ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / મૃત્યુઆંક 1,225 થયો, PM બાલેન શાહે ભારતનો માન્યો આભાર, 4 દિવસ કાટમાળમાં દટાયેલું 5 વર્ષનું બાળક જીવતું બચ્યું

વિશ્વ / મૃત્યુઆંક 1,225 થયો, PM બાલેન શાહે ભારતનો માન્યો આભાર, 4 દિવસ કાટમાળમાં દટાયેલું 5 વર્ષનું બાળક જીવતું બચ્યું

Published By: Nidhi Panchal

Last Updated: 07:32 AM, 3 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં આવેલા ભયાનક પૂર બાદ મૃત્યુઆંક વધીને 1,225 થયો છે, જ્યારે 4,700થી વધુ લોકો હજુ ગુમ છે. PM બાલેન શાહે સંસદમાં ભારત અને ચીનનો રાહત-બચાવ કામગીરીમાં મદદ કરવા બદલ આભાર માન્યો છે.

ADVERTISEMENT

નેપાળમાં 26 ઓગસ્ટે આવેલા ભયાનક પૂર અને કાટમાળ બાદ સ્થિતિ હજુ પણ ગંભીર છે. આ કુદરતી આફતમાં અત્યાર સુધીમાં કુલ 1,225 લોકોના મોત થયા છે. તેમાં નેપાળમાં 1,204 અને તિબેટમાં 21 લોકોના જીવ ગયા છે. બીજી તરફ 4,700થી વધુ લોકો હજુ ગુમ છે. ગુમ થયેલા લોકોમાં ઘણા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સના કર્મચારીઓ પણ સામેલ છે. હજુ પણ એવી આશંકા છે કે કેટલાક લોકો સુરંગોમાં ફસાયેલા હોઈ શકે છે. આ દરમિયાન નેપાળના વડાપ્રધાન બાલેન શાહે બુધવારે સંસદને સંબોધતા પૂર રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા બદલ ભારત અને ચીનનો આભાર માન્યો હતો.

Nepal-2

બંને પાડોશી દેશોએ સમયસર નેપાળને રાહત આપી

બાલેન શાહે સંસદમાં કહ્યું કે બંને પાડોશી દેશોએ સમયસર નેપાળને રાહત સામગ્રી, ટેકનિકલ ટીમો અને તાત્કાલિક મદદ મોકલી છે. ભારત તરફથી અત્યાર સુધીમાં રાહત સામગ્રીની પાંચમી ઉડાન પણ નેપાળ પહોંચી છે. ભારતીય ટીમો સુરંગોમાં સર્ચ ઓપરેશન અને મૃતદેહોની ઓળખ કરવામાં મદદ કરી રહી છે. બીજી તરફ ચીને ગ્યિરોંગ બોર્ડર સુધી જતો હાઈવે ખોલી દીધો છે. આ હાઈવે ખુલવાથી રાહત અને બચાવ ટીમો અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં મદદ મળી રહી છે.

નેપાળમાં જ 1,204 લોકોના મોત થયા

બુધવારે સાંજે 6 વાગ્યા સુધીના આંકડા પ્રમાણે ફક્ત નેપાળમાં જ 1,204 લોકોના મોત થયા હતા. તિબેટમાં અત્યાર સુધીમાં 21 લોકોના મોત થયા છે. પૂર બાદ ચિતવનમાં નારાયણી એટલે કે ગંડક અને ત્રિશૂલી નદીઓનું જળસ્તર પણ વધેલું જોવા મળ્યું છે. બુધવાર, 2 સપ્ટેમ્બરના રોજ આ નદીઓનો એરિયલ વ્યૂ સામે આવ્યો હતો. તેમાં પૂર બાદ વિસ્તારમાં થયેલી તબાહી સ્પષ્ટ જોવા મળી હતી.

આબોહવા પરિવર્તનના જોખમની ગંભીર ચેતવણી ગણાવી

નેપાળના વડાપ્રધાન બાલેન શાહે 26 ઓગસ્ટે ભોટેકોશી નદીમાં આવેલા પૂરને હિમાલયી વિસ્તારમાં વધી રહેલા આબોહવા પરિવર્તનના જોખમની ગંભીર ચેતવણી ગણાવી છે. સંસદમાં તેમણે કહ્યું કે નિષ્ણાતોના મતે ઊંચા હિમાલયી વિસ્તારમાં બરફ અને ખડકોનો મોટો ભાગ તૂટવાથી આ આફત આવી હતી. શાહે કહ્યું કે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આબોહવા પરિવર્તન સાથે હિમાલયી વિસ્તારમાં કુદરતી આફતોનો ખતરો સતત વધી રહ્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે આબોહવા પરિવર્તન સમગ્ર દુનિયાની ગતિવિધિઓનું પરિણામ છે, તેથી તેની અસર ઓછી કરવી અને તેનાથી ઊભા થતા જોખમોનો સામનો કરવો સમગ્ર વિશ્વની સહિયારી જવાબદારી છે.

