ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના દિગ્ગજોએ પણ પોતાનો દમ દેખાડ્યો છે. 2017માં જ્યાં ભાજપની હાર થઈ હતી, ત્યાં તનતોડ મહેનત કરીને યુપીના રણનીતિકારોએ બાજી પલટી નાખી છે.
ગુજરાતની જંગમાં યુપીના દિગ્ગજોએ પોતાની તાકાત બતાવી
એક મહિના સુધી મહેનત કરી પલટી નાખી બીજી
સ્વતંત્ર દેવ સિંહ અને દયાશંકર સિંહની કામગીરી રહી શ્રેષ્ઠ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની વિક્રમી જીતમાં ઉત્તર પ્રદેશના ભાજપના દિગ્ગજ નેતાઓએ પણ પોતાનો દમ દેખાડ્યો. ગુજરાતમાં ચૂંટણી પ્રભારી તરીકે તૈનાત કરવામાં આવેલા યોગી સરકારના મંત્રીઓ અને પાર્ટીના નેતાએ લગભગ એક મહિના સુધી રાજ્યમાં રાજકીય કુશાગ્રતા બતાવી 2017માં ભાજપની હારેલી બેઠકો પર આ વખતે બાજી પલટી દીધી છે. જળ ઉર્જા મંત્રી સ્વતંત્ર દેવ સિંહ અને પરિવહન રાજ્યમંત્રી દયાશંકર સિંહનું પ્રદર્શન શ્રેષ્ઠ રહ્યું.
આ દિગ્ગજોને સોંપાઈ હતી જવાબદારી
ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વએ ગુજરાત ચૂંટણી માટે જળ ઉર્જા મંત્રી સ્વતંત્ર દેવ સિંહને કચ્છ, સહકારીતા રાજ્યમંત્રી જે.પી.એસ. રાઠોડને મહિસાગર, પરિવહન રાજ્યમંત્રી દયાશંકર સિંહને રાજકોટના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. જ્યારે રાજ્યસભાના સાંસદ લક્ષ્મીકાંત બાજપેયીને જૂનાગઢ, વિજયપાલસિંહ તોમરને સોમનાથ અને પૂર્વ મંત્રી સુરેશ રાણાને દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લાની છ બેઠકોની જવાબદારી સોંપવામાં આવી હતી.
2022માં કચ્છની તમામ બેઠકો ભાજપે જીતી
સ્વતંત્ર દેવસિંહને કચ્છની અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. 2017માં અબડાસા અને રાપર કોંગ્રેસ પાસે હતી, જ્યારે બાકીની ચાર બેઠકો ભાજપ પાસે હતી. 2022માં ભાજપે તમામ છ બેઠકો જીતી છે.
મહીસાગરમાં કર્યું સારું પ્રદર્શન
સહકાર રાજ્યમંત્રી જેપીએસ રાઠોડને મહીસાગર જિલ્લાની બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુર બેઠકના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. 2017માં કોંગ્રેસે બાલાસિનોર, લુણાવાડામાં અપક્ષ અને સંતરામપુરમાં ભાજપે જીત મેળવી હતી. આ વખતે ચૂંટણીમાં બાલાસિનોર અને સંતરામપુરમાં ભાજપ જ્યારે લુણાવાડામાં કોંગ્રેસનો વિજય થયો છે.
રાજકોટમાં દયાશંકર સિંહે બનાવી હતી રણનીતિ
રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી (સ્વતંત્ર હવાલો) દયાશંકર સિંહ પાસે રાજકોટ જિલ્લાની રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર અને ધોરાજી બેઠકોની કમાન હતી. 2017માં જસદણ, ધોરાજી કોંગ્રેસની પાસે હતી. જ્યારે બાકીની ત્રણ બેઠકો ભાજપે જીતી હતી. આ વખતે ભાજપે તમામ પાંચ બેઠકો જીતી લીધી છે.
લક્ષ્મીકાંત બાજપેયીને બનાવાયા હતા જૂનાગઢના પ્રભારી
રાજ્યસભાના સભ્ય અને મુખ્ય દંડક લક્ષ્મીકાંત બાજપેયીને જૂનાગઢના પ્રભારી બનાવવામાં આવ્યા હતા. 2017માં જૂનાગઢની માણાવદર બેઠક કોંગ્રેસ પાસે હતી. જૂનાગઢ, વિસાવદર, માંગરોળ અને કેશોદ બેઠકો ભાજપ પાસે હતી. આ વખતે માણાવદર ફરી કોંગ્રેસ પાસે રહ્યું છે. વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ભાજપે જૂનાગઢ, માંગરોળ અને કેશોર બેઠક જાળવી રાખી છે.
આ નેતાઓએ પણ ભજવી મહત્વની ભૂમિકા
રાજ્યસભાના સભ્ય વિજયપાલ સિંહ તોમરને સોમનાથ જિલ્લાના પ્રભારી બનાવવામાં આવ્યા છે. સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના બેઠકો અગાઉ કોંગ્રેસ પાસે હતી. આ વખતે કોંગ્રેસે ફરી સોમનાથ કબજે કર્યું છે. જ્યારે ભાજપે કોંગ્રેસ પાસેથી બાકીની ત્રણ બેઠકો છીનવી લીધી છે. પૂર્વ મંત્રી સુરેશ રાણાને દ્વારકા, પોરબંદર અને જામનગર જિલ્લાની કમાન સોંપવામાં આવી હતી. દ્વારકા બેઠક પર ભાજપે ફરી જીત મેળવી છે. ખંભાળીયાના ભાજપના મુળુભાઈએ AAPના સીએમ ઉમેદવાર ઈસુદાન ગઢવીને હરાવ્યા છે. પોરબંદરમાં કોંગ્રેસે ફરી જીત નોંધાવી છે. કુતિયાણામાં સમાજવાદી પાર્ટીનું ખાતું ખુલ્યું છે. જામનગર ઉત્તર અને દક્ષિણ બેઠક પર ભાજપનો વિજય થયો છે.
એક હજારથી વધુ કાર્યકર્તાઓ આવ્યા હતા ગુજરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે એક હજારથી વધુ કાર્યકર્તાઓ ગુજરાત આવ્યા હતા. આ માટે સંયોજક તરીકે પ્રદેશ મહામંત્રી લોધીની નિમણૂક કરવામાં આવી હતી. રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યશ, બ્રિજેશ પાઠક, કેબિનેટ મંત્રી અરવિંદ શર્મા, પૂર્વ મંત્રી મહેન્દ્ર સિંહ, ધારાસભ્ય શાલભમણી ત્રિપાઠી પણ પ્રચાર માટે આવ્યા હતા. અંકુશ ત્રિપાઠીને મીડિયા મેનેજમેન્ટ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા.