રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે સમાચાર આવ્યા છે કે કોંગ્રેસમાંથી બળવો કરનારા પૂર્વ PCC ચીફ સચિન પાયલોટના કેમ્પે હવે રાહુલ ગાંધીને મળવા માટે સમય માંગ્યો છે.
રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકાર પર રાજકીય સંકટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજકીય ઉથલપાથલના આ સમયમાં સતત બદલાતા રહેલા ઘટનાક્રમની વચ્ચે પાર્ટીમાં બળવાખોરી કરનાર PCC ચીફ સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યોએ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગ્યો છે. જેનાથી હવે ફરી એક વખત કોંગ્રેસમાં હલચલ અચાનક તેજ થઈ ગઈ છે.
રાહુલ ગાંધીની ઓફિસના સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ બેઠક અંગે હજી સુધી કોઈ કન્ફર્મ તારીખ અને સમય આપ્યો નથી. હાલમાં સચિન પાયલોટ અને અન્ય ધારાસભ્યો પાર્ટીના મહામંત્રી કેસી વેણુગોપાલ સાથે સંપર્કમાં છે. માનવામાં આવી રહ્યું છે કે સચિન પાયલોટ 14 ઓગસ્ટ પહેલા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.
CWCના સભ્ય રઘુવીર મીણાના નિવેદન પરથી મળ્યાં હતાં સંકેતો
ઉલ્લેખનીય છે કે રવિવારે જેસલમેરની હોટલ સૂર્યગઢ ખાતે વિધાનસભા દળની બેઠક મળી હતી. જેમાં કોંગ્રેસના કેટલાક નેતાઓ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પાઇલટ કેમ્પ માટે કોંગ્રેસના દરવાજા બંધ રાખવાનું સૂચન કર્યું હતું. પરંતુ, ઘણા નેતાઓ સમાધાનની કવાયતમાં જોડાયેલા છે. CWCના સભ્ય રઘુવીર મીણાએ કહ્યું હતું કે જો બળવાખોર ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં કોંગ્રેસની તરફેણમાં મત આપે તો તેમને માફ કરવામાં આવશે.
મીણાના આ નિવેદનને સમાધાનની કવાયત સાથે જોડવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ હવે થયેલું ડેવલપમેન્ટ આ કવાયતનું જ પરિણામ માનવામાં આવી રહ્યું છે.
પાયલોટને મનાવવાના પ્રયત્નોનું આ મુખ્ય કારણ
રાજકીય સંકટને પહોંચી વળવા માટે અત્યાર સુધીના તમામ પ્રયાસો થયા છતાં પણ સમાધાન મળ્યું નથી. દિવસેને દિવસે સંજોગો બદલાયા બાદ હવે આ મુદ્દો ફ્લોર ટેસ્ટના મંચ પર આવી છે. કોંગ્રેસ 14 ઓગસ્ટ પહેલા પાઇલોટ્સને કોઈપણ ફોર્મ્યુલા પર પાછા ફરવા માટે તૈયાર કરવા પ્રયાસ કરી રહી છે, જેથી ફ્લોર ટેસ્ટ પૂર્વે ગેહલોત સરકારને બચાવી લેવાય. પક્ષના આ પ્રયત્નોનું એક મોટું કારણ 11 મીએ હાઈકોર્ટમાંથી આવતા બસપાના 6 ધારાસભ્યોના સંભવિત નિર્ણયને પણ માનવામાં આવી રહ્યું છે. જો હાઈકોર્ટ દ્વારા બસપાના ધારાસભ્યોના કોંગ્રેસમાં વિલય પર સ્ટે આપવામાં આવે તો ગેહલોત સરકારને બચાવવી મુશ્કેલ બની જશે.