ચીન, દક્ષિણ કોરિયા અને ઈરાન બાદ હવે ઈટાલીમાં જીવલેણ કોરોના વાઈરસે હાહાકાર મચાવી દીધો છે. ઈટાલીમાં ગઈ કાલે વધુ 49 લોકોનાં મોત ઘાતક કોરોનાને કારણે થયાં છે. આ સાથે જ ઈટાલીમાં આ વાઈરસથી મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 197 થઈ ગઈ છે.
કોરોનાથી કુલ 197 લોકોનાં મોત, 4000થી વધુ કેસ સામે આવ્યા
દુનિયાના 87 દેશોમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને એક લાખને પાર થઈ છે
ભારત સરકારે એડવાઈઝરી જારી કરી, મોટી સભાઓ-સંમેલનોમાં ભાગ ન લેવા લોકોને અપીલ કરી
કોરોના વાઈરસને કારણે સૌથી વધુ મૃત્યુ ચીન અને ત્યારબાદ ઇટાલીમાં નોંધાયા છે. અત્યાર સુધીમાં ઈટાલીમાં કોરોનાના ચેપના 4,636 કેસ સામે આવ્યા છે, જે ચીન, દક્ષિણ કોરિયા અને ઈરાન પછી સૌથી વધુ છે.
કોરોના વાઈરસથી બચવા માટે ઘરમાં જ રહેવાની સરકારની સલાહને ઈટાલીના વૃદ્ધો અવગણી રહ્યા છે. યુરોપમાં કોરોના ઈટાલીથી ફેલાયો છે અને ત્યાં અત્યાર સુધીમાં 197 લોકોએ જીવ ગુમાવ્યા છે. જાપાન બાદ સૌથી વધુ વૃદ્ધો ઈટાલીમાં છે. આ વાઈરસ વૃદ્ધોને ખૂબ ઝડપથી શિકાર બનાવે છે. આવી સ્થિતિમાં વૃદ્ધોને તેમના ઘરે રહેવાની અપીલ કરવામાં આવી હતી.
બુધવારથી સમગ્ર ઈટાલીમાં આગામી બે સપ્તાહ સુધી તમામ શાળાઓ બંધ રાખવાની જાહેરાત થયા બાદ આશરે 84 લાખ વિદ્યાર્થીઓને તેમના ઘરમાં રહેવાની ફરજ પડી છે. અહીંના વૃદ્ધો સરકારની ચેતવણી છતાં પણ તેમના પૌત્રો-પૌત્રી સાથે સમય વિતાવી રહ્યા છે, જે ખૂબ ચિંતાજનક છે.
દુનિયાના 87 દેશોમાં કોરોનાગ્રસ્ત લોકોની સંખ્યા વધીને એક લાખને પાર થઈ છે અને મૃત્યુઆંક 3,411 પર પહોંચી ગયો છે. ગુરુવાર સુધીમાં કોરોના વાઈરસના 613 નવા કેસ નોંધાયા હતા અને 39 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સત્તાવાર આંકડા અનુસાર, હોંગકોંગ અને મકાઉને બાદ કરતાં, ચીનમાં કોરોનાના 80,552 કેસ નોંધાયા હતા, જેમાંથી 3,070 લોકોનાં મોત થયા હતાં. ચીનની બહાર કુલ 17,571 કેસ નોંધાયા છે અને 343 લોકોએ જીવ ગુમાવ્યો છે.
દરમિયાન, ભારત સરકારે કોરોના વાઈરસના કારણે તમામ રાજ્યોને મોટી સભાઓ અને સંમેલનો રદ કરવા કે મુલતવી રાખવાની સલાહ આપી છે. ભયજનક કોવિડ-19 (કોરોનો વાઈરસ)ના ફેલાવાને રોકવા માટે વિવિધ નિયામક સંસ્થાઓ કાર્યરત છે. દેશમાં અત્યાર સુધીમાં 31 લોકો આ ઘાતક વાઈરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે.
સરકારી અધિકારીઓના કહેવા પ્રમાણે, 5 માર્ચ સુધીમાં કોરોના વાઈરસની તપાસ માટે ઈન્ટીગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (આઈડીએસપી) હેઠળ ભારતભરમાં 29,607 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.