બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / માત્ર રથ ખેંચવાથી પાપ ધોવાય છે? જગન્નાથ રથયાત્રા પાછળની એવી માન્યતાઓ, જે બહુ ઓછા લોકોને ખબર છે
Last Updated: 09:02 AM, 16 July 2026
Rath Yatra 2026 : ભારતના સૌથી ભવ્ય અને વિશ્વપ્રસિદ્ધ ધાર્મિક ઉત્સવોમાં જો કોઈ એક યાત્રાનું નામ સૌથી પહેલા લેવામાં આવે તો તે છે ઓડિશાના પુરીમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા. દર વર્ષે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા ભવ્ય રથોમાં બેસીને શ્રીમંદિરમાંથી નીકળે છે અને લગભગ ત્રણ કિલોમીટર દૂર આવેલા ગુન્ડીચા મંદિર સુધી પહોંચે છે.
ADVERTISEMENT
આ યાત્રા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ આસ્થા, પરંપરા, ઇતિહાસ અને માનવ સમાનતાનું જીવંત પ્રતીક છે. દર વર્ષે લાખો ભક્તો માત્ર ભગવાનના દર્શન કરવા જ નહીં, પરંતુ રથની દોરી ખેંચવાનું પુણ્ય મેળવવા માટે પણ પુરી પહોંચે છે. પણ શું તમે જાણો છો કે દર વર્ષે નવા રથ જ કેમ બનાવવામાં આવે છે? ભગવાન 15 દિવસ સુધી દર્શન કેમ આપતા નથી? પત્ની લક્ષ્મીજી કેમ રિસાઈ જાય છે? અને આખરે પુરીની રથયાત્રા જ વિશ્વભરમાં સૌથી વિશેષ કેમ માનવામાં આવે છે?
ADVERTISEMENT
સૌથી પ્રચલિત માન્યતા પ્રમાણે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા દર વર્ષે નવ દિવસ માટે પોતાની માસીના ઘરે એટલે કે ગુન્ડીચા મંદિર જાય છે. કેટલાક ધાર્મિક ગ્રંથોમાં ગુન્ડીચા મંદિરને ભગવાનનું જન્મસ્થળ પણ માનવામાં આવે છે. બીજી માન્યતા મુજબ રાજા ઇન્દ્રદ્યુમ્નની રાણી ગુન્ડીચાના સન્માનમાં આ યાત્રા કરવામાં આવે છે. ભગવાન ત્યાં સાત દિવસ રોકાય છે અને માસીના હાથે બનેલા ભોજનનો પ્રસાદ ગ્રહણ કરે છે.
ADVERTISEMENT
જગન્નાથ મંદિરની એક વિશેષતા એ છે કે અહીં બિન-હિંદુઓને પ્રવેશ મળતો નથી. એટલે જ રથયાત્રાનું સૌથી મોટું મહત્વ એ છે કે ભગવાન ખુદ પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવીને દરેક ભક્તને દર્શન આપે છે. આ યાત્રા એ સંદેશ આપે છે કે ભગવાન માટે કોઈ જાતિ, વર્ણ કે સમાજનો ભેદ નથી.

ADVERTISEMENT
ધાર્મિક માન્યતા અનુસાર ભગવાનના રથના માત્ર દર્શન કરવાથી પણ પાપોનો નાશ થાય છે. 'વામદેવ સંહિતા' મુજબ જે ભક્ત ગુન્ડીચા મંદિરમાં એક સપ્તાહ સુધી ભગવાનના દર્શન કરે છે તેને પોતાના પૂર્વજો સાથે વૈકુંઠમાં સ્થાન મળે છે.
ADVERTISEMENT
રથને દિવ્ય શક્તિનું પ્રતિક માનવામાં આવે છે. માન્યતા છે કે રથને માત્ર સ્પર્શ કરવાથી પણ ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. રથની દોરી ખેંચવી એ જીવનના નવા અને શુભ અધ્યાયની શરૂઆત માનવામાં આવે છે. લાખો લોકો માત્ર આ પુણ્ય મેળવવા માટે જ પુરી પહોંચે છે.
ADVERTISEMENT
રથયાત્રા પહેલાં સ્નાન પૂર્ણિમાના દિવસે ભગવાનને 108 કળશના પવિત્ર જળથી અભિષેક કરવામાં આવે છે. માન્યતા મુજબ ત્યારબાદ ભગવાન અસ્વસ્થ થઈ જાય છે અને લગભગ 14થી 15 દિવસ સુધી 'અણસર ઘર'માં આરામ કરે છે. આ સમય દરમિયાન ભક્તોને ભગવાનના દર્શન થતા નથી. જ્યારે ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થાય છે ત્યારે 'નવયૌવન દર્શન' બાદ રથયાત્રા શરૂ થાય છે.
