સમગ્ર દેશની નજર જે 'સિંહાસન' પર હતી તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આજે આવી ગયું છે. દિલ્હીવાસીઓએ ભારતીય જનતા પાર્ટીની વિકાસનીતિને ઠુકરાવીને કેજરીવાલની વિકાસનીતિને પસંદ કરી છે. 2610 દિવસ પહેલાં બનેલી આપ પાર્ટીએ દિલ્હીમાં હેટ્રીક મારી ઈતિહાસ સર્જી દીધો છે. એ પણ દેશની સૌથી પ્રબળ રાજકીય પાર્ટી ભાજપને 2/3 કરતાં વધારે સીટોથી હરાવીને.
કેજરીવાલના વિકાસે ભાજપના સુપડાં સાફ કરી દીધા
ભાજપના 350 દિગ્ગજ નેતાઓના પ્રચારે કર્યો પણ સીટ ડબલ ડિજિટમાં પણ ના આવી
ગુજરાતમાં શેરીએ -શેરીએ ના ફરનાર અમિતભાઈએ દિલ્હીની શેરીએ-શેરી ખુદી છતાં હાર્યા
રાષ્ટ્રવાદમાં કોઈને રસ નથી, લોકોને ગ્રાઉન્ડ લેવલ પરનો વિકાસ જોઈએ છે
કઈ રાજનીતિ અને રણનીતિ દિલ્હીવાસીઓમાં ચાલી ગઈ કે કેજરીવાલ જીતી ગયા? જોકે આ પ્રશ્નનો જવાબ તો ભાજપ જે મુદ્દાઓ પર દિલ્હીમાં પ્રચાર કરી રહી હતી તે મુદ્દાઓ જ આપી શકશે. જી હા... દિલ્હીવાસીઓએ રાષ્ટ્રવાદ અને હિંદુ-મુસ્લિમ જેવા મુદ્દાઓ પર સહેજ પણ ધ્યાન આપ્યા વગર સ્પષ્ટ રીતે સામાન્ય પ્રજાને સીધા અસર કરતાં વિકાસના મુદ્દાઓ ધ્યાને લઈ મતદાન કર્યું હોય તેવું પરિણામો જણાવે છે.
શાહીનબાગમાં ‘કરંટ’ જવાના બદલે અમિતભાઈ પાસે પહોંચ્યો ‘કરંટ’
દિલ્હીના પરિણામો સાંભળતાં જ સોશિયલ મીડિયામાં મીમ્સ અને મેસેજ વાયરલ થઈ રહ્યા છે. જેમાનું આ એક વાક્ય જે સીધુ અમિત શાહ પર નિશાન સાધી રહ્યું છે.‘ દિલ્હીવાસીઓએ એવું જોરથી બટન દબાવ્યું કે ‘કરંટ’ સીધો અમિતભાઈને લાગ્યો...’ આ વાક્યનો સીધો સંબંધ જ્યારે અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન એવું કહ્યું હતું કે... દિલ્હીવાસીઓ EVM પર એવું બટન દબાવજો કે કરંટ સીધો શાહીનબાગ જાય. આ વાક્ય ભાજપ અને અમિત શાહની વિચારધારા વિશે ઘણું બઘું કહી જાય છે.
કેજરીવાલની પ્રતિષ્ઠા અને સરળતા લોકોને ગમી ગઈ
અરવિંદ કેજરીવાલની પાર્ટી આપે છેલ્લા પાંચ વર્ષમાં દિલ્હીમાં કરેલાં ગ્રાઉન્ડ લેવલના કામો જેવાં કે વીજળી 200 યૂનિટ સુધી ફ્રી કરવી, સરકારી સ્કૂલોનું સ્તર સુધારવું, મફત પાણી આપવું આ ઉપરાંત પણ ઘણા બધા મુદ્દાઓ જેને કેજરીવાલને જીતાડ્યા. જોકે કેજરીવાલની પ્રતિષ્ઠા અને સરળતાને લોકો ખુબ જ પસંદ કરતાં હતા.
લગભગ દેશનું આખુ ભાજપ દિલ્હીમાં હતું છતાં હાર હાથમાં આવી
અમતિ શાહની તમામ રણનીતિઓ ફેઈલ સાબિત થઈ છે. લગભગ 350થી વધારે ભાજપના દિગ્ગજ નેતાઓ કેટલાય દિવસથી દિલ્હીમાં ધામા નાંખી બેઠા હતા. ભાજપના સુત્રો મુજબ 200થી વધુ સાંસદો, 70થી વધુ મંત્રીઓ અને કેટયાલ NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ દિલ્હી પ્રચાર અર્થે હતા. જે અમિતભાઈએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે શેરીએ-શેરીએ જવાને બદલે માત્ર ભાષણો આપી પ્રચાર કર્યો હતો, તે જ અમિતભાઈ આ ચૂંટણી જીતવા દિલ્હીની શેરીએ શેરી ખુંદી વળ્યા હતા. આ ઉપરાંત 35થી વધુ રેલીઓ પણ કરી હતી. છતાં અંતે હાર જ હાથમાં આવી.