"આજે ગુજરાત" કાર્યક્રમ વીટીવી ગુજરાતી એચડીમાં સવારે 8 થી 8.30 કલાક દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવે છે તેનો આપ લાહવો લેતા હશો જો કોઇ કારણોસર આપને આ કાર્યક્ર્મ જોવાનું રહી જાય તો અહીં આ કાર્યક્રમની સંપુર્ણ વિગત અમે અહીં રજૂ કરી છે..
- અમદાવાદમાં આજે ગુજરાત સિંચાઈ અને પાણી વ્યવસ્થાપન વિધેયક 2013ના વિરોધ માટેનું સંમેલન મળશે. સંમેલન શહેરના ગુલબાઈ ટેકરામાં આવેલી પંકજ વિદ્યાલય ખાતે સવારે 9:30 વાગ્યે મળશે. દહેગામ ગ્રામ સ્વરાજ સમિતિ અમદાવાદ જિલ્લા સર્વોદય મંડળ તથા ગાંધીનગર જિલ્લા સર્વોદય મંડળ સંચાલીત મહિલા યુવા કિસાન ગ્રામ સ્વરાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ઉપસ્થિત રહેશે.
- અમદાવાદમાં આજે નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ માસ કમ્યુનિકેશન એન્ડ જર્નાલીઝમ દ્વારા ચોથી રાષ્ટ્રીય કક્ષાની કન્ઝર્વેશન મીટનું આયોજન કરવામાં આવ્યું છે. મીટ શહેરના અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે સવારે 9:30 વાગ્યે શરૂ થશે. આ કાર્યક્રમનું લાઈવ વેબકાસ્ટીંગ તથા સોશિયલ મીડિયા પર લાઈવ અપડેટિંગ પણ કરવામાં આવશે. જેમાં ભારતીય મીડિયા જગતના ખ્યાતનામ વક્તાઓ ઉપસ્થિત રહેશે.
- મોડાસામાં આજે વાત્સલ્ય ટ્રસ્ટ દ્વારા કોમેડી નાટક "પત્નિ દેવો ભવઃ" ભજવાશે. નાટક શહેરની જિનિયસ સ્કૂલના કંપાઉન્ડમાં રાત્રે 8 કલાકે શરૂ થશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રાંતિજ દલપુરની નંદીની ગૌ શાળાનાં સહયોગ માટે કરવામાં આવ્યું છે. જેનું સંચાલન રાકેશભાઈ કરશે.
- કેન્દ્રીય ગૃહમંત્રી સુશીલ કુમાર શીંદે આજે સંઘપ્રેદશ દાદરાનગર હવેલી તેમજ દમણની મુલાકાત લેશે. ગૃહમંત્રી આજે દમણ તથા દાદરાનગર હવેલીના પ્રસાશકના ઉચ્ચ અધિકારીઓ સાથે સર્કિટ હાઉસ ખાતે બેઠક કરશે. આ ઉપરાંત તેઓ દાદરા નગર હવેલી ખાતે સાયલીમાં બપોરે 1 વાગ્યે પોલીસ ટ્રશનગ શાળાનું ઉદ્ઘાટન કરશે.
- પાલનપુરમાં આજે શાહબુદ્દિન રાઠોડના હાસ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ શહેરના કાનુભાઈ મહેતા હોલ ખાતે રાત્રે 8:30 વાગ્યે યોજાશે. જેનો મોટી સંખ્યામાં લોકો લાભ લેશે.
- રાજકોટમાં આજે ગુજરાત રાજ્યના અધિક ગૃહ મુખ્ય સચિવ એસ. કે. નંદાના અધ્યક્ષ સ્થાને સુરક્ષા હેતુસર મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ મિત્ર સ્કીમ અંતર્ગત આયોજીત મીટીંગ શહેરની આત્મિય કૉલેજના ઓડિટોરીયમ ખાતે સાંજે 4:30 કલાકે યોજાશે. જેમાં શહેરના અગ્રણી નાગરિકો તથા શહેરના પોલીસકર્મીઓ ઉપસ્થિત રહેશે.
