Patidars can shake the chair of power, but having Bhupendra Patel as CM is a big advantage for BJP, know the relationship between Patidars and Gujarat politics
ઈલેક્શન સટીક /
પાટીદારો સત્તાની ખુરશી હલાવી શકે, પણ BJP માટે ભૂપેન્દ્ર પટેલ CM હોવાનો મોટો ફાયદો, જાણો પાટીદાર અને ગુજરાતની રાજનીતિનો નાતો
Team VTV10:48 PM, 08 Nov 22
| Updated: 10:54 PM, 08 Nov 22
ગુજરાતની રાજનીતીમાં પાટીદાર ફેક્ટર ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. 2022 ની ચૂંટણીમાં પાટીદારોને પોતાના તરફ કરવા ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે પાટીદારો કોને ગુજરાતનાં વિકાસની સત્તા સોંપશે તે આગામી સમય બતાવશે..
2022 ની વિધાનસભાની ચૂંટણી ભૂપેન્દ્ર પટેલની અગ્નિ પરીક્ષા
2017 ની ચૂંટણીમાં કરેલ ભૂલો ભાજપ નહી કરે
કોર્પોરેટર બાદ સીધા ધારાસભ્યની ટીકિટ મળી અને જીત હાંસલ કરી
સૌરાષ્ટ્રમાં 54 માંથી 23 સીટો જ મળી હતી
પાટીદારોને પોતાની તરફ ખેંચવાનો "આપ" નો પ્રયાસ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે. વર્ષ 2017 ની ચૂંટણી વખતે પાટીદાર આંદોલનને લઈને ભાજપ સામે મુશ્કેલી સર્જી હતી. ત્યારે આ વખતે ભાજપ દ્વારા પાટીદાર ફેક્ટરને ધ્યાને રાખીને પાટીદાર સમાજ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે તો પાટીદાર સમાજ સામે ભાજપે ભુપેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. ત્યારે પાર્ટીનાં સૌથી વધુ વિશ્વાસુ ભુપેન્દ્ર પટેલની રાજનીતી અને તેમની કામ કરવાની પધ્ધતિ વિધાનસભાની ચૂંટણીમાં કેવી રીતે લાભકારક રહેશે તે જોવાનું રહ્યું.
ભાજપ જૂની ભૂલો ફરી નહી કરે
ગુજરાતની રાજનીતિમાં પાટીદાર ફેક્ટર ખૂજ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ભાજપની વોટ બેંક ગણાતા પાટીદાર સમાજ 2017 ની વિધાનસભાની ચૂંટણી દરમ્યાન નારાજ થઈ ગયો હતો. જેના લીધે 150 સીટની આશા રાખનારી ભાજપ 99 સીટ પર જીત મેળવીને સંતોષ માન્યો હતો. ત્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે તો બીજી તરફ ભાજપ દ્વારા હજુ પણ તેમના ઉમેદવારોની યાદી જાહેર કરી નથી ત્યારે ભાજપ પક્ષ સહિત અન્ય પક્ષો ફરી એક વખત પાટીદાર સમાજ અને તેની વોટ બેંક પર નજર રાખીને બેઠા છે. ભાજપ દ્વારા જૂની ભુલો ફરી ન કરી પાટીદાર સમાજને પોતાના તરફી કરવા માટે મોટો નિર્ણય કર્યો છે. એટલે જ પાટીદાર સમાજમાંથી આવતા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવ્યા છે.
2017 માં ખૂબ જ મોટા માર્જીનથી જીત મેળવી હતી
ડિપ્લોમાં સિવિલ એન્જીનીયર તરીકે વ્યવસાય કરતા અને ત્યાર પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીત હાંસલ કરી વર્ષ 2010 થી 2015 માં અમદાવાદ મહાનગર પાલિકામાં કોર્પોરેટર બન્યા અને ત્યાર બાદ સ્ટેન્ડીંગ કમિટીનાં ચેરમેન બન્યા હતા. ગાંધીનગરની ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારમાં વર્ષ 2017 માં ધારાસભ્યની ચૂંટણી લડ્યા હતા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઘાટલોડિયા સીટ પર ભુપેન્દ્ર પટેલને મોકો આપવામાં આવ્યો હતો અને તેઓએ ઘાટલોડિયાની પ્રજાનો વિશ્વાસ જીતીને ખૂબ જ મોટા માર્જીનથી જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા હતા અને ચાર વર્ષ બાદ તેઓને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતની વિકાસની દોર તેમને સોંપવામાં આવી.
