જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલે ચૂંટણી લડવાનો કર્યો હુંકાર
આર.સી.પટેલે સમાજના સમેલનમાં ચૂંટણી લડવા અંગે ઈચ્છા વ્યક્ત કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાં ગજગ્રાહ થયો હોવાની સંભાવના જોવામાં આવી રહી છે. જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલે વિધાનસભાની ચૂંટણી લડવાનો હુંકાર કર્યો છે. આર.સી. પટેલે સમાજના સંમેલનમાં ચૂંટણી લડવા અંગે ઇચ્છા વ્યક્ત કરી. મહત્વનું છે કે 3 જૂનના રોજ કોળી સમાજનું સંમેલન યોજાયુ હતું જેમાં ધારાસભ્ય આર.સી પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમમાં સંબોધન વખતે જણાવ્યું કે આગામી ચૂંટણીમાં હું 80 ટકા ચૂંટણી લડવાની ઇચ્છા રાખું છું પણ પાર્ટી મને ચૂંટણી લડાવાની માત્ર 20 ટકા ઈચ્છા ધરાવે છે.
વિધાનસભાની ચૂંટણી લડવાનો આર.સી પટેલનો હુંકાર
મહત્વનું છે કે વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓ ટિકિટ કન્ફર્મ કરાવવાના પ્રયાસો કરવામાં લાગી ગયા છે. ત્યારે ધારાસભ્ય આર.સી પટેલ નવસારી જલાલપોર વિધાનસભાથી 5 ટર્મથી જીતતા આવ્યા છે.કોળી સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય આર.સી.પટેલે પોતાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તો સાથે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈએ પણ 50-50 ટકા વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
નવસારીમાં કોળી સમાજનું સંમેલન યોજાયુ હતું
ઉલ્લેખનીય છે કે નવસારીમાં 2 લાખથી વધારે કોળી મતદારો છે. ત્યારે કોળી સમાજનું રાજકારણમાં પ્રભુત્વ જળવાઇ રહે તેવી આશા સાથે કોળી પટેલ સમાજનું સંમેલન યોજાયુ હતું. આ અંગે વાત કરતા કોળી સમાજના પ્રમુખ શૈલેષ પટેલે જણાવ્યું હતું કે અમારા સમાજના ભવિષ્યને સારુ શિક્ષણ મળે, વિદેશ જવાની તકો ઉભી કરી શકીએ તેમજ રાજકારણમાં કોળી સમાજનું પ્રભૂત્વ ઓછુ થઇ રહ્યુ છે જેથી રાજકીય પ્રભૂત્વ બતાવવા માટેનું આ એક સંમેલન હતું.