Nepal-Flood

સતત રાહત સામગ્રી અને બચાવ ટીમો મોકલી

આ મુશ્કેલ સમયમાં ભારતે નેપાળ માટે સતત રાહત સામગ્રી અને બચાવ ટીમો મોકલી છે. 26 ઓગસ્ટે ભારતે પ્રથમ C-130J ફ્લાઇટ દ્વારા લગભગ 10 ટન રાહત સામગ્રી મોકલી હતી. તેમાં ધાબળા, તાડપત્રી, હાઈજીન કીટ અને જરૂરી સામાન હતો. ત્યારબાદ 27 ઓગસ્ટે C-17 ગ્લોબમાસ્ટર વિમાન દ્વારા 37.5 ટન સહાય મોકલવામાં આવી હતી. તેમાં રાહત સામગ્રી, દવાઓ અને ફૂડ પેકેટ સામેલ હતા.

5.5 ટન જરૂરી દવાઓ મોકલવામાં આવી

28 ઓગસ્ટે ત્રીજા જથ્થામાં લગભગ 10 ટન રાહત સામગ્રી સાથે 11 સભ્યોની મેડિકલ અને ટનલ-રેસ્ક્યુ નિષ્ણાતોની ટીમ નેપાળ મોકલવામાં આવી હતી. 30 ઓગસ્ટે ચોથી ફ્લાઇટ દ્વારા 11 ટન રાહત સામગ્રી પહોંચાડવામાં આવી હતી. તેની સાથે ડીએનએ ફોરેન્સિક નિષ્ણાતો અને ટનલ રેસ્ક્યુ ઉપકરણો પણ મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે ભારતે પાંચમી રાહત ઉડાન મોકલી હતી. આ ફ્લાઇટમાં 11 સભ્યોની ખાસ બચાવ ટીમ, અત્યાધુનિક બચાવ સાધનો અને 5.5 ટન જરૂરી દવાઓ મોકલવામાં આવી હતી. ભારતે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટિંગ નિષ્ણાતોની ટીમ પણ તૈનાત કરી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે X પર પોસ્ટ કરીને ભારતની પાંચમી સહાયતા ઉડાન અંગે માહિતી આપી હતી. આ પહેલા ભારત ચાર રાહત ઉડાનો દ્વારા નેપાળને લગભગ 68.5 ટન રાહત સામગ્રી મોકલી ચૂક્યું છે. તેમાં દવાઓ, ખાદ્ય સામગ્રી, ધાબળા, સ્લીપિંગ બેગ, તાડપત્રી, હાઈજીન કીટ અને અન્ય જરૂરી સામાન સામેલ છે.

એક બાળકને જીવતું બચાવવાની ઘટના પણ સામે આવી

આટલી મોટી તબાહી વચ્ચે એક બાળકને જીવતું બચાવવાની ઘટના પણ સામે આવી છે. નેપાળમાં પૂરના કાટમાળમાં ચાર દિવસ સુધી દટાયેલા રહેલા 5 વર્ષના બાળકને બચાવ ટીમે જીવતો બહાર કાઢ્યો હતો. બચાવ બાદ બાળક એટલો થાકેલો હતો કે તે બરાબર બોલી પણ શકતો ન હતો. સામે આવેલા એક વીડિયોમાં નેપાળી સેનાનો જવાન બાળકને ખીચડી અને પાણી પીવડાવતો જોવા મળ્યો હતો. જવાને બાળકને દિલાસો આપતા કહ્યું કે તે જલ્દી પોતાના પરિવારને મળશે અને ત્યારબાદ શાળાએ પણ જઈ શકશે. આ ઘટના તબાહીના માહોલ વચ્ચે આશાનું એક મોટું ઉદાહરણ બની છે.

વધુ એક મહત્વની માહિતી આપી

નેપાળના PM બાલેન શાહે સંસદમાં વધુ એક મહત્વની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પૂર બાદ અત્યાર સુધીમાં 95 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. શાહે જણાવ્યું કે 26 ઓગસ્ટની સવારે લગભગ 8:30 વાગ્યે પૂર આવ્યું હતું. માહિતી મળતા જ સરકારે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી. સવારે 9:15 વાગ્યે કટોકટીની બેઠક બોલાવવામાં આવી અને 10:30 વાગ્યા સુધીમાં હેલિકોપ્ટર અને બચાવ દળોને તૈનાત કરવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : રોજગારની શોધમાં યુક્રેન ગયો હતો યુવક, રશિયન મિસાઇલ બની કાળ, 42 વર્ષીય સુદર્શનના મોતથી પરિવારમાં માતમ છવાયો

હાલ નેપાળમાં રાહત અને બચાવ કામગીરી સતત ચાલી રહી છે. એક તરફ ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ સુરંગોમાં ફસાયેલા લોકો અને હાઈડ્રોપાવર પ્રોજેક્ટના કર્મચારીઓને શોધવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. ભારત અને ચીન તરફથી મળતી મદદને કારણે બચાવ કામગીરીને ઝડપ મળી રહી છે. પરંતુ 1,225 લોકોના મોત અને 4,700થી વધુ લોકો ગુમ હોવાના આંકડા બતાવે છે કે આ પૂરથી નેપાળમાં કેટલા મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન થયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal Flood Balen Shah India Aid Nepal

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