અમદાવાદઃ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાને હવે બે દિવસની વાર છે ત્યારે આજે જગન્નાથ મંદિરમાં નેત્રોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન ગર્ભગૃહમાં પ્રવેશ કરશે અને ભગવાન જગન્નાથજી નીજ મંદિરમાં પ્રવેશ કરશે.
તો ભાણેજોને મોસાળથી ઘરે લાવવા માટે મંદિરમાં પણ પૂરજોશમાં તૈયારીઓ થઈ છે. શનિવારે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે ત્યારે મંદિરમાં સુરક્ષાના ભાગરૂપે સ્થાનિક પોલીસ સહિત RAFની ટીમ તૈનાત કરવામાં આવી છે.
પોલીસ દ્વારા રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યુ
મહત્વનું છે કે શનિવારે 141મી રથયાત્રા નિકળવાની છે. જેના કારણે પોલીસ દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું.
પોલીસે રથયાત્રાના રૂટ પર રિહર્સલ કર્યુ હતું. આ રિહર્સલમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
રથયાત્રા પર પોલીસ કમિશ્નર એ.કે.સિંઘનુ નિવેદન
આ દરમિયાન અમદાવાદ પોલીસ કમિશ્નર એ.કે.સિંઘે જણાવ્યુ કે અમદાવાદ પોલીસે દ્વારા નાના-નાના ઘણા પ્રકારના રિહર્સલ કરવામાં આવ્યા હતા.
હવે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ છે. રથયાત્રા દરમિયાન ટ્રાફિક ન થાય તે માટે પણ પોલીસ દ્વારા ડાયવર્ઝન પણ કરવામાં આવ્યુ છે.
ત્યારે રથયાત્રાને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. રથયાત્રાના રૂટ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 200થી વધુ CCTV કેમેરા પણ લગાવી દેવાયા છે. જ્યારે સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં 99 સ્થળે 150 જેટલાં CCTV કેમેરા પણ ગોઠવી દેવાયા છે.
આ સિવાય ઈઝરાયલના ડ્રોનથી પણ રથયાત્રા પર બાજનજર રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રથયાત્રા દરમિયાન 25 હજાર જેટલાં સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરી દેવાયા છે.