ઇશ્વર એક એવી શક્તિ છે જેની આપણે ખુબ જ અટૂટ ભાવે પૂજા કરીએ છીએ. ઇશ્વર આપણી તમામ સમસ્ચાઓને ખતમ કરવાની ક્ષમતા રાખે છે. દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે આપણે મંદિર જઇએ છીએ અને ઘરમાં જ મંદિર બનાવી વિભિન્ન ભગવાનોની મૂર્તિ અથવા તસવીર રાખીએ છીએ. જ્યારે વાસ્તુ અનુસાર મૂર્તિઓ ખુબ જ સંવેદનશીલ માનવામાં આવે છે.
તેમની પૂજા વગેરેમાં ઘણી સાવધાની રાખવી જોઇએ. મૂર્તિ અને તસવીર અંગે મહત્વપૂર્ણ વાત એ છે કે તે ક્યાંય થી પણ ખંડિત ન હોવી જોઇએ. ખંડિત મૂર્તિ અથવા ફોટોની પૂજા અશુભ માનવામાં આવે છે.
મંદિરમાં રાખવામાં આવતી ખંડિત મૂર્તિઓ વિશે પહેલા એ જાણવું જરૂરી છે કે, ખંડિત અથવા અશુભ મૂર્તિઓ કોને કહે છે. ઘણીવાર ભૂલથી ભગવાનની કોઇ મૂર્તિ હાથથી છુટી જાય છે જેથી તેમા તિરાડ પડી જાય છે. અથવા મૂર્તિનો કેટલોક ભાગ તુટી જાય છે.
આ પ્રકારની મૂર્તિઓને ખંડિત અથવા અશુભ મૂર્તિઓ કહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આવી મૂર્તિઓને મંદિરમાં ન રાખવી જોઇએ.
આ પ્રકારની મૂર્તિઓને કોઇ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવી જોઇએ અથવા કોઇ મંદિરમાં પીપળાના ઝાડ નીચે મુકી દેવી જોઇએ. કેમકે ઘરમાં ભગવાનની ખંડિત મૂર્તિઓ રાખવાથી વાસ્તુદોષ લાગે છે. અને નકારાત્મકતા બની રહે છે. માત્ર મૂર્તિ જ નહીં પરંતુ ખંડિત દીપકનો પણ ક્યારેય ઉપયોગ ન કરવો જોઇએ. કેમકે તેનાથી ઘરમાં દરિદ્રતા વધે છે.