ધારાસભ્ય દળના નેતા તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરાયા બાદ તેઓએ પત્રકાર પરિષદમાં મંત્રીમંડળને લઈને મહત્વનું નિવેદન આપ્યું. તેઓએ જણાવ્યું કે, પાર્ટી જે પણ નિર્ણય લેશે તમને કહીશું જ, સમય પ્રમાણે બધુ થાય તો તમને અને અમને પણ ગમશે.
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ ભાજપે નવી સરકાર રચવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાત સરકારના મંત્રી મંડળમાં કોને-કોને સ્થાન મળશે અને એનું જ્ઞાતિ સમીકરણ કેવું હશે એ અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આજે ધારાસભ્ય દળની બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ પર મહોર લાગ્યા બાદ તેઓએ પત્રકાર પરીષદ સંબોધી હતી.
ધારાસભ્ચોની બઠકમાં મારી કરાઈ પસંદગીઃ ભૂપેન્દ્ર પટેલ
જેમાં ભાવિ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પક્ષના નેતાની નિયુક્તિ કરવાની બેઠકમાં આજે ફરી મારી વરણી કરવામાં આવી છે. ગુજરાતની જનતાએ ભાજપ સરકારની વિકાસની રાજનીતિ પર ફરી મહોર લગાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ફરી ભારતીય જનતા પાર્ટી ખૂબ સારી રીતે કામ કરશે.
સંકલ્પ પત્ર મુદ્દે આપ્યું આ નિવેદન
સરકાર બનતાની સાથે સંકલ્પ પત્રમાંથી ક્યા મુદ્દાને પ્રાથમિકતા આપવામાં આવશે? જેના જવાબમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, જો સંકલ્પ પત્ર રજૂ કર્યું હોય તો એ પ્રાથમિકતા જ હોય અને પ્રાથમિકતા કરતા પણ ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી કોઈ મુદ્દો છોડ્યો નથી, વર્ષો જૂના મુદ્દા જો પૂર્ણ કર્યા હોય તો આ મુદ્દાઓ પર ચોક્કસ કામ કરવામાં આવશે.
નવા મંત્રીમંડળને લઈને શું કહ્યું?
નવા મંત્રીમંડળમાં કોને-કોને સ્થાન મળશે? આ સવાલના જવાબમાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પાર્ટી દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે એ તમને ચોક્કસ જણાવવામાં આવશે, સમય પ્રમાણે બધુ થાય તો તમને અને અમને પણ ગમશે.