વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિશન શક્તિને લઇને રાષ્ટ્રને સંબોધન આચર સંહિતાનું ઉલ્લંઘન છે કે નહીં તેના પર આજે નિર્ણય આવી શકે છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરવા માટે કોઇપણ પ્રકારની મંજૂરી લીધી નહોતી. ચૂંટણી પંચનું કહેવું છે કે પીએમ મોદીએ કોઇપણ મંજૂરી વગર ટીવી પર દેશવાસીઓને સંબોધન કર્યું હતું.
આ અગાઉ ચૂંટણી પંચે આ મામલે એક તપાસ કમિટી બનાવી હતી. જેના માટે ચૂંટણી પંચે પીએમ મોદીનો ટેલિકાસ્ટ થયેલા વિડીયો મંગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નામે સંબોધન કરી એન્ટી સેટેલાઇટ મિસાઇલ ટેકનોલોજી અંગે દેશને જાણકારી આપી હતી.
પીએમ મોદીએ કહ્યું કે ભારતે એવી મિસાઇલ બનાવી લીધી છે કે જે અંતરિક્ષમાં ફરી રહેલ કોઇપણ સેટેલાઇટને નિશાન બનાવી શકે છે. વિપક્ષે જણાવ્યું છે કે પીએમ મોદીએ ટીવી પર કરેલ દેશને સંબોધન ચૂંટણી માટેના ફાયદા માટે હતી. જેને લઇને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવામાં આવી. ત્યારબાદ ચૂંટણી પંચે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી.
કમિટિ આ અંગે તપાસ કરશે કે શું પીએમ મોદીએ વૈજ્ઞાનિકોની ઉપલબ્ધિને ચૂંટણીમાં લાભ લેવા માટે કર્યો છે. પીએમ મોદીએ પોતાના સંબોધન માટે ઇલેકટ્રોનિક મિડીયાનો ઉપયોગ કર્યો હતો. જેના કારણે આ મામલો ચૂંટણી પંચ પાસે ગયો છે. સીપીઆઇના મહાસચિવ સીતારામ યેચૂરીએ પીએમ મોદી પર વૈજ્ઞાનિકની ઉપલબ્ધિનો રાજકીય ફાયદો ઉઠાવવાનો આરોપ લગાવાયો છે.