ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ટિકિટોની વહેંચણી બાદ જે બળવો શરૂ થયો હતો, તેની અસર ગુજરાત ચૂંટણીના પરિણામોમાં પણ જોવા મળી હતી. આ વખતે મોટાભાગના બળવાખોરો ભાજપના જ હતા. તેમાંથી ઘણાએ જીત હાંસલ કરી છે. ચાલો જાણીએ કે ચૂંટણીમાં ટોપ 5 બળવાખોર ઉમેદવારોનું પ્રદર્શન કેવું રહ્યું.
જો ગુજરાતમાં બળવાખોરો ન હોત તો ભાજપનો રેકોર્ડ મોટો હોત
ભાજપના જ બળવાખોરોએ બગાડ્યું ગણિત
મધુ શ્રીવાસ્તવ અપક્ષ ચૂંટણી લડ્યા અને હારી ગયા
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ટિકિટોની વહેંચણી બાદ જે બળવો શરૂ થયો હતો, તેની અસર ગુજરાત ચૂંટણીના પરિણામોમાં પણ જોવા મળી હતી. ભાજપના બે બળવાખોરો તો એવા રહ્યા જેમણે ભાજપના ઉમેદવારોને જ હરાવી દીધા. તો વાઘોડિયા સીટથી ઘણી વખત ધારાસભ્ય રહી ચૂકેલા મધુ શ્રીવાસ્તવ પણ પોતાના સાથી ભાજપના ઉમેદવારને લઈને ડૂબ્યા. ખાસ વાત એ છે કે આ વખતે મોટાભાગના બળવાખોરો ભાજપના જ હતા. તેમાંથી ઘણાએ જીત હાંસલ કરી છે. ચાલો જાણીએ કે ચૂંટણીમાં ટોપ 5 બળવાખોર ઉમેદવારોનું પ્રદર્શન કેવું રહ્યું.
1- મધુ શ્રીવાસ્તવઃ તેમની સાથે ભાજપના ઉમેદવાર પણ હાર્યા
વડોદરાની વાઘોડિયા બેઠક પરથી ટિકિટ ન મળતા ભાજપના નેતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ મેદાનમાં ઝંપલાવ્યું હતું. તેઓ અહીંથી ચોથા નંબરે રહ્યા છે, મધુ શ્રીવાસ્તવના કારણે આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જીત મળી છે. અશ્વિનભાઈ પટેલ ત્રીજા નંબરે રહ્યા. જો મધુ શ્રીવાસ્તવ મેદાનમાં ન હોત તો ભાજપના ઉમેદવાર જીતી શક્યા હોત. વાસ્તવમાં અપક્ષ ઉમેદવાર અને ભાજપના ઉમેદવારો વચ્ચે જીત અને હારનો તફાવત 13,886 મતનો છે, જ્યારે મધુ શ્રીવાસ્તવને 14,586 મત મળ્યા છે. જો તેઓ મેદાનમાં ન હોત તો આ મતો ભાજપના ખાતામાં આવે તેવી શક્યતા હતી.
2- દિનેશ પટેલઃ ભાજપનું નુકસાન તો કર્યું, પરંતુ હરાવી શક્યા નહીં
દિનુ મામા તરીકે જાણીતા દિનેશ પટેલ ભાજપના મજબૂત નેતા રહ્યા છે. તેઓ વડોદરાની પાદરા બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, આ વખતે ભાજપે તેમની ટિકિટ કાપીને ચૈતન્યસિંહ ઝાલાને આપી હતી, તેથી તેમણે પણ અપક્ષ મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું હતું, તેઓ ચૂંટણીમાં ત્રીજા ક્રમે રહ્યા. તેમણે ભાજપને નુકસાન પહોંચાડ્યું, પરંતુ ચૈતન્ય સિંહને જીતતા રોકી શક્યા નહીં. અહીં કોંગ્રેસના જસપાલસિંહ મહેન્દ્રસિંહ બીજા નંબર પર રહ્યા હતા. દિનેશ પટેલને અહીં ત્રીજા સ્થાનથી સંતોષ માનવો પડ્યો હતો.
3- ધવલસિંહ ઝાલાઃ બાયડ બેઠક પરથી જીતી ગયા
ધવલસિંહ ઝાલાએ રાજનીતિની શરૂઆત કોંગ્રેસથી કરી હતી, 2017માં તેઓ કોંગ્રેસમાંથી ભાજપમાં આવી ગયા હતા. અરવલ્લી જિલ્લાની બાયડ બેઠક પરથી તેમણે પેટાચૂંટણી લડી અને હારી ગયા હતા. આ વખતે જ્યારે ભાજપે ભીખીબેન પરમારને ટિકિટ આપી હતી, તો તેઓ અપક્ષ મેદાનમાં ઉતર્યા હતા અને ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. ધવલસિંહ અને બીજા નંબર પર રહેલા ભાજપના ઉમેદવારની વચ્ચે જીત-હારનું માર્જિન માત્ર 6 હજાર મતનું રહ્યું. ત્રીજા નંબર પર રહેલા કોંગ્રેસના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના પુત્ર છે.
4- માવજી દેસાઈ: પોતાના જ સાથીને હરાવ્યા
બનાસકાંઠા જિલ્લાની ધાનેરા બેઠક પરથી ભાજપે ટિકિટ ન આપતા માવજીભાઈ દેસાઈએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તેમણે તેમની પાર્ટીના સાથી ભગવાનભાઈ પટેલને 36 હજાર મતોથી હરાવ્યા હતા. ત્રીજાન નંબર પર અહીં કોંગ્રેસના પટેલ નાથભાઈ રહ્યા. એવું માનવામાં આવી રહ્યું છે કે માવજીભાઈ કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષોના મત કાપીને જીત્યા છે.
5- છોટુભાઈ વસાવાઃ પિતા-પુત્રના ઝઘડાથી ભાજપને ફાયદો
ઝઘડિયા બેઠક પરથી તેમના BTPમાંથી મહેશ વસાવાએ પોતાનું નામ જાહેર કરતા ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સ્થાપક છોટુભાઈ વસાવા આ વખતે અપક્ષ ચૂંટણી લડ્યા હતા. જોકે, બાદમાં પુત્ર મહેશ વસાવાએ ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લીધું હતું, પરંતુ ભાજપે આ ખેંચતાણનો ફાયદો ઉઠાવ્યો હતો. છોટુભાઈ વસાવાને અહીં ભાજપના રિતેશ વસાવાએ 23,000 મતોથી હરાવ્યા હતા. આમ આદમી પાર્ટીના ઉર્મિલા બેન અહીં ત્રીજા ક્રમે રહ્યા.