બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:25 AM, 4 April 2024
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં અગીયાળી ગામે વાડી વિસ્તારમાં સુંદર રમણીય પર્વતો વચ્ચે ગણેશ આશ્રમ આવેલો છે.આશ્રમમાં ગણેશજીનુ મંદિર આવેલું છે. જ્યાં ભક્તિની સાથે અન્નક્ષેત્ર અને ગૌ સેવા પણ કરવામાં આવે છે.મંદિરે ગણેશ ચતુર્થી સહિત અન્ય તહેવારો ભારે ધામધૂમ પૂર્વક હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. ગણેજીના દર્શન કરવા ભાવિકો મંદિરે શ્રદ્ધા આસ્થા સાથે આવે છે અને ગણેશજી સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે.
ADVERTISEMENT

સિહોરના અગીયાળી ગામે ગણેશ આશ્રમ
ભાવનગરનું સિહોર ગામ ગોહિલવાડની રાજધાની હતી અને તે સમયે ગામમાં અનેક દેવદેવીઓના મંદિરો આવેલા હતા જેમાં કેટલાક મંદિરોનો સમયાંતરે વિકાસ થતો રહ્યો.સિહોરના અગીયાળી ગામે આવેલા ગણેશ આશ્રમના પટાંગણમાં ગણેશજીનું મંદિર આવેલું છે. ભાવનગરથી 30 કિલોમીટર દૂર આવેલુ મંદિર વાડીવિસ્તારમાં આવેલું છે મંદિર આસપાસ આવેલા ડુંગરોથી મંદિરનો વિસ્તાર નયનરમ્ય લાગે છે.મંદિરની સ્થાપના અગીયાળી ગામના બ્રહ્મચારી બાપુએ કરી હતી.2004માં બ્રહ્મચારી બાપુએ સેવકોના સહયોગથી શિખરબંધ મંદિર બનાવ્યું. સિહોરના અગીયાળી ગામે આવેલુ ગણેશજીનુ શિખરબંધ મંદિર આરસપ્હાણથી બનાવેલુ છે.મંદિરે દૂર દૂરથી ભાવિકો દાદાના દર્શન માટે ઉમટી પડે છે.અગીયાળી ગામની ચારે તરફ પથરાયેલી લીલોતરીની ચાદર અને આ જ કુદરતી સાનિધ્યમાં બિરાજમાન ગણપતિદાદાના દર્શન મનને શાંતિ પ્રદાન કરે છે.
ADVERTISEMENT

ભક્તિની સાથે અન્નક્ષેત્ર અને ગૌ સેવા
ગણપતિદાદાના મંદિરે દર ચોથના દિવસે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે દર્શનાર્થીઓ દાદાના દર્શન કરી ધન્ય થાય છે અને પોતાની માનેલી માનતા પણ પૂર્ણ કરે છે.મંદિરે આવતા યાત્રિકો માટે ઉતારા તેમજ ભોજનની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે મંદિરે આવતા ભાવિકો અન્નક્ષેત્રમાં ભોજનને પ્રસાદરુપે લઈ સંતોષની લાગણીનો અહેસાસ કરે છે. અગીયાળી ગામે આવેલ શ્રી ગણેશ આશ્રમમાં ભક્તિની સાથે સમાજ સેવાના સુંદર કામો પણ કરવામાં આવે છે.સર્વ રોગ નિદાન કેમ્પ અને સમૂહલગ્નના આયોજન પણ કરવામાં આવે છે. ભક્તજનો પોતાની માનતા પૂર્ણ કરવા માટે આવે છે અને રડતા આવેલા ભક્તો પોતાની મનોકામના સિદ્ધ થતા હસતા મોઢે ઘરે ફરે છે.
ADVERTISEMENT

2004માં બ્રહ્મચારી બાપુએ સેવકોના સહયોગથી મંદિર બનાવ્યું
ગણપતિ મંદિરે ગણેશ ચતુર્થી, જન્માષ્ટમી, રામનવમી અને પાટોત્સવ સહિતના અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવે છે અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આશ્રમમાં આવેલી ગૌશાળા તેમજ મંદિરે આવતા ભક્તજનો માટે આશ્રમના પોતાના ખેતરમાં જ તમામ પાક અને શાકભાજી ઉગાડવામાં આવે છે. ગણેશ મંદિરની સાથે ગૌશાળા અને અન્નક્ષેત્ર પણ આવેલા છે ગૌશાળામાં 25 થી વધુ ગાયની સેવા કરવામાં આવે છે. ગાયોની સેવા માટે સેવકો સતત કાર્યરત રહે છે. ખેતરમાં થતી પ્રાકૃતિક ખેતીના કારણે મંદિરે આવતા ભાવિકોને પ્રસાદમાં શુદ્ધ ભોજન પીરસવામાં આવે છે.
ADVERTISEMENT

મંદિરમાં બિરાજમાન ગણેશજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોઈ લોકોમાં અતૂટ શ્રદ્ધા છે મંદિરે દિવસમાં બે વાર આરતી કરવામાં આવે છે અને માત્ર ભાવનગર જિલ્લો જ નહીં અન્ય શહેરોમાંથી પણ લોકો દાદાના દર્શનાર્થે ઉમટી પડે છે .
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.