ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / ભાવનગરના સમાચાર / ભાવનગરમાં આધેડનું હનીટ્રેપ, મહિલા સાથે મિત્રતા કરાવી લાખો પડાવ્યાં, ઠગબાજ ટોળકી ઝડપાઈ
Last Updated: 08:20 PM, 16 September 2026
ADVERTISEMENT
ભાવનગરમાં આધેડ વયના વ્યક્તિને હનીટ્રેપની જાળમાં ફસાવી લાખો રૂપિયા પડાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. મહિલા સાથે મિત્રતા કરાવી બાદમાં ખોટી પોલીસ ઓળખ આપી આધેડ પાસેથી લાખો રૂપિયાની માંગણી કરનાર ટોળકી સામે પોલીસે કાર્યવાહી કરી છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે મહિલા સહિત અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
ADVERTISEMENT
મહિલા અને આધેડ સાળંગપુર દર્શન કરવા ગયા
પોલીસ તપાસ મુજબ, ટોળકીની એક મહિલા સભ્યએ ફરિયાદી આધેડ સાથે ફેસબુકના માધ્યમથી મિત્રતા કેળવી હતી.ત્યારબાદ મહિલા અને આધેડ સાળંગપુર દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે કાળા રંગની વેરના કારમાં આવેલા ચાર શખ્સોએ આધેડની ગાડી અટકાવી હતી.
ADVERTISEMENT
3 લાખ પડાવ્યાં, 8 લાખની માંગણી કરી
આરોપીઓએ પોતાની ઓળખ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી તરીકે આપી હતી. આધેડ પર ડ્રગ્સ અને ગાંજાના વેપાર તેમજ યુવતીના અપહરણનો ખોટો આરોપ મૂક્યો હતો.મહિલા સાગરીતને પોતાની ગાડીમાં બેસાડી લઈ જઈ આધેડને એન્કાઉન્ટર કરી દેવાની ધમકી આપી હતી.આરોપીઓએ રૂ.7થી 8 લાખની માંગણી કરી હતી. ગભરાઈ ગયેલા આધેડે રૂ.3 લાખ 5 હજારની વ્યવસ્થા કરી આપતાં આરોપીઓએ તેને છોડી દીધો હતો.સમગ્ર મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ ભાવનગર LCBની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે ફુલસર વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાછળથી કાળા રંગની વેરના કાર નંબર GJ-15-CJ-5999 સાથે બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં ઘનશ્યામ ઉર્ફે શ્યામ ધીરૂભાઈ લાઠીયા અને રાજેશ ભીખાભાઈ કાથરોટીયાનો સમાવેશ થાય છે. પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે.
ADVERTISEMENT
આરોપીઓની ધરપકડ
ADVERTISEMENT
આ કેસમાં પોલીસ દ્વારા અન્ય આરોપીઓની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે.વોન્ટેડ આરોપીઓમાં વિલાસબેન, રમેશ ઉર્ફે કાનો સાગરકા અને નિકુંજ સોલંકીનો સમાવેશ થાય છે.આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે ઘનશ્યામ લાઠીયા સામે બગદાણા, કામરેજ, અમરોલી, વિવેકાનંદનગર, તારાપુર અને લાઠી પોલીસ સ્ટેશનમાં અગાઉના ગુનાઓ નોંધાયેલા છે.જ્યારે રાજેશ કાથરોટીયા સામે સુરતના સરથાણા, વરાછા, કતારગામ, અમરોલી તેમજ અમરેલીના લાઠી પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ કેસમાં આરોપી મહિલા સહિત ઘનશ્યામ લાઠીયા અને રાજેશ કાથરોટીયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે ત્રણેય આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન હનીટ્રેપની આ ટોળકી દ્વારા અન્ય કોઈ વ્યક્તિને પણ આ રીતે શિકાર બનાવવામાં આવી છે કે કેમ તે દિશામાં તપાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.