સ્વસ્થ રહેવા માટે વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી છે. વજન વધવાના કારણે શરીર અનેક બીમારીઓથી ઘેરાઈ જાય છે. હવે, આ સંદર્ભે કરવામાં આવેલા એક નવા અભ્યાસમાં વધુ એક ચિંતાજનક વાત સામે આવી છે.
સ્વસ્થ રહેવા માટે વજનને નિયંત્રણમાં રાખવું ખૂબ જ જરૂરી
વધારે વજનને કારણે અકાળ મૃત્યુનું જોખમ વધુ
સંશોધનમાં થયો ખુલાસો
અમેરિકામાં પુખ્ત વયના લોકો પર કરવામાં આવેલા આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જો 25 વર્ષની ઉંમરની આસપાસ વજન વધે છે તો તેનાથી વહેલા મૃત્યુનું જોખમ પણ ઘણું વધી જાય છે. સંશોધનકારોએ આ ઉંમરમાં વજન અંગે વધુ સાવધ રહેવાની સલાહ આપી છે.
બીએમજે નામની જર્નલમાં પ્રકાશિત થયો અહેવાલ
બીએમજે નામની જર્નલમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આધેડ વયથી વૃદ્ધાવસ્થા દરમિયાન વજન ઘટવાથી પણ મૃત્યુનું જોખમ વધારે રહે છે. ચીનની હાઉઝૉંગ યુનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલૉજીના સંશોધકો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં પુખ્ત વયના લોકોના જીવનમાં સંતુલિત વજનના મહત્વને દર્શાવવામાં આવ્યું છે.
અકાળ મૃત્યુના જોખમમાં વધારો
સંશોધનકારો કહે છે કે, પુખ્ત વયના લોકોમાં સ્થૂળતા એ અકાળ મૃત્યુના ઊંચા જોખમ સાથે સંબંધિત છે. જો તમે તમારું વજન નિયંત્રિત કરવામાં સફળ થાઓ છો તો જલ્દી મૃત્યુનું જોખમ જાતે જ ઘટી જાય છે. જોકે, પુખ્ત વય દરમિયાન, ખાસ કરીને યુવાવસ્થાથી આધેડ વયની પહેલી અવસ્થા દરમિયાન વજનમાં થતા ફેરફારોના લાંબા ગાળાના પ્રભાવો વિશે બહુ ઓછી જાણકારી છે.
NHANES નો કરાયો સર્વે
ચીનની યુનિવર્સિટીના સંશોધનકારોએ આ અભ્યાસ અમેરિકન પુખ્ત વયના લોકોના સ્વાસથ્ય સંબંધી આંકડાઓના વિશ્લેષણના આધારે કર્યો છે. 1988-94 અને 1999–2014 દરમિયાન યુએસ નેશનલ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન એક્ઝામિનેશન સર્વે (NHANES)ના ડેટાને આ અભ્યાસમાં સામેલ કરવામાં આવ્યા છે. NHANES એ રાષ્ટ્રીય સ્તર પર પ્રતિનિધિ વાર્ષિક સર્વેક્ષણ છે, જેમાં અમેરિકન નાગરિકોના સ્વાસ્થ્યનું અનુમાન કરવા માટે તેમના ઇન્ટરવ્યુ, શારીરિક પરીક્ષણો અને લોહીના નમૂનાઓ લેવામાં આવે છે.
36,051 લોકોનો ડેટા કરાયો એકત્રિત
સંશોધનકારો દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટામાં 36,051 લોકોની સ્વાસ્થ્ય સંબંધી માહિતી એકત્રિત કરવામાં આવી હતી. તેમાં 40 વર્ષની ઉંમરે તેમનું વજન અને ઊંચાઈ સામેલ હતા, જ્યારે 25 વર્ષની ઉંમરે તેમની આ માહિતી સાથે સરખામણી કરવામાં આવી. કોઈ પણ કારણોસર અને ખાસ કરીને હ્રદયની બીમારીઓથી થતાં મૃત્યુ સરેરાશ 12 વર્ષ સુધી નોંધવામાં આવ્યા હતા.
તે દરમિયાન 10,500 લોકોનાં મોત થયાં હતાં. જ્યારે સંશોધનકારોએ તેમના મૃત્યુના કારણોની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે 25 વર્ષની વયે આ લોકોના વજનમાં વધારો થયો હતો, જેના કારણે તેઓ જલ્દીથી મૃત્યુના ખતરાના દાયરામાં આવી ગયા હતા.