામ સુધી પ્રધાનમંત્રી મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. સવારે 11 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટી પહોંચશે અને ત્યારબાદ સવારે 11.15 વાગે રક્ષાશક્તિ યુનિવર્સીટીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. આ સાથે પદવીદાન સમારોહમાં પણ તેઓ ઉપસ્થિત રહેશે. આ પછી તેઓ બપોરે 1 વાગે રાજભવન પહોંચશે. જયાં તેઓ સાંજ 6 વાગ્યા સુધી રોકાણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી સાંજે 6 વાગે સરદાર પટેલ સ્ટેડિયમ જવા રવાના થશે અને સાંજે 7 કલાકે SP સ્ટેડિયમમાં ખેલ મહાકુંભ 2022ને ખુલ્લો મુકશે. આ સાથે તેઓ હજારોની જનમેદનીને સંબોધન કરશે. ત્યારબાદ રાત્રે 8 વાગે સ્ટેડિયમથી એરપોર્ટ રવાના થશે. રાત્રીના 8.30 વાગે અમદાવાદથી દિલ્લી જવા રવાના થશે