રથયાત્રા સાથે જોડાયેલી સૌથી રસપ્રદ કથા ભગવાન જગન્નાથ અને માતા લક્ષ્મીની છે. ભગવાન જ્યારે રથયાત્રા પર જાય છે ત્યારે પોતાની પત્ની લક્ષ્મીજીને સાથે લઈ જતા નથી. ચોથા દિવસે લક્ષ્મીજી ભગવાનને શોધતાં ગુન્ડીચા મંદિર સુધી પહોંચે છે. નવ દિવસ પછી જ્યારે ભગવાન પરત ફરે છે ત્યારે લક્ષ્મીજી રિસાઈ જાય છે. તેમનો ગુસ્સો શાંત કરવા ભગવાન તેમને રસગુલ્લાનો ભોગ ધરાવે છે. આથી જ ઓડિશામાં 'નીલાદ્રિ બિજે'ના દિવસે રસગુલ્લાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે.
કેટલીક પરંપરાઓમાં આ યાત્રાને ભગવાન કૃષ્ણના વૃંદાવન ગમન સાથે પણ જોડવામાં આવે છે. આ દિવસે પીળા અને લાલ રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે.
જગન્નાથ રથયાત્રાનો ઉલ્લેખ સ્કંદ પુરાણ, બ્રહ્મ પુરાણ અને પદ્મ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં જોવા મળે છે. ઇતિહાસ મુજબ 12મી સદીમાં પૂર્વી ગંગા વંશના રાજા અનંતવર્મન ચોડગંગ દેવે પુરીના જગન્નાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્યારથી આ રથયાત્રા સતત યોજાતી આવી રહી છે.
ઇતિહાસકારોના જણાવ્યા મુજબ વર્ષ 1558થી 1735 વચ્ચે મુગલ આક્રમણોના કારણે 32 વખત રથયાત્રા યોજાઈ શકી નહોતી. ત્યારબાદ ફરી આ પરંપરા પૂર્વવત શરૂ થઈ.
અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ? ગુજરાતમાં જગન્નાથ રથયાત્રાનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. લગભગ 400 વર્ષ પહેલા સારંગદાસજીએ સાબરમતી કિનારે જગન્નાથ મંદિરની સ્થાપના કરી હતી. ત્યારબાદ 1878માં મહંત નૃસિંહદાસજીએ પુરીની પરંપરા પ્રમાણે અમદાવાદમાં રથયાત્રાની શરૂઆત કરી, જે આજે પણ દેશની સૌથી મોટી રથયાત્રાઓમાં ગણાય છે.
યાત્રા પુરીના શ્રીમંદિરથી શરૂ થઈને ગુન્ડીચા મંદિર સુધી જાય છે. આ બંને મંદિરો વચ્ચેનું અંતર આશરે 3 કિલોમીટર છે. નવ દિવસ બાદ ભગવાન પરત ફરે છે, જેને બહુડા યાત્રા કહેવામાં આવે છે.
રથયાત્રામાં ત્રણ અલગ-અલગ રથ હોય છે.
દરેક રથની ઊંચાઈ લગભગ 40 ફૂટથી વધુ હોય છે.
જગન્નાથ રથયાત્રાની સૌથી અનોખી પરંપરા એ છે કે દર વર્ષે ત્રણેય રથ નવા બનાવવામાં આવે છે. રથ બનાવવાની શરૂઆત અક્ષય તૃતીયાથી થાય છે. ફાસી, ધૌરા, સિમિલી અને આસન જેવા સ્થાનિક વૃક્ષોની લાકડીઓનો ઉપયોગ થાય છે. આશરે 200 કારીગરો સતત બે-ત્રણ મહિના સુધી રોજ 12 કલાક મહેનત કરીને રથ તૈયાર કરે છે. આ સમગ્ર પ્રક્રિયામાં આધુનિક મશીનોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
આ પણ વાંચો : આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા, જાણો કયા સમયે કયા વિસ્તારમાં પહોંચશે ભગવાનનો રથ
યાત્રા પૂર્ણ થયા બાદ રથના પૈડાં અને કેટલાક ભાગોની હરાજી કરવામાં આવે છે. બચેલી લાકડીઓનો ઉપયોગ જગન્નાથ મંદિરના રસોડામાં બળતણ તરીકે થાય છે. આ રીતે દર વર્ષે નવા રથો તૈયાર થાય છે અને પરંપરા ફરીથી જીવંત બને છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.