વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ફરી એક વાર બફાટ કરતા જોવા મળ્યા છે.
ડાયરેક્ટર રામગોપાલ વર્માએ વિવાદીત ટ્વિટ કર્યું
NDA ના રાષ્ટ્રપતિ ઉમેદવાર પર અપમાનજનક વાત કહી
ભાજપના નેતાઓએ પોલીસમાં ફરિયાદ કરી
વિવાદિત નિવેદનો માટે ચર્ચામાં રહેતા ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા ફરી એક વાર બફાટ કરતા જોવા મળ્યા છે. વર્માએ એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ પર એક વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે, જેને લઈને ભાજપના નેતાઓએ પોલીસમાં ફરિયાદ કરી છે.
રંગીલા અને સત્યા જેવી ફિલ્મો ડાયરેક્ટ કરી ચુકેલા વર્માએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ટ્વિટ કરતા લખ્યું છે, જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે, તો પાંડવ કોણ છે ? તેનાથી પણ વધારે જરૂરી છે કે, કૌરવ કોણ છે ? તેમનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થયું અને જનતાએ તેમનો ઉધડો લઈ લીધો હતો.
SC/ST એક્ટ અંતર્ગત થઈ શકે છે કાર્યવાહી
હવે ભાજપના નેતા ગુડૂર રેડ્ડી અને ટી.નંદેશ્વર ગૌડે હૈદરાબાદના એબિડ્સ પોલીસ સ્ટેશનમાં રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમનો આરોપ છે કે, વર્માએ એનડીએના રાષ્ટ્રપતિ ઉમેદવાર મૂર્મૂ પર અપમાનજનક ટિપ્પણી કરી છે. એબિડ્સ પોલીસ ઈંસ્પેક્ટર બી. પ્રસાદ રાવે વર્મા વિરુદ્ધ ફરિયાદ વિશે જણાવ્યું હતુંક ે, અમને ફરિયાદ મળી છે અને તેને કાયદાકીય સલાહ માટે મોકલવામાં આવી છે. કાયદાકીય માર્ગદર્શન મળ્યા બાદ એસસી/એસટી એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીશું.
આંધ્ર પ્રદેશ ભાજપના પ્રમુખ સોમૂ વીરરાજૂએ રામ ગોપાલ વર્માના ટ્વિટ પર આકરી પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, કડક કાર્યવાહી થવી જોઈએ, તેમણે એવું પણ કહ્યું છે કે વર્માને જેલમાં મોકલી દેવા જોઈએ અને એક મનોચિકિત્સક પાસે તેમની તપાસ કરાવી જોઈએ. 22 જૂનના રોજ ટ્વિટ પર વિવાદ થયા બાદ શુક્રવારે વર્માએ તેના પર સ્પષ્ટતા આપી હતી.
રામગોપાલ વર્માની સ્પષ્ટતા
એક ટ્વિટમા તેમણે લખ્યું છે કે, આ પુરી ઈમાનદારીથી વિડંબના તરીકે કહેવાયુ છે અને તેનો કોઈ અન્ય ઉદ્દેશ્ય નથી. દ્રૌપદી મહાભારતનું મારુ ફેવરિટ પાત્ર છે, પણ આ નામ અત્યંત રેર છે, મને તેની સાથે જોડાયેલ પાત્રો યાદ આવી ગયા અને મેં તે જ જણાવ્યું છે. કોઈની પણ ભાવનાને ઠેસ પહોંચાડવાનો કોઈ ઉદ્દેશ્ય નથી.