2017 માં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપનું નબળું પ્રદર્શન
ગુજરાતમાં ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ભાજપ હાઈ કમાન્ડ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો. જેમાં વિજય રુપાણીને મુખ્યમંત્રી પદ પરથી હટાવીને ભુપેન્દ્ર પટેલને સત્તા સોંપવામાં આવી હતી. 2017 માં પ્રથમવાર ધારાસભ્ય બનેલ અને કદી કોઈ પણ મંત્રી પદ ન સંભાળેલને વડાપ્રધાન દ્વારા ગુજરાતનાં વિકાસની દોર સોંપવામાં આવી. તેઓ બીજા નેતાની જેમ ખૂબ લોકપ્રિયતા ધરાવતા ન હતા તો પણ ભાજપ દ્વારા 2022 માં ચૂંટણીના મેદાનમાં તેઓને ઉતારી પાટીદારોને તેમના તરફી કરવાનો પ્રયાસ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ફરીથી પાટીદાર સમાજ ભાજપથી નારાજ ન થાય એટલે જ પાટીદાર ચહેરાને સાથે લઈને ભાજપ ચાલી રહ્યું છે.
ગુજરાતમાં 182 માંથી 71 સીટ પર પાટીદાર નિર્ણાયક ભૂમિકા ભજવે છે અને 52 સીટો પર પાટીદારની સંખ્યા 20 ટકા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાર-જીત પાટીદારો નક્કી કરે છે. 2017 ની ચૂંટણીમાં પાટીદાર પ્રભુત્વ ધરાવતી સૌરાષ્ટ્ર અને કચ્છ બેઠક પર ભાજપનું પ્રદર્શન ખૂબ જ નબળું રહ્યું હતું અને ભાજપને 54 માંથી માત્ર 23 સીટો જ મળવા પામી હતી.
આપની નજર પણ પાટીદાર વોટ બેંક પર
ગુજરાતમાં પાટીદાર સમાજ લેઉવા અને કડવા બે પેટાજાતિમાં વહેંચાયેલો છે. ગુજરાતમાં 70 ટકા લેઉવા છે જ્યારે 30 ટકા કડવા પટેલ છે. ત્યારે ભુપેન્દ્ર પટેલ કડવા પટેલ સમાજમાંથી આવે છે જેથી તેઓને મુખ્યમંત્રી બનાવી ભાજપથી નારાજ રહેલ 30 ટકા કડવા પટેલને તેઓની તરફ ખેંચવાની કોશિષ કરી રહ્યા છે. પરંતું નીતિન પટેલને કડવા પટેલ સમાજને મોટા નેતા માનવામાં આવે છે. એટલે તો રુપાણીના રાજીનામા બાદ તેઓને સીએમ પદના દાવેદાર માનવામાં આવતા હતા. પરંતું સીએમ તરીકે ભુપેન્દ્ર પટેલને જાહેર કરાયા.
ગુજરાતમાં આદ આદમી પાર્ટીને નજર પણ પાટીદાર વોટ બેંક પર છે. સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 27 સીટો મળી છે. ત્યારે આપ- ભાજપ માટે માથાનો દુઃખાવો બનવા પામી છે.
કેવો રહ્યો ભુપેન્દ્ર પટેલનો કાર્યકાળ
ભુપેન્દ્ર પટેલ હાલ મુખ્યમંત્રી તરીકે જે રીતે કામ કરી રહ્યા છે એ જોતા ભાજપને ગુજરાતમાં જીત મળી શકે છે. ત્યાં જ વિજય રુપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે થોડાક જ સમયમાં તે ઘણા મુદ્દાઓ પર વિવાદમાં રહેવા પામ્યા હતા અને બીજી તરફ કોરોનામાં ગુજરાત સરકારની કોર્ટે ઝાટકણી કાઢી હતી. તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રુપાણી વચ્ચે ચાલી રહેલી તકરાર પણ જોવા મળી હતી અને રુપાણી જૈન સમુદાયમાંથી આવે છે અને તેઓનો સમુદાય નાનો છે. ત્યારે પાટીદાર ખૂબ જ મહત્વના હોઈ આ તમામ કારણોને ધ્યાને રાખી ભૂપેન્દ્ર પટેલને સત્તા સોંપવામાં આવી. 2022 ની વિધાનસભા ભૂપેન્દ્ર પટેલ માટે અગ્નિ પરીક્ષા છે.