ખરેખર લોકસભાની ચૂંટણી લડશે ક્રિકેટ જગતના માસ્ટર બ્લાસ્ટર ખેલાડી સચિન તેંડુલકર...? એક નેતાના નિવેદન બાદ થયો મોટો ખુલાસો....
આગામી લોકસભાની ચૂંટણી પહેલા રાજકારણની ગલીઓમાં અનેક અફવાઓ ફેલાઇ રહી છે. આવી જ એક અફવા શનિવારે ઉડી હતી જ્યારે ભારતના જાણીતા ક્રિકેટર સચિન તેંડુલકરની રાજનીતિના મેદાનમાં ઉતરવાની વાત થઈ. જો કે, આ મામલે આજરોજ તે અફવા સાબિત થઇ અને સામે આવ્યું કે, માસ્ટર બ્લાસ્ટર રાજનીતિમાં ઉતરવાનો કોઇ ઇરાદો રાખતા નથી.
શું કહ્યું NCP પ્રવક્તાએ...?
સૂત્રોના જણાવ્યા મુજબ, સચિન તેંડુલકરે શનિવારની વહેલી સવારે NCPના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન શરદ પવારને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. જો કે આ મુલાકાત રાજનૈતિક હતી કે પછી વ્યક્તિગત તે અંગે આજરોજ એક મોટો ખુલાસો થવા પામ્યો હતો.
NCPના પ્રવક્તાએ સચિન તેંડુલકર અને શરદ પવારની મુલાકાતને એક ઔપચારીક મુલાકાત ગણાવી હતી. બંન્ને વચ્ચે લગભગ અડધી કલાક વાર્તાલાપ ચાલ્યો હતો જેમાં રાજકારણને લઇને કોઇપણ પ્રકારની વાતચીત થઇ નહોંતી.
શિષ્ટાચાર મુલાકાત...
પાર્ટીના સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, પુલવામામાં હુમલા બાદ સચિને પાકિસ્તાન સાથે વિશ્વકપ મેચ રમવાનો પક્ષ લીધો હતો. જેને લઇને ભાજપના સમર્થકોએ તેમને ટ્રોલ કર્યા હતા. જો કે, આ સમયગાળા દરમિયાન નેશનલ કોંગ્રેસ પાર્ટીના વડા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન શરદ પવારે તેમનો બચાવ કર્યો હતો. જેના પગલે શિષ્ટાચારના ભાગરૂપે સચિન અને શરદ પવાર વચ્ચે મુલાકાત યોજાઇ હતી.
આપને જણાવી દઇએ કે, સચિન તેંડુલકર અને શરદ પવાર વચ્ચે વર્ષો જુનો સંબંધ રહ્યો છે. UPA સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા શરદ પવાર 2005થી 2008 સુધી BCCI ના અને 2010 થી 2012 વચ્ચે ક્રિકેટની સૌથી મોટી સંસ્થા ICCC ના અધ્યક્ષ રહી ચૂક્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકર રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેમનો કાર્યકાળ 2018માં પૂર્ણ થયેલ. તેઓ તત્કાલિન કોંગ્રેસ સરકારના સમર્થનથી રાજ્યસભામાં પહોંચ્યા હતા. જો કે, પોતાના કાર્યકાળ દરમિયાન તેઓ ભાગ્યે જ સંસદ ગૃહમાં હાજર રહ્યા છે.