શ્રાવણ મહિનામાં શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરવાનું વિશેષ મહત્વ હોય છે. બીલીપત્રમાં હંમેશાં ત્રણ પાંદડાના સમૂહથી બનેલું એક સંપૂર્ણ બીલીપત્રનું દળ મનાય છે. જેને ભગવાન બ્રહ્મા, વિષ્ણું, શિવ એવા ત્રિદેવની સાંકેતિક સંજ્ઞા રૂપી કહેવાય છે. બહોળી સંખ્યામાં ભક્તો હોય અને શિવજીની પુજા માટે બીલીપત્ર ઓછા હોય અથવા બીલીપત્રના દળ ઓછા હોય ત્યારે શિવજીને અર્પિત કરાયેલા બીલીપત્રને સાદા પાણીથી ધોઇ સાફ કરીને સ્વચ્છ કપડાથી લૂછી કોરા કરીને એના એજ બીલીપત્ર ફરી શિવજીને અર્પણ કરી શકાય છે. જેને પહેલાં જેટલા જ પવિત્ર માનવામાં આવે છે.
ઘણા ભક્તો શ્રાવણ મહિનામાં ઇચ્છાપૂર્તિ માટે કાચુ કે પાકું બીલીફળ શિવલિંગને અર્પણ કરાતા હોય છે. આજ રીતે શ્રાવણ માસની આસપાસના સમયગાળામાં મળતા 'બીજરૂ' નામના ફળ પણ બીલીફળની જેમ જ ઇચ્છાપૂર્તિ માટે શિવજીને ચઢાવાતુ હોય છે. તેનું પણ એક આગવું મહત્વ છે.
શિવજીને કોઇપણ રંગના સુગંધના, કોઇપણ આકારના કે સાઇઝના ફુલો અર્પણ કરાય છે. માત્ર એક કેવડાનું ફુલ કેવડા ત્રીજના દિવસે જ અર્પણ કરી શકાય છે. બાકી તો સુગંધ વગરના ફુલો પણ શિવજીને સ્વીકાર્ય હોય છે. એવા સુગંધ વગના ફુલોને સ્વીકારીને પણ ભોળા શિવજી આપણને આશિવાર્દ જ આપે છે.
જ્યારે શિવલિંગ પર અવિરત જલધારાનો અભિષેક કરતા રહેવાનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ છે. સુષ્ટિને ઝેરની અસરથી મુક્ત રાખવા માટે જ શિવજીએ હળાહળ વિષપાન કરીને કંઠમાં એ વિષને સ્થગિત કરી લીધું. જેથી તેમના શરીરે અસ્હ્ય ગરમીમાં તપતાં રહેવું પડે છે. જેના કારણે શિવજીનું એક પ્યારૂ નામ નિલકંઠ પણ છે. અને જળધારા સતત શિવલિંગ પર થતી રહેતી હોવાથી શિતળતા પ્રદાન થાય છે. જેથી દાહની પીડા નહીવત થઇ જાય છે.
આમ જે ભક્તો શિવજીને દાહની પીડામાંથી રાહત અપાવે છે. શિવજી તે ભક્તોની જિંદગીની ઝોળીને સફળતાની ખુશીઓથી ભરી દેતા હોય છે. ભક્તોની જિંદગીમાં આવતા હજારો દુ:ખોનું નિકારણ પણ શિવજી કરતા રહે છે. (ક્રમશ;)