ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / માર્ચ 2027 સુધી બધા ટોલ પ્લાઝા થશે બેરિયર-ફ્રી, ANPRથી ગાડી રોક્યા વગર કપાશે ટોલ
5 ફોટો ગેલેરી
Last Updated: 03:06 PM, 15 September 2026
1/5
લાંબી મુસાફરી દરમિયાન ટોલ પ્લાઝા પર લાગતી લાંબી કતારો ઘણીવાર પ્રવાસની મજા બગાડી નાખે છે. જોકે, આ સમસ્યા ટૂંક સમયમાં ભૂતકાળ બની જશે. સરકાર એક એવી વ્યવસ્થા અમલમાં મૂકી રહી છે જેનાથી ટોલ ચૂકવવા માટે વાહનની ગતિ ધીમી કરવાની જરૂરિયાત સમાપ્ત થઈ જશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે નજીકના ભવિષ્યમાં ફાસ્ટટેગની સાથે 'ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન' (ANPR) ટેક્નોલોજીનો પણ મોટા પાયે ઉપયોગ કરવામાં આવશે.
2/5
ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2026માં સંબોધન કરતા ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પરના તમામ ટોલ બૂથને 'બેરિયર-ફ્રી' બનાવવા માટેની યોજના પર ઝડપથી કામ કરી રહી છે. આ વર્ષના ડિસેમ્બરના અંત સુધીમાં 70 ટકાથી વધુ ટોલ બૂથ બેરિયર-ફ્રી થઈ જશે અને માર્ચ ૨૦૨૭ સુધીમાં આ લક્ષ્યાંક 100 ટકા સુધી હાંસલ કરી લેવામાં આવશે. હાલમાં દેશમાં 13 કરોડથી વધુ ફાસ્ટ-ટેગ જારી કરવામાં આવ્યા છે અને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ફાસ્ટ-ટેગનો વ્યાપ 98 ટકાના આંકડાને પાર કરી ગયો છે.
ADVERTISEMENT
3/5
હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે બેરિયર વિના ટોલ કેવી રીતે વસૂલવામાં આવશે? તેનો સરળ જવાબ છે - 'મલ્ટી-લેન ફ્રી-ફ્લો' (MLFF) ટોલિંગ સિસ્ટમ. આ અત્યાધુનિક ટેક્નોલોજીનું ટેસ્ટિંગ 11 મે, 2026ના રોજ મુંબઈના એક ટોલ પ્લાઝા પર કરવામાં આવી ચૂક્યું છે. આ નવી સિસ્ટમ હેઠળ, ટોલ પ્લાઝા પર પરંપરાગત બેરિયર્સ હશે નહીં. જેવું તમારું વાહન ટોલ ઝોનમાંથી પસાર થશે, ત્યાં લગાવવામાં આવેલા ખાસ હાઈ-ટેક કેમેરા તમારા વાહનની નંબર પ્લેટને સ્કેન કરી લેશે. ત્યારબાદ, ટોલની રકમ સીધી તમારા લિંક કરેલા ખાતામાંથી કાપી લેવામાં આવશે. આનાથી ટોલ પ્લાઝા પર સામાન્ય રીતે જોવા મળતી ભારે ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.
4/5
આ નવી વ્યવસ્થાથી સામાન્ય જનતાને સૌથી વધુ લાભ થશે. ગડકરીના જણાવ્યા અનુસાર, અગાઉ વાહનોએ ટોલ પ્લાઝા પર સરેરાશ 12 મિનિટ સુધી રાહ જોવી પડતી હતી. નવી વ્યવસ્થાના અમલીકરણ સાથે, રાહ જોવાનો આ સમય લગભગ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે. આનાથી માત્ર લોકોનો કિંમતી સમય જ નહીં બચે, પરંતુ ઈંધણનો વપરાશ પણ ઘટશે. એક અભ્યાસનો હવાલો આપતા તેમણે જણાવ્યું હતું કે, ટોલ પ્લાઝા પર વાહનોને રોકવાની જરૂરિયાત દૂર કરવાથી વાર્ષિક આશરે 5,250 રુપિયા કરોડના ઈંધણની બચત થશે. જેનો અર્થ છે કે જનતાને આર્થિક લાભ થશે.
ADVERTISEMENT
5/5
આ નવી ટેક્નોલોજી સરકાર માટે પણ ફાયદાકારક સાબિત થઈ રહી છે. FASTag ના ઉપયોગને કારણે ટોલની આવકમાં 10 ટકાનો વધારો થયો છે, જેનાથી સરકારને 7,000 કરોડ રુપિયાની વધારાની આવક પ્રાપ્ત થઈ છે. ટોલની કુલ આવક હવે 82,000 કરોડ રુપિયાના આંકડાને વટાવી ગઈ છે. ગડકરીએ જણાવ્યું હતું કે એકવાર આ નવી સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે, પછી સરકારને વાર્ષિક 20,000 થી 25,000 કરોડ રુપિયાનો સીધો લાભ થશે. આ ઉપરાંત, ટોલ બૂથના સંચાલનનો ખર્ચ 12 ટકાથી ઘટીને માત્ર 2-3 ટકા થઈ ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