ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી છે.આ વર્ષે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાવાની શક્યતા સેવાઈ રહી છે.ત્યારે કોંગ્રેસે પણ પાયો મજબૂત કરવા ખાસ રણનીતિ અપનાવી છે. ત્યારે હાલમાં સૌરાષ્ટ્ર ઝોનને મજબૂત કરવા કવાયત હાથ ધરવામાં આવી છે. ગીર સોમનાથમાં કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી જેમાં કોંગ્રેસ છો઼ડીને ગયેલા કોંગી ધારાસભ્યો માટે રઘુ શર્માએ ખાસ નિવેદન આપ્યું.
ભાજપ આવા કચરાને લઇને શું કરશે- રઘુ શર્મા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને પક્ષપલટાની મોસમ શરૂ થઇ ગઇ છે. જેમાં કોંગ્રેસની સ્થિતિ દયનીય બની છે. ત્યારે આવા સમયે કોંગ્રેસના પ્રદેશ પ્રભારીએ પોતાની પાર્ટીમાં રહી ચૂકેલા ધારાસભ્યોને કચરો ગણાવ્યા. કોંગ્રેસ છોડેલા નેતાઓ વિશે રઘુ શર્માએ નિવેદન આપતા જણાવ્યું કે જે જીતી શકે તેમ નથી તેવા લોકો પક્ષ છોડીને રહ્યા છે. અમને ખબર છે કે કોણ કોણ કોંગ્રેસ છોડી રહ્યું છે. આવા કચરાને લઇને ભાજપ શું કરશે ?
કોંગ્રેસના નેતાઓના કેસરિયા
મહત્વનું છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં કોંગ્રેસને ફટકો પડી રહ્યો છે. એક બાદ એક ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની પડતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. હાલની જો વાત કરીએ તો જયરાજસિંહ, અશ્વિન કોટવાલ, કેવલ જોષીયારા, હાર્દિક પટે તથા શ્વેતા બ્રહ્મભટ્ટે કેસરિયો ધારણ કરી ચૂક્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા એટલે કે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પણ ભાજપમાં જોડાય છે તેવી અટકળો વહેતી થઇ હતી.
સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જાય તેવી ચર્ચા જાગી હતી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતાએ જોર પકડયું હતું. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. તેવી પણ અગાઉ ચર્ચા જાગી હતી.