- રાજકોટ મહાનગર પાલિકાના સિંચાઈ વિભાગની ઓફિસ પરથી ન્યારી- 1 ડેમની ઉંચાઈ વધારવા માટે આજે ટેન્ડરો બહાર પાડવામાં આવશે. ન્યારી - 1 ડેમની ઉંચાઈ વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 50 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.
- ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે રાજ્યસભરના સરકારી વકીલો માટે એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી કરશે. સેમિનાર સવારે 9થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. જેમાં ગુજરાત હાઈકોર્ટના જજો પ્રાસંગિક પ્રવચન આપશે. તેમજ સરકારી વકીલોને કાયદાના વિવિધ વિષયો અંગે સંબોધન કરશે. આ પ્રસંગે કેબીનેટ કક્ષા અને રાજ્ય કક્ષાના કાયદામંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
- શ્રી દંઢવ્ય પરગણા સથવારા કડિયા કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં વિશ્વકર્મા ભગવાનના રથની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. જે રથ આજે સવારે 9 વાગ્યે અમદાવાદના નરોડા ખાતે આવી પહોંચશે. સમાજના લોકો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવશે. તેમજ સમાજના ગરીબ વિદ્યાર્થીઓ અને વિધવા બહેનોને સમાજના લોકો દ્વારા ચઢાવો બોલાવાશે.
- કચ્છના ગાંધીધામ ખાતે માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા 30 એપ્રિલથી 1 મે દરમિયાન મહા સત્સંગ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત માહિતી આપવા આજે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. પત્રકાર પરિષદ સવારે 11 કલાકે શહેરના ભારતનગર વિસ્તારમાં આવેલી માનવ ઉત્થાન સેવા સમિતિ શાખા ખાતે યોજાશે.
- ભાવનગરના મણાર ગામે આવેલી લોકશાળામાં ત્રિ દિવસીય ધન્વંતરી પ્રકૃતિ દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિક્ષકો તથા ખેડૂતો ઉપસ્થિત રહેશે.
- કાલાવાડ તાલુકાનાં નિકાવા ગામે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 5 કલાકે યોજાનરા કાર્યક્રમમાં રાજ્યમંત્રી વસુબહેન ત્રિવેદી ઉપસ્થિત રહેશે.
- જામનગરમાં આજે નિરાધાર ગૌસેવાના લાભાર્થે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારે 9 વાગ્યે મહાયજ્ઞ સાંજે 5થી 8 વાગ્યા દરમિયાન રક્તદાન કેમ્પ તથા રાત્રે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન વછરાજ બીમારા ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
- જામનગરના કલ્યાપુરના ભાટિયા ગામે આજે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 26 દંપતિઓ પ્રભુતામાં પગલા પાડશે. સોનગરા પરિવાર દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં સંતો મહંતો સહિત રાજકિય આગેવાનો ઉપસ્થિત રહેશે.
- ચોટીલામાં આજે મફત સારવાર અને નિદાન કેમ્પ યોજાશે. પંચનાથ મંદિર સામે રામચોક ખાતે બપોરે 12થી 4 વાગ્યા સુધી કેમ્પ યોજાશે. જેમાં કેન્સરરોગના નિષ્ણાત ડો. કિન્નર શાહ સેવા આપશે. કેમ્પનું આયોજન ચોટીલા એજયુકેશન ટ્રસ્ટ અને જી.સી.સી.આર.આઈ. અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યું છે.
- ગાંધીનગર રચનાત્મક સેવા સમિતિ દ્વારા દ્વિતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. દહેગામ-રખિયાલ રોડ પર પાલેયા ખાતે સમૂહલગ્ન યોજાશે. જેમાં સાંસદ હરીન પાઠક ધારાસભ્ય કામિનીબા રાઠોડ સહિત આગેવાનો અને મહેમાનો હાજર રહેશે.