મહારાષ્ટ્રમાં સત્તા સંઘર્ષ હવે સમાપ્ત થયો છે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના મહાયુતિને બહુમતી મળ્યા પછી પણ તેઓ સરકારની રચનાને લઇ થયેલ ચર્ચા બાદ બંને પક્ષો અલગ થઈ ગયા. આ પછી, રાજ્યમાં બહુમતી ન હોવાને કારણે, મતની ગણતરી (24 ઓક્ટોબર) થી રાજ્યમાં કોઈ સરકારની રચના થઈ નહીં.
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ
શું હોય છે રાષ્ટ્રપતિ શાસનના નિયમો અને બંધારણની જોગવાઇ
ભાજપ અને શિવસેના બંન્નેને રાજ્યપાલ સરકાર રચવા માટે બોલાવ્યા હતા. આજે NCP ને સરકાર રચવા અંગે રાજ્યપાલે આમંત્રણ આપેલ જો કે, આ મુલાકાત પહેલા મોદી કેબિનેટે રાષ્ટ્રપતિ શાસન પર નિર્ણય કર્યો અને રાષ્ટ્રપતિને પણ આ અંગે વિનંતી કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહારાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની મંજૂરી આપી હતી.
બંધારણમાં શું કરવામાં આવી છે જોગવાઇ
રાષ્ટ્રપતિ શાસનને લગતી જોગવાઇઓ બંધારણની કલમ 356 માં આપવામાં આવી છે. આર્ટિકલ 356 મુજબ રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે.
કયા આધારે લાગુ થાય રાષ્ટ્રપતિ શાસન
રાષ્ટ્રપતિ સરકાર બંધારણ મુજબ ન ચાલતી હોવાના રાજ્યપાલના રિપોર્ટને સ્વીકારે
કોઇ રાજ્ય કેન્દ્ર દ્વારા અપાયેલા નિર્દેશો પાલન કરવામાં કે તેને લાગુ કરવામાં નિષ્ફળ રહે
સંસદના બંને ગૃહો દ્વારા સામાન્ય બહુમતિથી મંજૂરી મળવી જાઇએ
સંસદના બંને ગૃહો મંજૂરી આપે તો રાષ્ટ્રપતિ શાસન ૬ મહિના સુધી ચાલે
આ પ્રકારે ૬-૬ મહિના કરીને વધુમાં વધુ ૩ વર્ષ સુધી લાગુ કરી શકાય
શું હોય છે રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો
જો સંસદના બંન્ને સદન દ્વારા રાષ્ટ્રપતિ શાસનનું અનુમોદન આપે છે તો રાષ્ટ્રપતિ શાસન 6 મહિના સુધી ચાલે છે. જેમાં 6-6 મહિના કરીને 3 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો આગળ વધારી શકાય છે.
મહારાષ્ટ્રમાં ક્યારે લાગ્યું છે રાષ્ટ્રપતિ શાસન
આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બે વખત રાષ્ટ્રપતિ શાસન લાગી ચૂક્યુ છે. જેમાં સૌ પ્રથમ વખત 17 ફેબ્રુઆરી 1980 અને ત્યારબાદ 28 સપ્ટેમ્બર 2014ના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું હતું. આ સાથે જ જ્યારે 2014માં રાષ્ટ્રપતિ શાસન લાગ્યુ ત્યારે કોંગ્રેસ અને NCPનું ગઠબંધન તૂટ્યું હતું અને તત્કાલિન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે રાજીનામું આપ્યું હતુ.
રાષ્ટ્રપતિ શાસનમાં શું થઇ શકે છે પરિવર્તન ?
રાષ્ટ્રપતિ મુખ્યપ્રધાનના નેતૃત્વ હેઠળની મંત્રીપરિષદને ભંગ કરે છે
રાષ્ટ્રપતિ રાજ્ય સરકારના કાયદાઓ પોતાના હાથમાં લે છે
રાષ્ટ્રપતિને રાજ્યપાલ અને અન્ય કાર્યકારી અધિકારીઓની સત્તાઓ પ્રાપ્ત થાય છે
રાજ્યપાલ રાષ્ટ્રપતિના નામે રાજ્ય સચિવની મદદથી અથવા સલાહકારની મદદથી રાજ્યનું શાસન ચલાવે છે
રાજ્ય વિધાનસભાની તમામ સત્તાઓ સંસદને પ્રાપ્ત થાય છે
સંસદ રાજ્યના ખરડાઓ અને બજેટ પ્રસ્તાવને પસાર કરે છે
સંસદને રાજ્ય માટે કાયદો બનાવવાની સત્તા રાષ્ટ્રપતિ અથવા તેમણે સૂચવેલા અધિકારીને સાંપવાનો અધિકાર
જ્યારે સંસદ ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ કલમ-૩૫૬ શાસિત રાજ્યમાં કોઇ પણ વટહુકમ જાહેર કરી શકે
રાષ્ટ્રપતિ અથવા સંસદ દ્વારા બનાવાયેલા કાયદાઓ રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ પણ યથાવત રહે છે
રાજ્ય વિધાનસભા આ કાયદાઓમાં સંશોધન અથવા તેને ફરી લાગુ કરી શકે છે