બ્રેકિંગ ન્યુઝ
5 ફોટો ગેલેરી
Last Updated: 10:29 PM, 21 July 2026
1/5
વડાપ્રધાન આવાસ બહાર નીટ પેપર લીક અને વિદ્યાર્થીઓ પર દિલ્હી પોલીસના લાઠીચાર્જ સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિતના અનેક નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. આ હંગામા દરમિયાન લોકસભામાં નેતા વિપક્ષ રાહુલ ગાંધીના નાક અને છાતી પર ગંભીર ઈજાઓ પહોંચી હોવાના સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં રાહુલ ગાંધીના નાકમાંથી લોહી વહેતું સ્પષ્ટ જોઈ શકાય છે.
2/5
પોલીસ દ્વારા PM આવાસ બહારથી હટાવવામાં આવ્યા બાદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી, તમારું જોર અજમાવી લો, આખી તાકાત લગાવી લો — વિદ્યાર્થીઓના ન્યાયની આ લડાઈ હવે રોક્યા રોકાશે નહીં. આ તમામ નેતાઓ જંતર-મંતર ખાતે CJP ના પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં લોક કલ્યાણ માર્ગ તરફ પગપાળા માર્ચ કરી રહ્યા હતા. રાહુલ ગાંધી લાંબા સમય સુધી રસ્તા પર જ બેસી રહ્યા હતા અને હટવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ મોટી સંખ્યામાં પોલીસકર્મીઓએ તેમને ઘેરી લીધા હતા અને અન્ય વિપક્ષી નેતાઓ સાથે પોલીસ વાહનમાં બેસાડીને લઈ જવામાં આવ્યા હતા.
3/5
આ વિરોધ પ્રદર્શન સંસદ સુધી વિદ્યાર્થીઓની માર્ચમાં પોલીસના હસ્તક્ષેપના એક દિવસ બાદ યોજાયું હતું. આ અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ખડગેના નિવસ્થાનેથી વડાપ્રધાનના આવાસ સુધી પાર્ટીના હજારો કાર્યકરોનું નેતૃત્વ કર્યું હતું અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ પર વિપક્ષી આંદોલનને વધુ તીવ્ર બનાવ્યું હતું. અટકાયત પહેલાં રાહુલ ગાંધીએ દેશવાસીઓને આ વિરોધમાં જોડાવા હાકલ કરતા કહ્યું હતું કે વિદ્યાર્થીઓ પર હુમલો એ દરેક ભારતીય પરિવાર પર હુમલો છે.
4/5
અગાઉ કેન્દ્રીય રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહ રાહુલ ગાંધીને મનાવવા પ્રદર્શન સ્થળે પહોંચ્યા હતા. પરંતુ કોંગ્રેસ નેતાઓના જણાવ્યા મુજબ આ ચર્ચા તદ્દન બેનતીજા રહી હતી, કારણ કે કોંગ્રેસ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા અને પરીક્ષા પેપર લીક મુદ્દે સંસદમાં તાત્કાલિક ચર્ચાની માગ પર અડગ રહી હતી. કોંગ્રેસ સાંસદ નસીર હુસૈને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી આંદોલન જારી રહેશે. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે દાવો કર્યો હતો કે સરકાર સંસદમાં ચર્ચા કરવા માટે તૈયાર હતી, પરંતુ કોંગ્રેસે પાછળથી શિક્ષણ મંત્રીના રાજીનામાની શરત ઉમેરી દીધી હતી.
5/5
કોંગ્રેસે માગ કરી છે કે પ્રદર્શનકારીઓ સામે પોલીસની બર્બર કાર્યવાહી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાં તો દેશવાસીઓની માફી માંગે અથવા પોતાના પદ પરથી રાજીનામું આપે. આ વિરોધ પ્રદર્શનને NCP (SP) ના સાંસદ સુપ્રિયા સુલે અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સહિત અનેક વિપક્ષી નેતાઓનું સંપૂર્ણ સમર્થન મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