અમદાવાદ: ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાને લઈને પોલીસ વિભાગ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જેમાં રથયાત્રાના રૂટના તમામ રસ્તાઓને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે. આગામી તારીખ 13 અને 14મી જૂલાઈના આ તમામ રસ્તાઓ પર કોઈપણ પોતાના વાહન પાર્કિંગ નહીં કરી શકે.
નો પાર્કિંગ ઝોન જાહેર કરાયેલા રસ્તાઓમાં જમાલપુર દરવાજાથી જમાલપુર ચકલા સુધીનો રોડ ત્યારબાદ ખમાસા ગોળલીમડા આસ્ટોડિયા ચકલા રાયપુર ચકલા ખાડિયા પાંચકુવા અને માણેકચોક સુધીના રસ્તાને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.
આ સિવાય શાહપુર દરવાજા થી રંગીલા પોલીસ ચોરી સુધીના રોડને પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરાયો છે. તો દિલ્હી ચકલા ઘી કાંટા દાણીપીઠથી ખમાસા સુધીના રોડને પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અને આ તમામ રૂટ પર પોલીસનું સઘન પેટ્રોલીંગ પણ વધારી દેવામાં આવ્યું છે.
રથયાત્રાના બે દિવસ સુધી આ રસ્તાઓ પર કોઈપણ પોતાના વાહન પાર્ક નહીં કરી શકે અને જો કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે.