ગુજરાત કોંગ્રેસ વધુ એક દિગ્ગજ નેતા ગુમાવશે તેવી અટકળોનો આવ્યો અંત, કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ કરી સ્પષ્ટતા
કોંગ્રેસનો છેડો ફાડવા અંગે લલિત વસોયાની સ્પષ્ટતા
જ્યારથી જીત્યો ત્યારથી આવી અફવાઓ ચાલે છે: લલિત વસોયા
કોંગ્રેસથી કોઇ પણ પ્રકારનો અસંતોષ નથી: લલિત વસોયા
ગુજરાતમાં કોંગ્રેસને એકબાદ એક ફટકો પડી રહ્યો છે. એક બાદ એક ધારાસભ્યો પક્ષ પલટો કરી રહ્યા છે. ગુજરાતના રાજકારણમાં કોંગ્રેસની પડતી ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે. હાર્દિક પટેલ બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા કોંગ્રેસને રામ રામ કહેશે તેવી વાતો વહેતી થઇ હતી. આ નેતા એટલે ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા. કોંગ્રેસ છોડીને તેઓ કેસરિયા કરશે તેવી અટકળો વચ્ચે આજે ખુદ લલિત વસોયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે.
કોંગ્રેસથી કોઇ અસંતોષ નહીં- લલિત વસોયા
કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા કેસરિયો ધારણ કરશે તેવી અટકળોને લલિત વસોયાએ અફવા ગણાવી છે. આ અંગે તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે હું 2017માં જીત્યો ત્યારથી મારા હિતેચ્છુઓ આવી અટકળો કરતા આવે છે. હું બે દિવસથી સૌરાષ્ટ્ર ઝોનની બેઠક માટે વ્યવસ્થામાં છેું. પાર્ટીની નેતાગીરી સાથે છું. કોંગ્રેસથી મને કોઇ પણ પ્રકારનો અસંતોષ નથી.
ચૂંટણી આવે ત્યારે ચર્ચાઓ કરે- લલિત વસોયા
તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે રાજકીય અને સામાજિક કાર્યક્રમોમાં દરેક પક્ષના નેતાઓ આવતા હોય છે. આ કાર્યક્રમોમાં ભાજપના નેતા સાથેના ફોટા જોઇને ખોટી અફવાઓ ફેલાવાય છે. મહત્વનું છે કે થોડા સમય અગાઉ કોંગ્રેસના વ્હોટ્સએપ ગ્રુપમાંથી લલિત વસોયા લેફ્ટ થયા હોવાના સમાચાર વહેતા થયા હતા જો કે તેમણે આ વાત ખોટી હોવાનું જણાવ્યું હતું.
કોંગ્રેસના આ નેતાઓએ કર્યા કેસરિયા
જયરાજસિંહ
અશ્વિન કોટવાલ
કેવલ જોષીયારા
હાર્દિક પટેલ
શ્વેતા બ્રહ્મભટ્ટ
સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જાય તેવી ચર્ચા જાગી હતી
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની આફતના એંધાણ દેખાઇ રહ્યાં છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLA ગમે ત્યારે કેસરિયા કરે તેવી શક્યતાએ જોર પકડયું હતું. પાટીલના મિશન 182ને લઇ કોંગ્રેસના કેટલાંક MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. ટિકિટનું કન્ફર્મેશન મળે તો સૌરાષ્ટ્રના 7 MLA કેસરિયા કરવાના મૂડમાં દેખાઇ રહ્યાં છે. તેવી પણ અગાઉ ચર્ચા જાગી હતી.4 પાટીદાર સહિત સૌરાષ્ટ્રના 7 MLA ભાજપમાં જઇ શકે છે. સૌરાષ્ટ્ર કોંગ્રેસના કેટલાંક MLAને ટિકિટની અથવા તો સાચવી લેવાની ઓફર અપાય તેવી શક્યતા છે. જો કે, ટિકિટ સાથે કેસરિયા કરવાની માંગના કારણે જ આ પેચ ફસાયો છે. ભાજપના સૂત્રોના કહેવા મુજબ વિધાનસભાની 2017ની ચૂંટણીમાં પાટીદાર ઈફેક્ટના કારણે ભાજપે ગુમાવેલી તમામ બેઠકો પરત મેળવવાનો વ્યુહ છે.