આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ રહી છે, તમારા ઘરમાં કોઇને કોઇ ઉપવાસ કર્યો જ હશે.
ફરાળમાં તમે ખીર, સુકીભાજી અને રાજગરાની પૂરી અને શીરો તો ખાતા જ હશો. તો હવે અમે તમારા માટે નવો વિકલ્પ લઇને આવ્યા છીએ અને તે છે ફરાળી બટાકાવડા.
સામગ્રી:
2 નંગ બાફેલા બટાકા
એક ચમચી લીલા મરચા
1 ચમચી લીંબુનો રસ
સ્વાદનુસાર મીઠુ
એક ચમચી કોથમીર
એક કપ રાજગરાનો લોટ
પાણી
બનાવવાની રીત:
ફરાળી બટાકાવડા બનાવવા માટે સૌથી પહેલા બાફેલા બટાકાને એક બાઉલમાં મેશ કરી લો. હવે તેમાં બારીક સમારેલા લીલા મરચા, લીબૂંનો રસ, સમારેલી કોથમીર અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો અને હવે આ મિશ્રણમાંથી નાની-નાની ગોળાઓ વાળી લો.
એક બાઉલમાં એક કપ રાજગરાનો લોટ, તેમાં ચપટી મીઠું ઉમેરીને મિક્સ કરી લો. હવે તેમાં પાણી ઉમેરી બટાકાવડા માટેનું ખીરું તૈયાર કરી લો. આ ખીરાંમાં ચપટી ખાવાનો સોડા ઉમેરો, જેનાથી બટાકાવડા વધારે ક્રિસ્પી બને.
એક પેનમાં તેલ ગરમ મૂકી દો. તેલ ગરમ થાય એટલે બટાકાની ગોળાને રાજગરાના તૈયાર કરેલા ખીરામાં ઉમેરીને તળી લો. બટાકાવડા ક્રિસ્પી થાય એટલે તેને બહાર કાઢી, ગરમાગરમ સર્વ કરો.