ગઈકાલે ગુજરાત સરકારે આરોગ્ય વિભાગના કર્મીઓ માટે ઉચ્ચક પગાર વધારા સિવાય અન્ય જાહેરાતો કરી હતી પણ કર્મચારીઑ ગ્રેડ પેની માંગ પર અડગ છે.
પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીઓની હડતાળ
સરકારની જાહેરાત બાદ પણ આંદોલન
હડતાળ કરી રહેલા સામે સરકાર એક્શનમાં
આંદોલન પર ઉતરેલા આરોગ્યકર્મીઓને લઇ રાજ્ય સરકારે ગઈકાલે ગુરુવારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ અંગે સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આરોગ્યકર્મીઓને રૂ.4 હજારનો ઉચ્ચક પગાર વધારો મળશે. ટ્રાવેલ્સ એલાઉન્સ અને 130 દિવસના રજા પગાર અપાશે. બે દિવસમાં રાજ્ય સરકાર માંગણી સ્વીકારવાનો ઠરાવ કરશે.આ જાહેરાત કરતાં સરકારે આરોગ્ય કર્મચારીઓને સેવા પર પરત ફરવા વિનંતી કરી છે. પણ આરોગ્ય કર્મીઓ ગ્રેડ પે વધારાની માંગ પર અડગ છે.
વિધાનસભા તરફ આરોગ્ય કર્મચારીઓ કરશે કુચ
આરોગ્યકર્મીઓની માંગણીઓને લઇ સરકારની જાહેરાત પર આરોગ્ય કર્મચારી મહાસંઘના રણજીતસિંહ મોરીએ નિવેદન આપતા કહ્યું કે સરકારે માત્ર બે જ માંગણીઓ સ્વીકારી છે. ઉચ્ચક પગાર વધારાની અમારી કોઇ માંગણી નથી. જે બાદ આજે ગાંધીનગરમાં વિશાળ રેલી યોજી વિરોધ યથાવત રાખવાનું આયોજન છે. સેક્ટર-6થી વિધાનસભા તરફ આરોગ્ય કર્મચારીઓ કૂચ કરી સરકારની જાહેરાતો ઠુકરાવી દીધી છે.
સર્વિસ બ્રેક અને પગાર કપાશે
ત્યારે હવે પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ સામે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. સરકારની જાહેરાત બાદ પણ આંદોલન ચાલુ રહેતા આંદોલન કરતા કર્મચારીઓને સર્વિસ બ્રેક અને પગાર કાપવાની કાર્યવાહી કરશે. 8 ઓગસ્ટથી પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ આંદોલનથી સેવાઓ પર માઠી અસર પડી છે.
સત્યાગ્રહ કે અન્ય સ્થળો પર આંદોલનકારીઓ એકઠા ન થવુ -DySP
આપને એ પણ જણાવી દઈએ કે ગાંધીનગરમા આંદોલનની મોસમને લઈ પોલીસનું સ્પષ્ટ નિવેદન સામે આવ્યું છે. પોલીસ વિભગે રેલી કે આંદોલનની મંજુરી આપી નથી. સત્યાગ્રહ કે અન્ય સ્થળો પર આંદોલનકારીઓ એકઠા ન થવાનું કહેવાયું છે. મંજુરી વિના કાર્યક્રમ કરશો તો કાયદાકીય કાર્યવાહી થશે તેવું DySPએ કહ્યું છે.
શું કરાઇ છે સરકાર દ્વારા જાહેરાત?
ગઈકાલે પ્રવકતા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આજે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ૪૨ દિવસથી આરોગ્ય અને પંચાયત વિભાગ હસ્તકના FHW,FHS, MPHW અને MPHS કર્મીઓ ફરજ ઉપર ગેરહાજર રહ્યા હોવાથી રાજ્યના ગરીબ અને જરૂરતમંદ સામાન્ય નાગરિકોને આરોગ્યલક્ષી સેવાઓમાં ખૂબ જ માઠી અસર થઈ રહી છે. નાગરિકોને હાલાકી ન પડે તે હેતુથી તેમજ કોરોના મહામારી સહિતની આરોગ્યલક્ષી સંકટ સમયે મહત્વપૂર્ણ યોગદાનના સન્માન રૂપે આ હેલ્થ વર્કર કર્મચારીઓની કેટલીક વ્યાજબી અને મહત્વપૂર્ણ માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી આવતી કાલથી જ ફરજ પર હાજર થઈ જવા મંત્રીએ અનુરોધ કર્યો હતો
૧૫ જેટલા નિર્ણયોના લાભો પણ આરોગ્યકર્મીઓને મળશે: વાઘાણી
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, મુખ્યમંત્રીના દિશાનિર્દેશ હેઠળ મંત્રીમંડળના સભ્યોની રચાયેલ કમિટીના સભ્યોએ આ કર્મચારી મંડળના આગેવાનો સાથે તબક્કાવાર બેઠકો યોજી છે અને તંદુરસ્ત સંવાદ સાથે વ્યાજબી માંગણીઓ પણ કલાકો સુધી ચર્ચાઓ પણ થઈ છે.આજે નાણાં મંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આરોગ્ય રાજ્ય મંત્રી નિમિષા સુથાર તેમજ પંચાયત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં પ્રવક્તા મંત્રી વાઘાણીએ રાજય સરકારે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, હેલ્થ વર્કર કર્મચારીઓના પગારમાં માસિક રૂ.૪ હજારનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉપરાંત આ હેલ્થ વર્કર કર્મીઓને ૧૩૦ દિવસનો કોવિડ ડયુટીનો રજા પગાર પણ આપવામાં આવશે. જ્યારે PTA ફેરણી ભથ્થા અંગેની આ કર્મચારી મંડળની માંગ સ્વીકારીને ૮ કિ.મીની મર્યાદા દૂર કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.તાજેતરમાં કર્મચારીહિતલક્ષી લેવાયેલા ૧૫ જેટલા ઐતિહાસિક નિર્ણયોના લાભો પણ આ તમામ કર્મચારીઓને મળવાના જ છે ત્યારે સાતમા પગાર પંચ મુજબના ભથ્થાના લાભ મળવા સહિતના લેવાયેલા વિવિધ નિર્ણયો અંતર્ગત ઠરાવો પણ આગામી 2 દિવસમાં થઈ જશે.
કોણ કોણ હડતાળમાં જોડાયું છે?
ગુજરાતના 33 જિલ્લાના આરોગ્યના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, THS, THV અને જિલ્લા કક્ષાના સુપરવાઇઝર જેવા પંચાયતના આરોગ્યલક્ષી તમામ કર્મી તેમજ ફિલ્ડ કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે