રાધનપુરના ગામડાઓમાં લોકોને વિના મુલ્યે આરોગ્યલક્ષી સેવા આપીને સ્માઈલ સંસ્થા ભગીરથ કાર્ય કરી રહી છે . છેલ્લાં આઠેક માસથી આ સંસ્થાએ પોતાના સ્માઈલ ઑન વ્હીલ અભિયાન સાથે અત્યારસુધીમાં લગભગ 14 હજાર લોકોને સારવાર આપી છે.
રાધનપુર જેવા સરહદી વિસ્તારના ગામડાંઓમાં સરકાર ગમે તેટલા પ્રયાસ કરે તો પણ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડી શકતી નથી. આવી વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રીય સ્તરે કાર્યરત એવી સ્માઇલ સંસ્થાએ આવા ગામડાંઓમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. એક ખાનગી કંપનીના સહયોગથી સ્માઇલ સંસ્થાની એમ્બ્યુલન્સ વાન આવા ગામડાંઓમાં ફરે છે. આ વાન દ્વારા આરોગ્યની તપાસ સારવાર અને આરોગ્ય જાગૃતિ અંગેના કાર્યક્રમો આપવામાં આવે છે.
સરકારની 108 એમ્બ્યુલન્સ સેવાની સફળતાને લક્ષમાં રાખી આ સંસ્થાએ આરોગ્યલક્ષી સેવા પૂરી પાડવાનું નિર્ધારિત કર્યું છે. તેમના દ્વારા 108 એમ્બ્યુલન્સ જેવી જ અત્યાધુનિક એમ્બ્યુલન્સ વાન તૈયાર કરવામાં આવી છે. આ વાન દ્વારા દરરોજ સાબરકાંઠાના ત્રણ ગામોમાં આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવે છે. તેમના દ્વારા સાબરકાંઠા જિલ્લાના 20 ગામડાં પસંદ કરવામાં આવ્યા છે. અઠવાડિયાના પાંચ દિવસ આરોગ્યલક્ષી સેવા તો એક દિવસ આરોગ્ય જાગૃતિ અંગે ફાળવવામાં આવ્યો છે. સ્માઇલ ઑન વ્હીલે દર મહિને આશરે 2થી 3 હજાર લોકોને આ સેવા આપવામાં આવે છે. એ મુજબ અત્યાર સુધીમાં કુલ 14 હજાર જેટલા લોકોને સારવાર અપાઈ ચૂકી છે. શાળા આરોગ્ય તપાસ દરમિયાન 3 હજાર વિદ્યાર્થીઓને આ સેવાનો લાભ મળી ચૂક્યો છે.
સાબરકાંઠાના સરહદી વિસ્તારના લોકોમાં 45 વર્ષથી મોટી વયની મહિલાઓમાં પથરીની બિમારી વધુ જોવા મળે છે. અહીંના પાણીમાં ફ્લોરાઇડનું પ્રમાણ વધારે હોવાથી સાંધાના દુખાવાની સમસ્યાથી લોકો પિડાતા હોય છે. જો કે અગાઉ આરોગ્યલક્ષી સેવાઓના અભાવે લોકોએ સારવાર લેવા શહેરમાં જવું પડતું હતું. પરંતુ હાલમાં સ્માઇલ દ્વારા અપાતી સેવાઓ લોકો માટે આશીર્વાદરૂપ બની છે.
તમામ લોકોને આરોગ્યલક્ષી સેવા મળી રહે તે સરકારના મુખ્ય ધ્યેયોમાંનું એક છે. સરકાર દ્વારા આરોગ્યલક્ષી સેવાઓ પાછળ કરોડો રૂપિયા પણ ખર્ચવામાં આવે છે. તેમ છતાં ઘણા એવા છેવાડાના અને સરહદી વિસ્તારો છે જ્યાંના લોકો આ સેવાથી વંચિત રહી જાય છે. આ સ્થિતિમાં સ્માઇલ સંસ્થા દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી ખરેખર સરાહનીય છે. આ પ્રકારનું કાર્ય અન્ય પણ કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ ઉપાડી લે તો સરકારનો ભાર ઘણા અંશે હળવો થઈ શકે.