ટીમ ઇન્ડિયાએ હારેલી બાજી જીતમાં પલટી, 8મા ક્રમે બેટિંગમાં ઉતરેલા દીપક ચહરે શાનદાર 69 રનની અણનમ ઇનિંગ રમી ભારતને ત્રણ વિકેટે જીત અપાવી, ભારતે શ્રીલંકાને વનડે સિરીઝના બીજા મેચમાં હાર દેખાડી છે. કોલંબોમાં રમાયેલા બીજા વનડેમાં ટીમ ઈન્ડિયાએ 3 વિકેટથી વિજય મેળવ્યો છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ સિરીઝ પણ પોતાના નામે કરી લીધી છે. ત્રણ મેચની સિરીઝમાં ભારતનો 2-0થી વિજય થયો છે.
એક સમયે ભારતના હાથમાંથી મેચ ગઈ હતી
ટીમ ઇન્ડિયાની આજની બીજી મેચ જીતવી લગભગ મુશ્કેલ બની ગઈ હતી. 193ના સ્કોર પર 7 બેટ્સમેન પેવેલિયન ભેગા થઈ ગયા હતા. ત્યારે ભારત હજુ પણ જીતથી 83 રન દૂર હતું. બાદમાં 8મા ક્રમે દીપક ચહર મેદાન પર ઉતર્યો હતો પરંતુ હવે જીતની આશા લગભગ કોઈને હતી નહીં. આવામાં દીપક ચહરે શાનદાર બેટિંગનું પ્રદર્શન કરી તાબડતોબ 69 રનની અણનમ પારી રમીને ટીમ ઈન્ડિયાને જીત અપાવી હતી. આ જીત સાથે શ્રીલંકા સામેની ત્રણ મેચોની સિરીઝમાં ભારત 2-0થી આગળ છે.
શ્રીલંકાના કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં બીજો વનડે મેચ રમવામાં આવ્યો હતો. જેમાં શ્રીલંકાએ પોતાની જ ધરતી પર 276 રનનો ટાર્ગેટ ભારતની ક્રિકેટ ટીમને આપ્યો હતો. ટીમના કેપ્ટન ધવન શિખરના નેતૃત્વમાં બીજો મેચ રમાયો હતો. જો કે, એક પછી એક વિકેટના કારણે જીતની સંભાવના ઓછી થઈ ચૂકી હતી. પણ 8મા નંબર પર બોલર દીપક ચેહરે 50 રન ફટકારતા ફરી જીતની આશા વધી હતી. હસારંગાએ કુણાલ પંડ્યાને 35 રન પર આઉટ કર્યો હતો. આ ભારતીય ક્રિકેટ ટીમની 7મી વિકેટ હતી. અને સમગ્ર મેચમાં શ્રીલંકન ખેલાડી હસારંગાની આ ત્રીજી વિકેટ હતી.
જે બાદ ભારત માટે જીતની આશા નિરાશામાં ફેરવાઈ હતી. પંડ્યા પહેલા સૂર્યકુમાર યાદવની વિકેટ 53 રન પર લીધી હતી. જો કે, સૂર્યકુમાર યાદવની અર્ધસદીથી ટીમના સ્કોરમાં ઘણો ફરક પડ્યો હતો. સૂર્યકુમારને શ્રીલંકાના બોલર સંદાકને LBW કર્યો હતો. આ પહેલા શ્રીલંકાના કેપ્ટનની ઓવરમાં ભારતે 2 વિકેટ ગુમાવી હતી. 18મી ઓવરમાં ભારતના બે ખેલાડીઓ પવેલિયનમાં ફર્યા હતા.