"આજે ગુજરાત" કાર્યક્રમ વીટીવી ગુજરાતી એચડીમાં સવારે 8 થી 8.30 કલાક દરમિયાન ટેલીકાસ્ટ કરવામાં આવે છે તેનો આપ લાહવો લેતા હશો જો કોઇ કારણોસર આપને આ કાર્યક્ર્મ જોવાનું રહી જાય તો અહીં આ કાર્યક્રમની સંપુર્ણ વિગત અમે અહીં રજૂ કરી છે..
- સાબરકાંઠા જિલ્લાના ધનસુરા તાલુકાના અમરગઢ કંપા ખાતે આજે અમરધામ મંદિરનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. આજે સવારે 8 વાગ્યે વિષ્ણુયાગ થશે. બપોરે સંતોનું આગમન બાદ સામૈયા તથા શોભાયાત્રા તથા ધર્મસંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન બાબુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે.
- અમરેલીમાં ગૌ સ્વાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહ શહેરના જેશીંગપરા પર આવેલા તુન્ની સ્કૂલની બાજુમાં શરૂ થશે. જેનું આયોજન સંતશ્રી ભોજનાલય ગૌસેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. કથા દરમિયાન આવતા ધાર્મિક પ્રસંગોની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સંતવાણી લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવશે.
- પાટણના જૈન તીર્થ શંખેશ્વર ખાતે આજે સવારે 9:30 વાગ્યે વિવિધ વિકાસકામોનું ખાતમૂહુર્ત કરવામાં આવશે. પાટણ જિલ્લા કલેકટર જે.બી. વોરાના હસ્તે આ વિકાસ પ્રોજેક્ટનું ભૂમિપૂજન થશે. પૂજ્ય અભય સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં અને સુરતના શુભ મંગલ ટ્રસ્ટ દ્વારા રૂપિયા 25 કરોડના ખર્ચે આ જૈન તીર્થનો વિકાસ થશે. આ પ્રસંગે જૈનાચાર્યો અને શંખેશ્વરના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
- નિર્મળ ભારત અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લાના કોમ્યુનિકેશન પ્લાન તથા યોજનાકિય સમજુતી માટે આજે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી રાજપીપળા જિલ્લા પંચાયત હોલ ખાતે કાર્યશિબીર યોજવામાં આવી છે. આ શિબિરમાં સંબંધિત અધિકારીઓ તથા આરોગ્ય શિક્ષણ વોટરશેડ તથા આઈસીડીએસ વિભાગના ટ્રેનરો ઉપસ્થિત રહેશે.
- માંડવીના લુડવા ગામે અજરામર ટ્રસ્ટ દ્વારા મહિલાસશક્તિકરણ અર્થે સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. બપોરે 4 વાગ્યે આ શિબિર યોજાશે.
- કચ્છ જિલ્લાના માંડવીની ક્ષત્રિય સમાજની વાડી ખાતે આજથી શ્રીમદ ભાગવત સપ્તાહની શરૂઆત થશે. જે અંતર્ગત પોથીયાત્રા કૃષ્ણજન્મ રુકમણી વિવાહ જેવા પ્રસંગો ઉજવાશે. વ્યાસપીઠ પર નિલેશ મહારાજ બિરાજશે.
- ભુજના માધાપર લોહાણા મહિલા મંડળ દ્વારા આજે સાંજે 4 વાગ્યે સાડી સ્પર્ધા યોજાશે. લોહાણા મહાજન વાડી ખાતે યોજાનારી આ સ્પર્ધામાં મંડળની મહિલાઓ ઉપસ્થિત રહેશે.
- આજે ભુજ નગરપાલિકાની સામાન્યસભા મળશે. સવારે 11:30 વાગ્યે નગરપાલિકાના હોલ ખાતે સભા મળશે.
- અમદાવાદ ઝેઝ ક્લબ દ્વારા અમદાવાદમાં ઝેઝ મ્યુઝિકને પ્રોત્સાહન આપવાના હેતુથી ડચ પિઆનિસ્ટ માઇક ડેલ ફેરારોના લાઇવ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે કનોરિયા આર્ટ સેન્ટર ખાતે સાંજે 5:30થી રાત્રે 7 વાગ્યા દરમિયાન માઇક ડેલ ફેરારોના માસ્ટર ક્લાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પિયાનો શીખવા માગતા તમામ લોકો ભાગ લઈ શકશે.
- અમદાવાદમાં આજથી લિન્ક વર્કરો અમરણાંત ઉપવાસ શરૂ કરશે. તેઓ શહેરના ખમાસા ખાતે આવેલા મહાદેવના મંદિર ખાતે સવારે 9 વાગ્યે મહાઆરતી કરશે. તેમજ દાણાપીઠ ખાતે ઉપવાસ શરૂ કરશે.
- ઈશરત જહાં એન્કાઉન્ટર કેસ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં CBIની અરજી પર સુનાવણી હાથ ધરાશે. જસ્ટીસ જયંત પટેલ જસ્ટીસ અભિલાષા કુમારીની ખંડપીઠ સમક્ષ આ સુનાવણી હાથ ધરાશે. આ કેસની તપાસમાં IPS અધિકારી સતિષ વર્માની વધુ જરૂર હોવાની રજૂઆત સાથે CBIએ અરજી કરી છે. સતિષ વર્માની સેવાઓ CBI વધુ બે મહિના સુધી લઈ શકે તે મતલબની રજૂઆત કોર્ટ માન્ય રાખે તેવી અરજી કરવામાં આવી છે.