ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્ટિવ મોડમાં. ત્યારે પ્રદેશ કોંગ્રેસ ચૂંટણીના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોતે આજે વડોદરામાં મધ્ય-ઉત્તર ગુજરાતની બેઠકોનો અભ્યાસ કર્યો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને કોંગ્રેસ એક્ટિવ
અશોક ગેહલોત છે ગુજરાતના પ્રવાસે
આજે મધ્ય-ઉત્તર ગુજરાત ઝોનની બેઠક મળી
વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને તમામ રાજકીય પક્ષોએ તૈયારી આરંભી દીધી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા એકવાર ફરી ત્રણ દિવસની મહત્વની રણનીતિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર અશોક ગેહલોત હાજર રહ્યા છે. ત્યારે આજે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઝોનની વડોદરામાં બેઠક મળી.
ગુજરાત મોડલ શું છે તે જનતા સામે આવી ગયું
બેઠક બાદ તેઓએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાત મોડલની વાત કરનારા અત્યારે પીએમ બની ગયા. ગુજરાત મોડલ ખોખલુ હતુ માત્ર માહોલ બનાવીને સારુ બતાવ્યું. ગુજરાત મોડલ શું છે તે જનતા સામે આવી ગયુ છે. ગુજરાતમાં લોકો પરેશાન છે, ખાલી મેનેજમેન્ટ થઇ રહ્યું છે. કાલે મને ઉડાનની મંજૂરી ન મળી તે તપાસનો વિષય છે. હું 4 કલાક સુધી એરપોર્ટ પર બેસી રહ્યો હતો.
મુકાબલો તો કોંગ્રેસ-ભાજપ વચ્ચે જ રહેશે
તો આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટી પણ એક્ટિવ ભૂમિકામાં જોવા મળી રહી છે જે મામલે તેઓએ જણાવ્યું કે આ વખતે ગુજરાતમાં મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહેશે. કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત છે, હું અહી રણનીતિ બનાવવા જ આવ્યો છું. ઉલ્લેખનીય છે કે 16થી 18 તારીખ સુધી ચૂંટણીલક્ષી બેઠકોનું વિવિધ ઝોનમાં આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અત્યાર સુધી સુરત અને રાજકોટમાં બેઠકોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જ્યારે 18 ઓગસ્ટે ચૂંટણી જવાબદારી ધરાવતા અને હાઇકમાન્ડે નિયુક્ત કરેલા તમામ ઓબ્ઝર્વરો તથા પ્રદેશ નેતાગીરી સાથે બેઠક કરશે.
જુઓ કોંગ્રેસે કોને કઇ જવાબદારી સોંપી છે?
વિશેષમાં તમને જણાવીએ કે, આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે અશોક ગેહલોતને સિનિયર ઑબઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તો છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને હિમાચલ પ્રદેશના વરિષ્ઠ નિરીક્ષક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. એ સિવાય રાજસ્થાનના વરિષ્ઠ નેતા સચિન પાયલટને હિમાચલ પ્રદેશના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે. તેઓ ભૂપેશ બઘેલ સાથે મળીને પાડોશી રાજ્યમાં પાર્ટીની ચૂંટણી તૈયારીઓ પર નજર રાખશે. જ્યારે છત્તીસગઢના નેતાઓમાં ટી.એસ સિંહ દેવ અને મિલિંદ દેવરાને નિરીક્ષક તરીકે ગુજરાતમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.