ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / મસ્તી કરતા ભાઈ-બહેનને માતાએ ઠપકો આપતા સગીરને માઠું લાગ્યું, ને ખાઈ લીધો ગળાફાંસો
Last Updated: 12:27 PM, 1 September 2026
ADVERTISEMENT
આજના સમયમાં બાળકોના મનમાં ક્યારે શું ચાલી રહ્યું હોય છે, તેની માતા-પિતાને પણ ઘણી વખત કોઈ કલ્પના હોતી નથી. બાળક હસતું હોય, ભાઈ-બહેન સાથે મસ્તી કરતું હોય પરંતુ તેના મનમાં કોઈ વાતને લઈને ભાર હોય તો પરિવારને તેની ખબર પણ ન પડે. સુરતના રાંદેર વિસ્તારમાં બનેલી 13 વર્ષના કિશોરની ઘટના આવી જ અનેક ચિંતાઓ ઉભી કરે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ધોરણ 8માં અભ્યાસ કરતા 13 વર્ષના કિશોરે જીવન ટૂંકાવી દીધું હોવાની આ ઘટના ધટી છે. મળતી માહિતી પ્રમાણે, કિશોર પોતાના ભાઈ-બહેન સાથે મસ્તી કરી રહ્યો હતો. માતાએ મસ્તી કરવાની ના પાડતા તેને ઠપકો આપ્યો હતો. ત્યારબાદ કિશોરે દાદરની ગ્રીલ પર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. સમગ્ર મામલે રાંદેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
આ ઘટનાને માત્ર એક ઠપકાનું પરિણામ માનીને વાત પૂરી કરી શકાય નહીં. સૌથી મોટો સવાલ એ છે કે બાળકના મનમાં ખરેખર શું ચાલી રહ્યું હતું? શું તે પહેલેથી કોઈ વાતને લઈને પરેશાન હતો? શું કોઈ એવી લાગણી હતી જે તે પરિવાર સાથે શેર કરી શક્યો નહોતો? આ તમામ સવાલોના જવાબ પોલીસની તપાસમાં સામે આવશે, પરંતુ આ ઘટના માતા-પિતા માટે ચોક્કસપણે વિચારવાનો સમય છે.
ADVERTISEMENT
આજની જનરેશનના બાળકો અગાઉની પેઢીના બાળકો કરતા અલગ વાતાવરણમાં મોટા થઈ રહ્યા છે. તેમના પર અભ્યાસ, મિત્રો, સોશિયલ મીડિયા, મોબાઈલ, સ્પર્ધા અને પોતાની અલગ ઓળખ બનાવવાનું દબાણ હોય છે. ઘણી વખત બાળક બહારથી એકદમ સામાન્ય દેખાય છે, પરંતુ અંદરથી તે કોઈ વાતને લઈને પરેશાન હોઈ શકે છે. આવી સ્થિતિમાં માતા-પિતાએ માત્ર બાળક શું કરી રહ્યું છે તે જોવાને બદલે બાળક શું અનુભવી રહ્યું છે તે સમજવાનો પ્રયાસ કરવો જરૂરી છે. માતા-પિતા માટે સૌથી મુશ્કેલ વાત એ છે કે બાળકને શિસ્તમાં પણ રાખવું છે અને તેની લાગણીઓને પણ સમજવી છે. બાળકને દરેક વાતમાં છૂટ આપી શકાય નહીં, પરંતુ દરેક ભૂલ માટે કડક ઠપકો આપવો પણ યોગ્ય નથી. કોઈ બાબતે બાળકને સમજાવવું હોય તો તેની સાથે શાંતિથી વાત કરવી, તેની વાત સાંભળવી અને તે શું કહેવા માંગે છે તે સમજવું ખૂબ જ જરૂરી છે.
ADVERTISEMENT
આજના સમયમાં માતા-પિતાએ બાળકોના મિત્ર બનવાની પણ જરૂર છે. બાળકને એવી લાગણી હોવી જોઈએ કે તે કોઈપણ વાત પોતાના માતા-પિતાને કહી શકે. ભલે તેણે ભૂલ કરી હોય, છતાં પહેલાં તેની વાત સાંભળવામાં આવશે અને પછી તેને સમજાવવામાં આવશે. ઘરમાં વાતચીતનું વાતાવરણ હશે તો બાળક પોતાની મુશ્કેલી મનમાં રાખવાને બદલે પરિવાર સાથે શેર કરી શકે છે. સુરતની આ ઘટના એક પરિવાર માટે ક્યારેય ન ભરાય તેવી ખોટ છે, પરંતુ સાથે સાથે સમાજ માટે પણ એક મોટો સવાલ છોડી જાય છે. આપણે બાળકોને ભણાવીએ છીએ, તેમની કારકિર્દીની ચિંતા કરીએ છીએ, તેમને સારી સુવિધાઓ આપીએ છીએ, પરંતુ શું આપણે તેમની અંદરની લાગણીઓ વિશે પણ એટલી જ ગંભીરતાથી વિચારીએ છીએ?
ADVERTISEMENT
બાળકનું વર્તન અચાનક બદલાય, તે સતત ઉદાસ રહે, પરિવારથી દૂર રહે, પોતાની વાત શેર કરવાનું બંધ કરી દે અથવા જીવન વિશે નિરાશાજનક વાતો કરે તો તેને માત્ર ‘બાળકની મસ્તી’ કે ‘ઉંમરની અસર’ કહીને અવગણવી નહીં. આવી સ્થિતિમાં બાળક સાથે શાંતિથી વાત કરવી અને જરૂર લાગે તો કાઉન્સેલર કે માનસિક આરોગ્ય નિષ્ણાતની મદદ લેવી મહત્વની છે.
સંકળાયેલા મુદ્દાઓ