તાપીના બુહારીમાં આદિવાસી દિને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, વિસ્થાપીતોની જમીનો નવી શરતની હોવાથી લાભો નથી મળતા, અન્ય લાભો નહી મળવાની સમસ્યાનું નિરાકરણ લાવીશ
ગુજરાતભરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી
સરકારના મંત્રીઑ અલગ અલગ જિલ્લામાં ઉજવ્યો આદિવાસી દિવસ
જિલ્લા કક્ષાનો આદિવાસી દિવસ દાહોદના ઝાલોદ ખાતે યોજાયો
આજે સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના વલસાડ, નવસારી, અરવલ્લી અને પાલનપુરમાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વલસાડમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં રાજ્યના નર્મદા જળસંપત્તિ અને કલ્પસર મંત્રી જીતુભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે બનાસકાંઠાના પાલનરપુરમાં આદિવાસી સમાજે રેલી યોજી અને પારંપારિક વસ્ત્રોમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી. સાથે નવસારીના વાંસદામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યકક્ષાના મંત્રી કીર્તિસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. ઉપરાંત અરવલ્લી જિલ્લાના ભિલોડાના શામળાજી ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
મધુ શ્રીવાસ્તવે કર્યો ટીમલી ડાન્સ
ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આદિવાસી દિવસની ઉજવણી કરતાં ટીમલીના તાલે ડાન્સ કર્યો હતો.વાઘોડિયાની મુખ્ય બજારમાં તીરકામઠા સાથે કરેલું આ નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સોશિયલ મીડિયામાં મધુ શ્રીવાસ્તવનો આ વાયરલ વીડિયો ધૂમ મચાવી રહ્યો છે.
તાલુકા ભાજપ આદિવાસી મહામંત્રીએ કહ્યું સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે
જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દાતા આદર્શ નિવાસી શાળા ખાતે કરવામાં આવી હતી ગ્રામ વિકાસ મંત્રી અર્જુનસિંહ ચૌહાનની ઉપસ્થિતિમાં સરકારે કરેલા આદિવાસી વિસ્તારોના કામોની ઝલક અને લાભાર્થીઓને સહાય પણ અપાઇ હતી જોકે દાતા તાલુકા ભાજપ આદિવાસી મહામંત્રીએ જાહેર મંચ પરથી જો સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં મળે તો આગામી વિધાનસભામાં ભાજપને નુકસાન થશે તેવી સ્ટેજ નિવેદન આપતા સોપો પડી ગયો હતો.
ઉકાઈ બંધ નિર્માણ દરમિયાન જમીન ગુમાવનારા લોકો માટે પણ મહત્વનો નિર્ણય લઈશું: મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી
આદિવાસી બહુલ તાપી જિલ્લામાં પણ તેની ભવ્ય ઉજવણી ઠેર ઠેર કરાઈ હતી, જેમાં તંત્ર દ્વારા મહેસુલ વિભાગના મંત્રીની ઉપસ્થિતિમાં વલોડના બુહારી ગામે ઉજવણી કરાઈ હતી.મંત્રીએ મહેસુલ વિભાગ દ્વારા હાલ લેવાયેલ મહત્વપૂર્ણ નિર્ણય અંગે વાતો કરી હતી, બીજી તરફ ઉકાઈ બંધ નિર્માણ દરમિયાન જમીન ગુમાવનારા લોકો માટે પણ મહત્વનો નિર્ણય લેવાશે એમ જણાવ્યું હતું
સરકારને હવે આદિવાસીઓ યાદ આવ્યાઃ મહેશ વસાવા
નર્મદા જિલ્લો 80 ટકા આદિવાસી જિલ્લો ગણવામાં આવે અને ત્યારે ઠેર ઠેર વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી. ડેડીયાપાડા ખાતે સ્વયંભૂ રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકોએ ભાગ લીધો હતો. આ રેલીને ધારાસભ્ય મહેશ વસાવા પ્રસ્થાન કરાવ્યું હતું. BTP ધારાસભ્ય મહેશભાઈ વસાવા એ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર પણ કર્યા હતા અને 2009માં છોટુભાઈ વસાવાએ આદિવાસી દિનની શરૂઆત કરી હોવાની હામ ભરી હતી. તેમજ પ્રહાર કરતાં કહ્યું કે હવે સરકારને પણ આદિવાસીઓ યાદ આવ્યા અને ઉજવણી કરે છે.
સુરત ખાતે વિશાળ રેલીનું આયોજન
સુરતના માંડવીમાં આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંડવીના પ્રવેશ દ્વારથી તાપી રિવરફ્રન્ટ સુધીની આ રેલીમાં કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદી સાથે સાંસદ પ્રભુ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈ પણ હાજર રહ્યા હતા. રેલીમાં મોટી સંખ્યામાં આદીવાસી સમાજના લોકો જોડાયા હતા.
પાલનપુર ખાતે આદિવાસી સમાજની રેલી
દેશમાં આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પાલનપુરમાં આદિવાસી સમાજ દ્વારા રેલીનું આયોજન કરી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પારંપરાગત નૃત્ય સાથે શહેરના અનેક વિસ્તારમાંથી રેલી નીકળી હતી. રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પરંપરાગત વેશ સાથે ઉપસ્થિત રહ્યા હતા.
પાટણમાં થઈ વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી
પાટણ શહેરમાં આજે વિશ્વ આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સમાજની ગૌરવયાત્રા યોજાઈ હતી આ ગૌરવ યાત્રામાં આદિવાસી સમાજના આગેવાનો મહિલાઓ તેમજ બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા ડીજેના તાલે વિવિધ ટેલ્બો સાથે સેના મુખ્ય માર્ગો માં નીકળેલી આદિવાસી સમાજની ગૌરવ યાત્રા શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી હાથમાં તીર કામઠા તેમજ આદિવાસી પોશાક ધારણ કરેલ યુવાનો આદિવાસી સમાજનો ભૂતકાળ યાદ કરાવતા હતા પાટણ શહેરના સૂર્યનગર સહિતના વિસ્તારોમાંથી નીકળેલ ગૌરવ યાત્રા પાટણ શહેરના સિંધવાઈ મંદિર ચોક ખાતે સભામાં ફેરવાઈ હતી જ્યાં સમાજ ના હિત અને ઉત્થાનની વાત કરવામાં આવી હતી.