ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / રાખડી બંધાવવા બેંગ્લોરથી આવ્યો હતો ભાઈ, બની એવી કરુણ ઘટના કે પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ
Last Updated: 10:38 PM, 5 September 2026
ADVERTISEMENT
ગાંધીનગર નજીક અંબાપુર કેનાલ પર રક્ષાબંધનની ખુશી વચ્ચે સર્જાયેલી દુર્ઘટનાએ એક પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી દીધી છે. બેંગલુરુથી ખાસ બહેન પાસે રાખડી બંધાવવા આવેલા એન્જિનિયર યુવક અંકિતનું કેનાલના તેજ પ્રવાહમાં તણાઈ જવાથી કરુણ મોત થયું છે. યુવકને બચાવવા પાણીમાં કૂદેલા તેમના સાળા અને એરફોર્સ જવાન ગૌરવ યોગી તથા તેમની માસૂમ પુત્રીને સ્થાનિક લોકોએ સમયસૂચકતા દાખવીને સલામત બહાર કાઢી લીધા હતા.
ADVERTISEMENT
પગ લપસતાં કેનાલમાં તણાયા
મળતી માહિતી મુજબ, લેકાવાડા એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગૌરવ યોગી ગુરુવારે ઢળતી સાંજે પોતાના સાળા અંકિત અને બે બાળકો સાથે અંબાપુર કેનાલ પાસે ફરવા ગયા હતા. દરમિયાન અંકિતનો અચાનક પગ લપસતાં તેઓ કેનાલના ધસમસતા પ્રવાહમાં ગરકાવ થવા લાગ્યા હતા. સાળાને ડૂબતા જોઈ ગૌરવ યોગીએ તેમને બચાવવા માટે તરત જ પાણીમાં ઝંપલાવ્યું હતું. જોકે, પાણીનો પ્રવાહ ખૂબ જ તેજ હોવાથી ગૌરવ પણ મુશ્કેલીમાં મુકાયા હતા.
ADVERTISEMENT

પિતા અને મામાને ડૂબતા જોઈ બાળકી પણ પાણીમાં ઉતરી
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને જોઈ ગૌરવની નાની પુત્રી ગભરાઈ ગઈ હતી અને પિતા તથા મામાને બચાવવાના પ્રયાસમાં તે પણ કેનાલના પાણીમાં ઉતરી ગઈ હતી. દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા રાહદારીઓએ પરિસ્થિતિની ગંભીરતા સમજી હિંમત દાખવી હતી અને ગૌરવ તથા તેમની પુત્રીને પાણીમાંથી સલામત બહાર કાઢી લીધા હતા. જોકે, અંકિત તે દરમિયાન પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગયા હતા અને તેમનો કોઈ પત્તો લાગ્યો નહોતો.
ત્રણ દિવસ સુધી ચાલ્યું સર્ચ ઓપરેશન
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ અને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ગુરુવારે મોડી સાંજ સુધી કેનાલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જોકે, અંધારું થતાં બચાવ કામગીરી અટકાવવી પડી હતી.
શુક્રવારે બહિયલના કુશળ સ્થાનિક તરવૈયાઓની મદદથી પણ અંકિતની શોધખોળ કરવામાં આવી હતી, પરંતુ સફળતા મળી નહોતી. કેનાલમાં પાણીનો પ્રવાહ ખૂબ તેજ હોવાથી અંકિત દૂર સુધી તણાઈ ગયા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ શનિવારે ફાયર બ્રિગેડ અને તરવૈયાઓની ટીમે આગળના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ત્રણ દિવસની સતત શોધખોળ બાદ આખરે અંકિતનો મૃતદેહ મળી આવ્યો હતો.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ અલનીનોની અસર વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક, સરકારે લીધા 3 મોટા નિર્ણયો
રક્ષાબંધનની ખુશી માતમમાં ફેરવાઈ
ADVERTISEMENT
બહેન પાસે રાખડી બંધાવવા બેંગલુરુથી આવેલા અંકિત સાથે બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર પરિવારને હચમચાવી દીધો છે. રક્ષાબંધનના પવિત્ર દિવસે બનેલી આ કરુણ ઘટનાથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. એક તરફ ભાઈ-બહેનના પવિત્ર તહેવારની ખુશી હતી, તો બીજી તરફ અચાનક બનેલી દુર્ઘટનાએ પરિવારની ખુશીઓને કાયમ માટે શોકમાં ફેરવી દીધી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.