દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી છે. રાહુલના પરિપ્રેક્ષ્યમાં જો વાત કરીએ તો ૪૯ વર્ષની ઉંમરે રાહુલ ગાંધીને કોઇ સિરિયસલી લેતું નથી. કોંગ્રેસ પાર્ટીના નેતાઓ રાહુલને જુનિયર સમજે છે અને દેશની જનતા રાહુલમાં પૂરતી આવડત હશે કે કેમ તે અંગે શંકાની નજરે જુએ છે. દેશના લોકોમાં એક માન્યતા બંધાઇ ગઇ છે કે વંશવાદને કારણે રાહુલ ગાંધીનું રાજકારણમાં અસ્તિત્વ છે. બાકી સ્વયંની આવડતથી રાહુલને કોંગ્રેસ જેવી પાર્ટીનું અધ્યક્ષપદ ન મળી શકે.
કોંગ્રેસ પાર્ટીનો સૌથી ખરાબ સમય
લોકસભાની ચૂંટણીનાં પરિણામ પછી રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. કોંગ્રેસ પાર્ટીએ હજુ રાહુલ ગાંધીનું રાજીનામું સ્વીકાર્યું નથી. સવાલ એ છે કે, જ્યારે કોંગ્રેસ પાર્ટી તેના અસ્તિત્વના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે. ત્યારે શું રાહુલ ગાંધી હારથી નિરાશ થઇને કોંગ્રેસ પાર્ટીની નેતાગીરી છોડી દેવી જોઇએ?
ભાજપ પાર્ટીના એક જમાનામાં માત્ર બે જ સાંસદો ચૂંટાયા હતા
અત્યારે દેશના રાજકારણમાં સૌથી ઉદાસ વ્યક્તિ તરીકે રાહુલ ગાંધીની છાપ ચિતરાઇ ગઇ છે. દેશની જનતાએ હંમેશાં લડવૈયાઓને પસંદ કર્યાં છે. રાહુલ ગાંધી સામે તો તેમના પરિવારનો જ દાખલો મૌજૂદ છે. રાહુલનાં દાદી ઇન્દિરા ગાંધીએ શૂન્યમાંથી સર્જન કર્યું હતું. 1975માં ઇમરજન્સી દાખલ કર્યા બાદ દેશભરમાં ઇન્દિરા ગાંધી વિલન તરીકે ચિતરાઇ ગયાં હતાં. 1977ની લોકસભાની ચૂંટણીમાં ઇન્દિરા ગાંધી સહિત કોંગ્રેસની કરારી હાર થઇ હતી. આમ છતાં ફરી એકવાર ઇન્દિરા ગાંધી દેશનાં પ્રધાનમંત્રી બન્યાં હતાં અને કોંગ્રેસને ફરી પાછી સત્તા પર લાવ્યાં હતાં. રાહુલ ગાંધીની લોકપ્રિયતા હજુ ઇન્દિરા ગાંધી જેટલી ઓગળી ગઈ નથી. રાહુલ ગાંધીએ જેનો સામનો કરવાનો છે તે ભાજપ પાર્ટીના પણ એક જમાનામાં માત્ર બે જ સાંસદો લોકસભામાં ચૂંટાયા હતા. ખુદ અટલબિહારી વાજપેયી પણ ચૂંટણી હારી ગયા હતા.
કોંગ્રેસ તૂટી રહી છે!
રાહુલ ગાંધીનો રાજકીય ગ્રાફ જોઇએ તો એમાં મોટા ભાગે નિષ્ફળતા જ દેખાય છે. 2003માં જ્યારે રાહુલ ગાંધીના રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશની જોરદાર વાતો મીડિયામાં ચગી ત્યારે રાહુલ ગાંધીએ તેનો કોઇ જવાબ આપ્યો નહીં. આ દિવસોમાં રાહુલ જાહેર સમારંભમાં સોનિયા ગાંધી સાથે ફરતા દેખાતા હતા. આજે કોંગ્રેસ ભંગાણને આરે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસનો મોટો ભાગ ભાજપમાં જોડાઇ શકે છે. તેલંગાણામાં પણ આ જ હાલત છે. કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યો TRSમાં જોડાવવા માટે તત્પર છે.
રાહુલ ગાંધીની આ નબળાઇ...
કોંગ્રેસમાં નવી નેતાગીરીની શોધ ચાલી રહી છે. પહેલીવાર કેટલાક કોંગ્રેસીઓ ખૂલીને નેતાગીરી બદલવાની માગ કરી રહ્યાં છે. ભાજપ સામે રાહુલ ગાંધીએ લડવું હશે તો હવે વર્ષો જૂની કોંગ્રેસી ઘરેડમાંથી બહાર આવવું પડશે. કોંગ્રેસ હંમેશાં પ્રાદેશિક નેતાઓથી ડરતી આવી છે અને તેમને કમજોર કરવાના પ્રયત્નો કર્યાં છે. જેના પરિણામે જ કોંગ્રેસે મમતા બેનરજી, શરદ પવાર, શંકરસિંહ વાઘેલા જેવા નેતાઓ ગુમાવ્યા છે. કોંગ્રેસ પ્રમુખ તરીકે રાહુલ ગાંધી જ્યારે એમ કહેતા હોય કે મારા પર દબાણ કરીને નેતાઓએ તેમનાં સંતાનોને ટિકિટ અપાવી તો તે વાત તેમની નબળાઇ બતાવે છે. ખુદ રાહુલ ગાંધીનું રાજકીય અસ્તિત્વ પણ તેમનાં માતા-પિતા આધારિત છે એ વાત રાહુલ ગાંધી કેમ ભૂલી જાય છે?