લોકસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ કોંગ્રેસની અંદર ઉથલ-પાથલ ચાલી રહી છે. રાજીનામાં અડગ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના સમર્થનમાં શનિવારે પણ પાર્ટીના કેટલાક દિગ્ગજ નેતાઓએ પોતાના પદ પરથી રાજીનામાં આપ્યા. જેમાં કિસાન કોંગ્રેસ સેના પ્રમુખ નાના પટોલે અને પાર્ટીના રાજસ્થાન પ્રભારી સચિવ તરૂણ કુમાર સામેલ છે.
બીજી તરફ ઉત્તરપ્રદેશમાં પણ રાહુલ ગાંધી(Rahul Gandhi)ના સમર્થનમાં રાજીનામાંની લાઇન લાગાવી દીધી. પૂર્વ કોંગ્રેસ સાંસદ પટોલેએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની સાથે રાહુલ ગાંધીના સમર્થનમાં તમામ સંસ્થાઓને ભંગ કરી દીધી. પટોલે સિવાય પાર્ટીના રાજસ્થાન પ્રભારી સચિવ તરૂણ કુમારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું. તેમણે પોતાનું રાજીનામું પાર્ટી પ્રમુખને મોકલી દીધું છે.
ઉત્તરપ્રદેશમાં પાર્ટીના પદ પરથી રાજીનામાં આપનારા સામેલ છે કોંગ્રેસના ધારાસભ્ય દળના ઉપનેતા આરાધના મિશ્રા, વરિષ્ઠ ઉપાધ્યક્ષ રણજીતસિંહ જૂદેવ, ઉપાધ્યક્ષ આર.પી.ત્રિપાઠી, મહાસચિવ સતીશ અજમાની, શ્યામ કિશોર શુક્લા અને હનુમાન ત્રિપાઠી, પ્રવક્તા દુજેન્દ્ર ત્રિપાઠી, વીરેન્દ્ર મદાન, બૃજેન્દ્રસિંહ અને પંકજ તિવારી. આ નેતાઓએ રાહુલ ગાંધીના સમર્થનમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે, જેથી કોંગ્રેસ સંગઠનને નવુ સ્વરૂપ આપવાનો રસ્તો સ્પષ્ટ થઇ જાય.
તમને જણાવી દઇએ કે ઉત્તરપ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રાજ બબ્બરે લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થતા જ રાજીનામું આપી દીધું હતું.
આ પહેલા કોંગ્રેસે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 280 બ્લોક કમિટીઓ ભંગ કરી દીધી હતી. એટલું જ નહીં, પાર્ટી અધ્યક્ષના સમર્થનમાં કેટલાક રાજ્યોના અલગ અલગ સ્તરોના 140થી વધુ પાર્ટીના નેતાઓએ રાજીનામાં આપી દીધા હતા. ગુરૂવારે કોંગ્રેસના વિધિ અને આરટીઆઇ સેલના અધ્યક્ષ વિવેક તન્ખાએ રાજીનામું આપ્યાની સાથે રાહુલ ગાંધીને વિનંતી કરી હતી કે તેઓ પાર્ટીને લડાયક બળના રૂપમાં પુર્નગઠન કરે. કોંગ્રેસે સોમવારે ઉત્તરપ્રદેશના તમામ જિલ્લા કમિટીઓને તેવું કહીને ભંગ કરી દીધી હતી કે ત્રણ સભ્યોની શિસ્ત સમિતિની રચના કરવામાં આવશે, જે લોકસભા ચૂંટણી દરમિયાન પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં જોડાયેલાની માહિતી મેળવીને તેના પર કાર્યવાહી કરશે.