કચ્છમાં શ્રાવણ માસ શરૂ થતાં જ મેળાની મોસમ ખીલી ઉઠે છે. તેમાં પણ આ વર્ષે સારો વરસાદ થયો હોવાથી મેળાની રંગત જામી રહી છે. ભુજિયાનો, નાના યક્ષનો, મીની તરણેતર સમો મોટા યક્ષનો મેળો તો સુવિખ્યાત છે જ પરંતુ નાના નાના ગામોમાં યોજાતા મેળામાં કચ્છની લોકસંસ્કૃતિના દર્શન થાય છે.
મીની તરણેતર સમો મોટા યક્ષનો મેળો
કચ્છની લોકસંસ્કૃતિના થાય છે દર્શન
મીની પુષ્કર તરીકેની ઓળખ
મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
ભુજ તાલુકાના કોટડા ચકાર ગામ નજીકના મોટા બંદરાની સીમમાં આવેલા ડુંગરોમાં મોમાય માતાજીના બે મંદિર આવેલા છે. જે ભેડ માતાના મંદિર તરીકે પણ ઓળખાય છે. અહીં ભાદરવી સુદ ચૌદસ અને પુનમના બે દિવસ યોજાતા મેળામાં કચ્છની લોકસંસ્કૃતિ, તેનું પશુધન અને સારા વરસાદ પછી છવાયેલી હરિયાળી સર્વત્ર નજરે પડતી હતી. અહીં મુન્દ્રા, અંજાર અને ભુજ તાલુકાના લેર, કોટડા, ચકાર, વરલી, થરાવડા, ભલોટ, લાખોંદ, કુકમા વગેરે આહિર પટ્ટીના ગામોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
મીની પુષ્કર તરીકેની ઓળખ
રંગબેરંગી વસ્ત્ર પરિધાન કરેલી મહિલાઓના કારણે વાતાવરણમાં લોકસંસ્કૃતિ ધબકતી હોય તેવું લાગતું હતું. જ્યાં ભેડ માતા બિરાજમાન છે તેની નજક જ સારણાઇ માતાનું મંદિર પણ આવેલું છે. અહીં ભેડ માતાના મેળાના દિવસે રબારીઓ, માલધારીઓ પોતાના ઊંટ, ઘેટાં, બકરાં જેવા પશુઓ આવે છે. જેના કારણે આ મેળો મીની પુષ્કરના મેળા તરીકે ઓળખાય છે.
લોક સંસ્કૃતિને ધબકતી રાખતો મેળો
અહીં આવેલા પશુઓનું દૂધ એકઠું કરીને તેને ખીર બનાવાય છે. જે મીઠી પેડી તરીકે ઓળખાય છે. જેનો પ્રસાદ લેવો આસ્થાળુઓ માટે શુભશુકન મનાય છે. ચૌદસની રાત્રે આરાધી વાણીની અને ભોપાઓના ડાકલા સાથે રબારી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી.
આ મેળામાં ખાણીપીણીના સ્ટોલ, મનોરંજનના સ્ટોલ, ફજેત, મીઠાઇ અને ફળફળાદીના સ્ટોલ પર ભારે તડાકો પડ્યો હતો. આ પ્રસંગે ખીલી ઉંઠેલી હરિયાળીના કારણે મેળાની રંગત અનેરી જણાતી હતી.