ગૃહમંત્રી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની અને રવિશંકર પ્રસાદ સહિત છ રાજ્યસભાના સભ્યો હાલમાં જ લોકસભા ચૂંટણી જીતતા રાજ્યસભાની ખાલી પડેલી છ બેઠકો માટેની પેટાચૂંટણી 5 જુલાઇના રોજ થશે.
ચૂંટણીપંચ દ્વારા શનિવારે રજૂ થયેલ કાર્યક્રમ અનુસાર બિહાર, ઓડિસા અને ગુજરાતની ખાલી પડેલી છ બેઠકો પર પેટાચૂંટણી થશે. જેમાં બિહારથી એક, ગુજરાતમાંથી બે અને ઓડિસામાંથી ત્રણ બેઠકો ખાલી થઇ છે.
અમિત શાહ, સ્મૃતિ ઇરાની સહિત છ બેઠકો ખાલી
ગુજરાતથી અમિત શાહ, સ્મૃતિ ઇરાની, જ્યારે બિહારથી રવિશંકર પ્રસાદ અને ઓડિસાથી બીજદના અચ્યુતાનંદ સામાંત લોકસભાના સભ્ય બન્યા છે. જ્યારે ઓડિસાથી રાજ્યસભા સભ્ય પ્રતાપ કેશરી દેબને વિધાનસભા સભ્ય પંસદ કરતા અને સૌમ્ય રંજન પટનાયકના રાજીનામાંના કારણે આ બેઠકો ખાલી થઇ છે. આ બેઠકો પર પેટાચૂંટણી માટે 18 જૂને માહિતી રજૂ કરતાની સાથે ચૂંટણી પ્રક્રિયાની ઔપચારિક શરૂઆત થશે.
25 જૂને નામાંકન, 5 જુલાઇએ મતદાન
ઉમેદવારી માટે નામાંકનની છેલ્લી તારીખ 25 જૂન હશે અને 26 જૂને નામાંકન પત્રોની તપાસ કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 28 જૂન નક્કી કરવામાં આવી છે. જ્યારે 5 જુલાઇના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. મતદાન બાદ સાંજે પાંચ કલાકે મતગણતરી થશે.
1 બેઠક જીતવાની કોંગ્રેસની આશા પર ફરી શકે છે પાણી
રાજ્યસભાની ચૂંટણીમાં અનોખો વળાંક આવ્યો છે. રાજ્યસભાની પેટાચૂંટણી પર અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અલગ-અલગ નોટિફિકેશન હોવાથી દરેક ધારાસભ્ય બંને સીટ માટે મતદાન કરી શકે છે. આ સ્થિતિમાં ગુજરાતમાં ભાજપ બંને બેઠક જીતી શકે છે.
શું હવે કોંગ્રેસના ખાતામાં જશે એક બેઠક?
એક પ્રકારે ગુજરાતની એક બેઠક કોંગ્રેસના ખાતમાં જવાની શક્યતાઓ છે. ભાજપે બન્ને બેઠકો પર જીત મેળવવાના તમામ પ્રયાસ કરી રહ્યું છે. જોકે ગુજરાત વિધાનસભામાં હાલના ધારાસભ્યોની ગણતરી અનુસાર એક બેઠક ભાજપને અને એક બેઠક કોંગ્રેસના ખાતામાં જઇ શકે છે. પરંતુ રાજ્યસભાની પેટાચૂંટણીમાં અલગ અલગ નોટિફેકશન બહાર પાડતા ભાજપ બન્ને બેઠક જીતી શકે છે.
ભાજપને જીતવા 120 ધારાસભ્યોની જરૂર
વિધાનસભામાં કોંગ્રેસ પાસે હાલ 72 ધારાસભ્યો છે. જ્યારે ભાજપ પાસે 100 ધારાસભ્યો છે. જ્યારે ભાજપના ચાર ધારાસભ્ય સાંસદ બનતા ભાજપનો આંકડો 100 થઇ ગયો છે. જ્યારે ભાજપે બન્ને બેઠકો જીતવા માટે 120 ધારાસભ્યોની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીનો કાર્યકાળ 18 ઓગષ્ટ 2023 સુધી અને પ્રસાદનો કાર્યકાળ બે એપ્રિલ 2024 સુધી હતો. ત્યારે ગત વર્ષે એપ્રિલમાં બીજદ રાજ્યસભાના સભ્ય બન્યા પટનાયકે ગત છ જૂને રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું હતું.