વિક્રમ સંવતની ભાદરવા સુદ ચોથના રોજ ગણેશજીના જન્મદિવસ તરીકે ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવે છે. આ તહેવારને સંસ્કૃત, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષામાં વિનાયક ચતુર્થી કે વિનાયક ચવિથી અને ગુજરાતીમાં ગણેશ ચતુર્થી કે ગણેશ ચોથ કહેવામાં છે.
આ તહેવાર ૧૦ દિવસ ચાલે છે જે અનંત ચતુર્થીના દિવસે પૂરો થાય છે. આ દિવસોમાં ગણપતિની આરાધના કરી તેને પ્રસન્ન કરવામાં આવે છે. આ પર્વ ઉપર ભારત અને વિદેશોમાં ધાર્મિક હિંદુ લોકો પોતાના નિવાસ સ્થાનમાં ભગવાન ગણેશની પ્રતિમાને સ્થાપિત કરી એના ઉપર સિંદૂર ચઢાવી ગણેશ મંત્રનું રટણ કરે છે. ભક્તો શ્રી ગણેશનું શોડ્શોપચારે પૂજન-આરતી કરે છે. ચતુર્થી તિથિ નિમિત્તે ભગવાન શ્રી ગણેશ માટે જે વ્રત કરવામાં આવે છે, તેને ગણેશ ચતુર્થી વ્રત કહે છે.
ગણપતિને રિદ્ધિ સિદ્ધિના દેવ તરીકે લોકો ભાવપૂર્વક ભજે છે. મુંબઈમાં સિદ્ધિ વિનાયકના મંદિરે ફિલ્મના સુપર સ્ટારથી માંડીને આમ આદમી સુધી ભાવિજનો શ્રી ગણેશનાં દર્શન કરી એમની કૃપા પ્રાપ્ત કરવા માટે મોટી ભીડ જમાવે છે. કોઈ પણ હિંદુ મંદિરમાં તમે દાખલ થાઓ ત્યારે તમોને એક બાજુ રિદ્ધિ સિદ્ધિના દેવ ગણપતિ અને બીજી બાજુ કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રતિમા તમને અચૂક જોવા મળશે.
લગ્નનો પ્રસંગ હોય, નવા ઘરે કુંભ મૂકવાનો હોય, કોઈ સંસ્થાનો શિલારોપણ વિધિ, લક્ષ્મી પૂજન, સત્યનારાયણ કથા જેવા કોઈ પણ શુભ પ્રસંગે સૌ પ્રથમ શ્રી ગણપતિનું સ્થાપન કરી એમનું ભાવપૂર્વક પૂજન કરવામાં આવે છે. શ્રી ગણેશજીને અનેક નામે ભજવામાં આવે છે. એમને એમના શરીરની આકૃતિ ઉપરથી વક્રતુંડ, લંબોદર, મહાકાય, લંબકર્ણ અને એમને હાથીનું મસ્તક હોઈ ગજાનન પણ કહેવાય છે.
એમના શિરે હાથીનું મસ્તક કેમ છે એની પૌરાણિક કથા ખૂબ પ્રચલિત છે. પોતાનું તપ પૂર્ણ કરીને પરત આવેલ મહાદેવને ગણેશજી માતાના હુકમને માન આપી ગૃહ પ્રવેશ કરતા અટકાવે છે. ક્રોધે ભરાયેલા મહાદેવના હાથે અજાણતાં જ ગણેશનું મસ્તક કપાઈ જાય છે. પોતાના પુત્રનું મસ્તક મહાદેવે કાપી નાખ્યાંના સમાચાર મળતાં માતા પાર્વતી ભયંકર રૂદન કરે છે. શંકર ગણપતિને સજીવન કરવાનું વચન આપે છે અને પોતાના ગણને આદેશ આપે છે કે રસ્તામાં જે સૌ પ્રથમ મળે તેનું મસ્તક લઈ આવો. એ પ્રમાણે ગણના લોકો રસ્તામાં પ્રથમ દેખાયેલ હાથીનું મસ્તક લઈ આવે છે અને એ રીતે હાથીના માથાવાળા ગણપતિ સજીવન થાય છે. ત્યારથી તેઓ ગજાનન તરીકે ઓળખાય છે.