ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ભાજપ અને AAP પર આકરા પ્રહાર કર્યા, તેઓએ કહ્યું કે, ડરની રાજનીતિના કારણે ભાજપ જીત્યું છે.
કોંગ્રેસના ધારાસભ્યએ ભાજપ-AAP પર પ્રહાર
વિમલ ચુડાસમાએ ભાજપ પર સાધ્યું નિશાન
ડરની રાજનીતિના કારણે ભાજપ જીત્યુંઃ વિમલ ચુડાસમા
ગઈકાલે કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં હારની સમીક્ષા માટે ઝોન વાઇઝ બેઠક બોલાવામાં આવી હતી તો સાથે સાથે જીતેલા તમામ ઉમેદવારોની પણ અલગથી બેઠક બોલાવાઇ હતી. જેમાં ગીર સોમનાથથી કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ હાજરી આપી હતી અને ભાજપની જીત અને કોંગ્રેસની હાર પર વાતચીત કરી હતી.
AAPએ કાપ્યા કોંગ્રેસના મતઃ વિમલ ચુડાસમા
કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટી અને ભાજપની ડરની રાજનીતિના કારણે ભાજપે બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીએ તમામ જગ્યાઓ પર કોંગ્રેસના મત કાપ્યાં છે. તેના કારણે ઉમેદવારો પોતાના ક્ષેત્રમાં કોંગ્રેસની વોટબેંકને ન સાચવી શક્યા હોવાનું તેઓ માને છે. સાથે સાથે પ્રદેશ નેતૃત્વનો બચાવ કરતા તેમણે જણાવ્યું હતું કે પ્રદેશ તરફથી પહેલાથી જ AAPથી સાવચેત રહેવા જણાવાયું હતું.
ભાજપે આમ આદમી પાર્ટીને આપ્યા હતા રૂપિપાઃ ચુડાસમા
VTV સાથેની વાતચીતમાં વિમલ ચુડાસમાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં આમ આદમી પાર્ટીએ 24 કલાક ડોમો ચાલું કર્યા હતા. લોકોને પીઝાને બર્ગર ખવડાવતા હતા. કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો હતો. AAPની પાસે આટલો રૂપિયો ક્યાંથી આવ્યો? કોંગ્રેસના મત તોડવા માટે આ રૂપિયા ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને આપ્યા હતા.
ખુબ પાતળી સરસાઈથી થઈ છે જીત
ઉલ્લેખનીય છે કે, વિમલ ચુડાસમાને કુલ 73 હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72 હજાર મત મળ્યા હતા. ખુબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંના ધારાસભ્ય બન્યા હતા. જે પછી તેમણે વિજય સરઘસ અને સભા વખતે ભાજપ અને આપ પર શાબ્દીક બાણ ચલાવ્યા હતા. સાથે જ ભાજપને પડકાર ફેંક્યો હતો કે આ વિમલ ચુડાસમા એકલો જ 156ને ભારે પડશે. સોમનાથનો સાવજ વિધાનસભા ગજવશે.