આવતીકાલે દિવાળીના તહેવારોમાં મહત્વના દિવસ તરીકે ગણાતો એવો ધનતેરસનો દિવસ ઉજવાશે. ધનતેરસના દિવસે જેટલું મહત્વ મા લક્ષ્મીજીની પૂજાનું હોય છે એટલું જ મહત્વ માતાજીને ધરાવવામાં આવતા થાળનું પણ હોય છે. મોટાભાગે આપણે ત્યાં લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે ખીરનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આમ પણ આપણા દરેક તહેવાર મિષ્ઠાન વગર અધૂરા ગણાય છે. માતાજીના થાળની સાથે-સાથે દરેકનું મોંઢું પણ મીઠું કરાવવું જ પડે છે. તો બસ આજે જ નોંધી લો આ સરસ પરંપરાગત ખીરથી અલગ ખીરની રેસિપી. આ રેસિપીથી ભગવાન તો પ્રસન્ન થશે જ અને સાથે પરિવાર જનોને પણ એક અલગ ટેસ્ટ ચાખવા મળશે.
સફરજનની ખીર
સામગ્રી
4 નંગ સફરજન છીણેલા
1 કપ મિલ્કમેડ
1 કપ દૂધ
2 ચમચી ખાંડ
એલચીનો પાવડર
ડ્રાય ફ્રુટ્સની કતરણ
રીત
સૌથી પહેલા છીણેલા સફરજનમાં દૂધ અને ખાંડ નાંખી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. મિશ્રણ બફાઇ જાય એટલે તેમાં એક કપ મિલ્કમેડ નાંખી ફરીથી એક મિનિટ માટે રાંધો. હવે ગેસની ફ્લેમ બંધ કરી દો. રંધાઇને તૈયાર થયેલી ખીરમાં ઉપરથી એલચીનો પાવડર અને ડ્રાય ફ્રુટ્સ નાંખીને ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સફરજનની ખીર. આ ખીર પીરસો તે પહેલા તેને ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લો. માતાજીને આ પ્રસાદ ધનતેરસના દિવસે ધરાવો. અનેક ગણું ફળ મળશે.